[૬૭] છોકરીની પરવાનગી વિના પઢાવવામાં આવેલ નિકાહ

Chapter : નિકાહ

(Page : 103-104)

સવાલઃ– શું છોકરીની ઈજાઝત વગર નિકાહ થઈ જશે. મજલિસમાં બેઠેલાઓને પણ ખબર નથી. ગવાહ, વકીલ પણ નિકાહ વખતે છોકરીની ઈજાઝત લેવા ગયા નથી, નિકાહ પહેલાં પણ ઈજાઝત લીધી નથી. જેવી બારાત આવી, દુલ્હો તૈયાર થઈ માંડવામાં આવ્યો, કાઝી સાહેબે નિકાહ પઢાવી આપ્યા, મહર પણ નકકી કરી નથી. છોકરીની સહી પણ લીધી નથી, નિકાહ વખતે કાઝી સાહેબ પણ કબૂલ કરાવતી વખતે મહેરની રકમ મજલિસની રૂબરૂ બોલ્યા નથી, તો શું આ રીતે નિકાહ થઈ જશે ? અથવા થઈ જાય તો મહેર કેવી રીતે અદા કરવી. છોકરીને પણ મહેરની ખબર નથી. નિકાહ થઈ રહેલા છે એટલી ખબર છે. રૂખ્સતી પણ થઈ ગઈ છે.

જવાબઃ–  બાલિગ છોકરીના નિકાહ અગર તેની ઈજાઝત વગર પઢાવી દેવામાં આવે તો તે નિકાહ તેની મંજૂરી ઉપર મવકૂફ રહે છે. જો તેને નિકાહની ખબર થયા પછી તે મોઢેથી બોલીને મંજૂરી આપે અથવા નિકાહને લગતું કોઈ એવું કામ કરે કે જે થયેલા નિકાહ બાબત રાજીખુશી અને મંજૂરીની સાબિતી બની શકે (જેમ કે દુલ્હન તરીકેની ભેટ અને મુબારક બાદીનો સ્વીકાર કરે, મહેરનો સ્વીકાર કરી લે, દુલ્હન તરીકેની રૂખ્સતી માટે રાજીખુશીથી તૈયાર થઈ જાય, પતિને રાજી ખુશીથી સંસારિક સંબંધ કરવા દે) તો તે વગર રજાએ થયેલા નિકાહ જાઈઝ – દુરસ્ત  અને સંપૂર્ણ ગણાશે અને જો આ પ્રમાણે મૌખિક અથવા અમલી મંજૂરી છોકરીને નિકાહની જાણ થઈ ગયા પછી છોકરી તરફથી પ્રાપ્ત ન થાય, તો વગર ઈજાઝતે થયેલા નિકાહ જાઈઝ નહિ ગણાય. મહેરનું પ્રમાણ નકકી કર્યા વગર અને મહેરના વર્ણન વગર પણ નિકાહ દુરસ્ત થઈ જાય છે. એટલે કે તેની ફોઈઓ જે ઉમર વિ.માં તેની સમકક્ષ હોય તેઓની જેટલી મહર નકકી થઈ હોય તેટલી મહર આ છોકરીને પણ આપવામાં આવશે.(શામી ભા.ર)

Log in or Register to save this content for later.