Chapter : ઝકાત
(Page : 77-78)
સવાલ :– એક માણસે પોતાની માલિકીની જમીનના પ્લોટ ઉપર મકાનો તૈયાર કરીને વેચવાની યોજના બનાવી. તે અનુસાર ૭–૮ મકાનો એડવાન્સમાં અલગ અલગ સમયે ઓછી વત્તી કિંમતે વેચાઈ ગયા, બાંધકામ હજુ ચાલુ છે અને મકાનો જેમણે લીધા છે તેઓ પાસે જેમ ઝરૂર પડે છે તેમ વેચાણ કિંમત પેટે રકમ મેળવીને તેઓ બાંધકામનું કામ આગળ વધારે છે. મકાનો હજુ તૈયાર થયા નથી. એટલે કે આજ દિન સુધી મકાનોના વેચાણ પેટે જે રકમ મળી છે તે પાસે રહી નથી બલ્કે તે રકમથી જ ગ્રાહકોના મકાનોનું બાંધકામ ચાલ્યું છે અને પૈસાનું રોકાણ થઈ ગયું છે. તો આ સૂરતમાં તેઓને મકાનોની વેચાણ કિંમત પેટે મળેલ રકમ ઉપર ઝકાત લાગુ પડે કે કેમ ?
જવાબ :– પૂછેલી સૂરતમાં મકાનોનું સંપુર્ણ અસ્તિત્વ નથી, માટે ખરીદ વેચાણની કિંમતની માલિકી અને તેના ઉપર ઝકાતનો હુકમ લગાડવો તો મુશ્કેલ છે, બાકી અધૂરા બાંધકામ સાથે જમીનના પ્લોટોની મુળ માલિકી આયોજકની છે અને બાંધકામ સાથે તે પ્લોટો અથવા તેની કિંમત ઝકાત પાત્ર મિલ્કત અથવા ઝકાતપાત્ર મૂડી છે માટે પ્લોટની બજાર કિંમત ઉપર ઝકાત આપવી પડશે. (શામી–ર)
નોટઃ–
પ્લોટ અને અધૂરા બાંધકામની માલિકી મકાન બુક કરાવનારની પણ ગણી શકાય છે, જેમકે અમુક મુફતી હઝરાતનું મંતવ્ય છે. આ મંતવ્ય મુજબ મકાન અને પ્લોટની ઝકાત વેચનારે નહિ કાઢવી પડે, બલ્કે તેનું ઝકાતનું વર્ષ પુરું થાય ત્યારે જેટલી જમા મૂડી હોય અને જેટલી રકમ લેવાની બાકી હોય તેની ઝકાત કાઢવી પડશે, કારણ કે મઝકૂર બાકી રકમ વેપારની મિલકતની કિંમત પેટે બાકી છે.
Log in or Register to save this content for later.