Chapter : નમાઝ
(Page : 398-399)
સવાલ :– અમારા શહેરમાં રમઝાન મુબારકમાં અમુક મહોલ્લાઓમાં મસ્જિદ સિવાય અન્ય જગ્યાએ જમાઅત સાથે ઈશાની ફર્ઝ નમાઝ અને તરાવીહની જમાઅત કરવામાં આવે છે, તો આ રીતે નઝદીકમાં મસ્જિદ હોવા છતાં ઈશાની ફર્ઝ નમાઝ અને તરાવીહ મસ્જિદથી બહાર કોઈ મકાન કે હોલમાં જમાઅત સાથે પઢી શકાય ?
જવાબ :– ઈશાની ફર્ઝ નમાઝ અને બીજી ફર્ઝ નમાઝો મસ્જિદની જમાઅત સાથે પઢવી ખૂબ તાકીદી સુન્નત છે, બલ્કે ઘણા ફુકહાએ કિરામ (રહ.)એ તો મસ્જિદની જમાઅતને વાજિબ ફરમાવેલ છે. (શામી ભા. ૧/૩૭ર)
હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ (રદિ.) ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ.)એ અમોને હિદાયતની સુન્નતો શીખવાડી અને હિદાયતની સુન્નતો પૈકી એક સુન્નત આ છે કે નમાઝ એવી મસ્જિદમાં પઢવામાં આવે કે જ્યાં અઝાન આપવામાં આવે છે. (મુસ્લિમ શરીફ)
ઈમામ હલવાની (રહ.)નું મંતવ્ય છે કે ફર્ઝ નમાઝની જમાઅત મસ્જિદ છોડીને ઘરમાં કરવાથી જમાઅતનો સવાબ નહિં મળે અને શરીઅત માન્ય ઉઝર વગર આવી જમાઅત બિદઅત અને મકરૂહ ગણાશે. (શામી ભા. ૧)
સહીહ હદીસો, ફુકહાએ કિરામ (રહ.)ના મંતવ્યો અને અસલાફે ઉમ્મતના અમલથી એ જ સાબિત થાય છે કે ફર્ઝ નમાઝો મસ્જિદની જમાઅત સાથે પઢવી જોઈએ, માટે રમઝાન મુબારકમાં ઈશાની ફર્ઝ નમાઝ મસ્જિદની જમાઅત છોડીને મસ્જિદથી બહાર કોઈ એવી જગ્યાએ પઢવી કે જ્યાં તરાવીહ જમાઅતથી પઢાતી હોય એ દુરૂસ્ત નથી અને તરાવીહની નમાઝ પણ મસ્જિદની જમાઅત સાથે પઢવી સુન્નત છે, અલબત્ત જો મહોલ્લાની મસ્જિદમાં તરાવીહની જમાઅત થતી હોય તો વધુ કુર્આન મજીદ સાંભળવા વગેરેના હેતુથી ઈશાની ફર્ઝ નમાઝ મસ્જિદમાં જમાઅત સાથે પઢયા પછી બહાર બીજી કોઈ જગ્યાએ તરાવીહની નમાઝ જમાઅત સાથે પઢવી વિના કરાહતે જાઈઝ છે, પરંતુ તરાવીહ પણ મસ્જિદની જમાઅત સાથે પઢવી અફઝલ છે.(શામી ભા. ૧/૪૭૩)
Log in or Register to save this content for later.