[૩૪૧] બેપર્દા ઓરતના પતિની ઈમામત

Chapter : નમાઝ

(Page : 371)

સવાલ :– અમુક ઝિમ્મેદાર ઉલમા કહે છે કે બે પરદા ઓરતોના ઘણીઓની ઈમામત કરાહત વગર અદા થઈ જશે, અમુક તો કહે છે એવા ઈમામોની ઈમામતમાં કરાહત નથી, કારણકે ઘણા મર્દાની ઓરતો બે પરદા છે માટે એવા ઈમામો પાછળ નમાઝ જાઈઝ છે. (કરાહત વગર) જયારે મહાન ઉલમાના ફતવામાં લખ્યું છે એવા ઈમામ પાછળ નમાઝ મકરૂહે તહરીમી  છે, આજે ગામડાઓમાં નેવું ટકા ઈમામોની અવરતો બે પરદગીમાં મુબ્તલા છે તો આ બાબત શરઈ હુકમ જણાવશો.

જવાબ :– ઈમામત વિશે એક ઉસૂલી વાત આ છે કે ઈમામમાં કોઈ એવો ઝાહિરી ઐબ ન હોવો જોઈએ કે જેના લઈ ઈમામની હાલત મુકતદીઓથી નીચલી કક્ષાની સાબિત થાય, જો એવો કોઈ ઐબ હોય તો અમૂક સૂરતોમાં તો મૂકતદીની નમાઝ જ જાઈઝ અને અદા થતી નથી. અને અમુક સૂરતોમાં નમાઝ અદા તો થઈ જાય છે પરંતુ ઈમામમાં ઉણપ હોવાના લઈ તેની ઈમામતના મકરૂહ હોવાના કારણે મુકતદીઓની નમાઝમાં પણ કરાહત પેદા થાય છે. આ ઉસૂલ જોતાં જો ઈમામમાં કોઈ એવી ઉણપ અને ખામી હોય કે તે ઉણપ અને ખામી મુકતદીઓમાં પણ છે તો આવી સૂરતમાં ઈમામની ઈમામત વિના કરાહતે જાઈઝ અને દુરૂસ્ત ગણાય છે. માટે ફુકહાએ કિરામ (રહ.) લખે છે કે જો કોઈ મઅઝૂર માણસ પોતાના જેવા જ મઅઝૂરોની ઈમામત કરાવે અથવા કોઈ કપડા વિનાનો નગ્ન માણસ પોતાની જેવા જ નગ્ન હાલતવાળા માણસોની ઈમામ કરાવે તો જાઈઝ છે. કારણ કે આવી સૂરતમાં ઈમામ તેમજ મુકતદીઓની હાલત બરાબર કક્ષાની છે. ઈમામની હાલત મુકતદીથી નીચલી કક્ષાની નથી.  (શામી –૧/૩૮૯)

   હઝરત મવલાના થાનવી (રહ.) ફરમાવે છે કે

”હઝ. મવ. યાકુબ સાહેબ (રહ.) કે પાસ એક સવાલ આયા કે જિસ શખ્સ કી બીવી પરદા ન કરતી હો તો ઉસકી ઈમામત જાઈઝ હે યા નહીં? હઝરત (રહ.) ને ફરમાયા : જહાં મુકતદી ભી સબ એસે હી હોં જાઈઝ હે , જેસે નંગોકી જમાઅત, ફિર ફરમાયા પૂરા પર્દા આજકલ કહાં હે ? કિસીકી ઓરત બહાર ફીરતી હે ઓર કિસીકે ઘરમેં અજનબી મર્દ આતે હે, ઉનકી ઓરતોં કો દેખતે હેં ઈન દોનોં શિક્‌કોં સે કોન ખાલી હે (ઈલ્લા માશાઅલ્લાહ)     (મજાલિસે હકીમુલ ઉમ્મત : પે : ર૦૯)

હઝરત  મવલાના મુફતી ઈસ્માઈલ બિસ્મિલ્લાહ (રહ.) પોતાના એક જવાબમાં લખે છે કે બે પરદા ઓરતના ખાવિંદ પાછળ પઢાતી નમાઝ મકરૂહ ગણાય છે, મારો ખ્યાલ એ છે કે જયાં આમ રીતે પર્દાનો રિવાજ હોય ( અર્થાત પર્દાની પ્રથાનું આમ, સર્વસામાન્ય પાલન થતુ હોય) અને ઈમામ સાહબના કુટુંબમાં બેપરદગી ચાલતી હોય તો એમાં દેખીતી રીતે ઈમામની હલકાઈ ગણાશે, પરંતુ જયાં બે પર્દગીનો ઓરતોમાં આમ રિવાઝ હોય અને ઈમામના ઘરવાળાઓ પણ પર્દો પાળતા ન હોય એમાં કરાહત નથી.

(મુસ્લિમ ગુજરાત ફતાવા સંગ્રહ પુસ્તક : ૧ ભાગ :૧ / ર૩૪)

                મજકૂર હાલતમાં ઈમામતના મકરૂહ ન હોવાનો મતલબ એ હરગિઝ નથી કે શરઈ પર્દાની પાબંદી બાબત ગફલત કરવામાં આવે અને બે પર્દગીને હલકી ગણવામાં આવે, એવું સમજવું અને માનવું ઘણું જ ભય જનક છે, પર્દાનો હુકમ કુર્આનની કેટલીય આયતો અને સંખ્યાબંધ હદીસોમાં સ્પષ્ટ રીતે આપવામાં આવેલ છે, માટે પોતાની જવાબદારી અને પોતાની આખિરતને સાથે રાખીને તેની અવશ્ય પાબંદી કરવી જોઈએ. બીજાના અમલ અને ગફલતને બહાનારૂપ ન બનાવવા જોઈએ.

Log in or Register to save this content for later.