[૩૬૪] સફ બનાવવાનો સુન્નત તરીકો

Chapter : નમાઝ

(Page : 392-393)

સવાલ :–  આજકાલ જ્યારે મસ્જિદમાં જમાઅતની નમાઝ શરૂ થઈ જાય ત્યારે લોકો મસ્જિદમાં આવીને એ પ્રમાણે સફમાં ઉભા રહે છે કે જે તરફથી વુઝૂ કરીને આવે તે જ તરફ સફ શરૂ કરી દે છે. દા. ત. જો હોઝ જમણી તરફ એટલે કે હય્ય અલસ્સલાહ તરફ હોય તો ઈમામની જમણી તરફ સફમાં ઉભા થઈ જાય છે અને જો વુઝૂ કરવાની જગ્યા ડાબી તરફ એટલે હય્ય અલલ્‌ફલાહ તરફ હોય તો ઈમામની ડાબી તરફ સફમાં એ પ્રમાણે ઉભા થઈ જાય છે કે ઈમામની બીજી તરફ સફ બિલકુલ ખાલી રહે છે અને ઘણીવાર એમ પણ બને છે કે નવી સફ ઈમામની પાછળથી શરૂ નથી કરતા, બલ્કે ઈમામની જમણી તરફ અથવા ડાબી તરફ ગમે ત્યાંથી સફ શરૂ કરી આપે છે. તો સફ બનાવવાનો સહીહ અને મસનૂન તરીકો બતાવશો કે સફ કઈ તરતીબથી બનાવવી જોઈએ.

જવાબ :– જમાઅતની નમાઝમાં જ્યારે બે જ મુક્‌તદીઓ હોય તો સફ બનાવવાનો સહીક અને મસ્નૂન તરીકો આ પ્રમાણે છે કે એક મુક્‌તદી ઈમામ સાહેબની બિલકુલ સીધમાં ઈમામની પાછળ ઉભો રહે અને બીજો મુક્‌તદી પહેલાં નમાઝીની જમણી બાજુ ઉભો રહે અને જો બેથી વધુ મુક્‌તદીઓ હોય તો ત્રીજો મુક્‌તદી ઈમામની પાછળ ઉભેલા પહેલાં નમાઝીની ડાબી બાજુ ઉભો રહે અને ચોથો મુક્‌તદી બીજા મુક્‌તદીની જમણી બાજુ ઉભો રહે અને પાંચમો મુક્‌તદી ત્રીજા નમાઝીની ડાબી બાજુ ઉભો રહે અને પછી પેહલી સફ પૂરી થતાં સુધી આ જ પ્રમાણે એક એક નમાઝી જમણી અને ડાબી બાજુ ઉભા થતા રહે અને ઈમામ સાહેબની બન્ને બાજુ મુક્‌તદીઓની સંખ્યા બરાબર રહે અને ઈમામ સાહેબ સફની વચ્ચે રહે એ પ્રમાણે સફ બનાવવી જોઈએ અને પહેલી સફ પૂરી થઈ ગયા પછી બીજી, ત્રીજી અને ચોથી કે તેથી વધારે સંખ્યામાં બનતી સફો પણ આ જ તરતીબથી બનાવવી જોઈએ.

                અલ્લામહ શામી (રહ.)એ સફ બનાવવાના તરીકા વિશે મુહદ્દિસ બયહકી (રહ.)ની ‘‘સુનને કુબ્રાથી હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન નકલ કરેલ છે કે ‘‘ઈમામને (સફની) મધ્યમમાં વચ્ચે રાખો અને સફમાંની ખાલી જગ્યા પૂર કરી આપો.                         (શામી–૧/૩૮ર)

                ઈમામ સાહેબની સીધમાં તેમની પાછળ અને જમણે–ડાબે ઉભા રહેવાની ફઝીલત વિશે હઝરત રસૂલુલ્લાહ (સલ.) ફરમાવે છે કે અલ્લાહ તબારક વ તઆલા જ્યારે નમાઝીઓની જમાઅત ઉપર રહમત નાઝિલ ફરમાવે છે તો પ્રથમ ઈમામ ઉપર રહમત નાઝિલ ફરમાવે છે, પછી તે રહમત ઈમામ સાહેબથી આગળ વધીને ઈમામની પાછળ પહેલી સફમાં જે મુક્‌તદી હોય તેની પાસે પહોંચે છે અને પછી ઈમામની જમણી તરફ ઉભા રહેનાર નમાઝી તરફ અને પછી ઈમામની ડાબી બાજુ ઉભા રહેનાર નમાઝી તરફ જાય છે અને પછી તે રહમત નમાઝીઓની બીજી સફ તરફ પહોંચે છે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ.)થી મજકૂર તરતીબથી સફ બનાવવાની ફઝીલત વિશે એક આ હદીસ પણ નકલ છે કે ‘‘પહેલી સફમાં ઈમામની પાછળ ઉભા રહેનાર નમાઝી માટે સો નમાઝોનો સવાબ લખવામાં આવે છે અને (પહેલી સફમાં) ઈમામની જમણી તરફ ઉભા રહેનાર નમાઝી માટે પંચોતેર (૭પ) નમાઝોનો સવાબ લખવામાં આવે છે અને (પહેલી સફમાં) ઈમામની ડાબી તરફ ઉભા રહેનાર નમાઝી માટે પચાસ નમાઝોનો સવાબ લખવામાં આવે છે અને પેહલી સફ સિવાય બાકીની સફોના નમાઝીઓ માટે પચ્ચીસ (રપ) નમાઝોનો સવાબ લખવામાં આવે છે.    (બહર–૧/૩પ૪)

Log in or Register to save this content for later.