[૩૬પ] સફમાં ખાલી જગ્યા અને વંકાઇ રાખવી નાજાઇઝ છે

Chapter : નમાઝ

(Page : 394-395-396)

સવાલ :– વર્તમાન યુગમાં મસ્જિદની બાજમાઅત નમાઝ વખતે સામાન્ય રીતે સફો સીધી કરવાની કાળજી રાખવામાં આવતી નથી અને દરેક સફમાં બે નમાઝીઓની વચ્ચે ખાલી જગ્યા રાખવામાં આવે છે, હાલાંકે હદીસ શરીફમાં ખાલી જગ્યા છોડવાની મનાઈ આવેલી છે અને જ્યારે કોઈ પ્રસંગ ઉપર મસ્જિદમાં નમાઝીઓની ભીડ હોય તો એમ પણ બને છે કે સફમાં નમાઝીઓ એ પ્રમાણે મળી મળીને ઉભા રહે છે કે દરેક નમાઝીને રુકૂઅ, સજદહ અને કઅ્‌દહ સુન્નત તરીકા મુજબ કરવામાં ખલલ પડે છે અને એક બીજાના ઘર્ષણ અને ભીડના કારણે નમાઝનો ખુશૂઅ અને એકાગ્રતા પણ ખંડિત થાય છે. તો આ બાબત હદીસની રોશનીમાં વિગત બતાવશો.

જવાબ :– જમાઅતની નમાઝની દરેક સફના નમાઝીઓ દરમ્યાન એ પ્રમાણે અંતર અને ખાલી જગ્યા ન રહેવી જોઈએ કે દરેક નમાઝી અલગ ઉભેલો માલૂમ પડે અને નમાઝીઓએ સફમાં એ પ્રમાણે આગળ પાછળ પણ ન ઉભા રહેવું જોઈએ કે સફ વાંકી ચૂકી માલૂમ પડે. દરેક સફના બધા નમાઝીઓએ એક બીજાના ખભાથી ખભો મીલાવી અને બધા નમાઝીઓએ પોતાની એડીઓ એક લાઈનમાં રાખી સફમાં ઉભા રહેવું જોઈએ. આ પ્રમાણે ઉભા રહેવાથી નમાઝીઓના ખભાઓ વચ્ચે ખાલી જગ્યા નહિ રહે અને એડીઓ આગળ પાછળ ન હોવાથી સફ બિલકુલ સીધી બનશે.

                સફમાં બે નમાઝીઓ વચ્ચે ખાલી જગ્યા છોડવી અને સફ સીધી ન કરવી એ હઝરત રસૂલુલ્લાહ (સલ.)ના ફરમાન વિરૂદ્ધ અને નાજાઈઝ છે. હઝરત રસૂલુલ્લાહ (સલ.)એ ખભાથી ખભો મિલાવીને સીધી સફ બનાવવાની તાકીદ ફરમાવી છે અને તેની ફઝીલત બયાન ફરમાવી છે અને સફમાં ખાલી જગ્યા છોડવાથી ખાલી જગ્યામાં શૈતાનની ઘૂસણખોરી અને તેના તરફથી વસવસાઓ નાખવાની અને અલ્લાહ તઆલાની રહમત કપાય જવાની વઈદ બયાન ફરમાવી છે અને સફ સીધી ન કરવાના કારણે નમાઝીઓના દિલોમાં નફરત અને પરસ્પર ઈખતિલાફ પેદા થવાની વઈદ બયાન ફરમાવી છે.    (શામી ભા. ૧/તહતાવી ૧૬૭)

                શૈખ ઈબ્ને નુજૈમ (રહ.)એ ઈમામ અબૂ દાવૂદ અને ઈમામ અહમદ (રહ.)ના હવાલાથી હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.)થી હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન નકલ કર્યું છે કે સફો સીધી કરો અને ખભાઓ પરસ્પર બરાબર રાખો અને ખાલી જગ્યા પુર કરો અને (સફ સીધી કરનારા) પોતાના ભાઈઓના હાથોમાં (તેમનું કહેવું માનીને) નરમ બનો અને (સફની વચ્ચે) શૈતાનની ઘૂસણખોરી માટે ખાલી જગ્યાઓ ન છોડો. જે માણસ સફને જોડશે અલ્લાહ તઆલા તેને પોતાની રહમત સાથે જોડી આપશે અને જે માણસ (જમાઅતમાં ગેર હાજર રહીને અથવા સફમાં ખાલી જગ્યા છોડીને અથવા પોતાની સાથે કોઈ વસ્તુ મૂકીને) સફને કાપશે અલ્લાહ તઆલા તેને પોતાની રહમતથી (અલગ કરી) કાપી નાખશે.                      (અલ બહર ભા. ૧/૩પ૩)

                હઝરત અનસ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન નકલ કરે છે કે તમારી સફોને જોડો અને (બે સફોની વચ્ચે વધુ અંતર રાખ્યા વગર) સફો નજીક નજીક રાખો અને (એક સમતલ જગ્યા ઉપર ઉભા રહી) ગરદનો પરસ્પર બરાબર રાખો. તે ઝાતે આલીની કસમ જેના કબજામાં મારી જાન છે હું સફની ખાલી જગ્યામાં શૈતાનને એ પ્રમાણે દાખલ થતાં જોઉં છું કે જાણે તે ઘેટાનું કાળુ બચ્ચું છે.(અબૂ દાવૂદ શરીફ, મિશ્કાત શરીફ–૯૮)

                હઝરત નુઅમાન બિન બશીર (રદિ.)એ ફરમાવ્યું કે હઝરત રસૂલુલ્લાહ (સલ.) અમારી (નમાઝની) સફો એ પ્રમાણે એટલી કાળજીપૂર્વક સીધી ફરમાવતા હતા કે જાણે તેનાથી તીરો સીધા કરી રહ્યા હોય. અહિંયા સુધી કે આપ (સલ.)એ જોઈ લીધું કે અમે આપ (સલ.)ની મરજી સમજી લીધી છે. પછી આપ (સલ.) એક દિવસ પોતાના કમરાથી બહાર તશરીફ લાવ્યા અને તકબીરે તહરીમા કહેવાની બિલકુલ તૈયારી હતી, એવામાં આપ (સલ.)એ જોયું કે એક માણસે પોતાનું સીનું બીજા નમાઝીઓના સીનાઓની સફથી બહાર કાઢેલું છે તો આપ (સલ.)એ ફરમાવ્યું કે ‘‘હે અલ્લાહ તઆલાના બંદાઓ ! તમો પોતાની સફો સીધી કરો, નહિ તો અલ્લાહ તઆલા તમારા ચહેરાઓના દરમ્યાન મુખાલફત (વિરોધ–વિવાદ) નાંખી આપશે.(મુસ્લિમ શરીફ, મિશ્કાત શરીફ–૯૭)

                સફને જોડવા માટે અને બે નમાઝીઓ વચ્ચે ખાલી જગ્યા બાકી ન રહે તે માટે દરેક નમાઝીએ પોતાનો ખભો સાથેના નમાઝી સાથે મિલાવવો જોઈએ, પરંતુ મજકૂર હેતુ માટે અથવા આગલી સફની ફઝીલત હાસિલ કરવા માટે એ પ્રમાણે ભીડ ન કરવી જોઈએ કે એક નમાઝીનો ખભો બીજા નમાઝીના ખભા ઉપર ચઢી જાય અને એક બીજાના શરીરના ઘર્ષણથી એક બીજાને તકલીફ પહોંચે અને દરેકે સફમાં વાંકુ ઉભું રહેવું પડે અને ભીડના કારણે નમાઝનો ખુશૂઅ ખોવાય જાય. મતલબ કે સફને જોડવામાં પણ સમજદારી અને સમતોલનથી કામ લેવું જોઈએ.

                હઝરત રસૂલુલ્લાહ (સલ.)નું ફરમાન છે કે જેણે કોઈ મુસ્લિમ ભાઈને તકલીફ પહોંચવાના ડરથી પહેલી સફ છોડી દીધી (અને બીજી સફમાં ઉભો રહ્યો) તો તેને પહેલી સફનો ડબલ સવાબ મળશે.(શામી ભા. ૧/૩૮ર)

Log in or Register to save this content for later.