Chapter : નમાઝ
(Page : 387)
સવાલ :– શું ઈમામ સાહેબ પર દરેક નમાઝમાં સફો સીધી કરાવવી વાજિબ છે ? જયારે કે મુસલ્લીઓમાં એટલી બધી ગફલત ન હોય, તસલ્લી બબ્શ જવાબ આપશો.
જવાબ :– ઈમામ સાહેબ પર કોઈ પણ નમાઝમાં સફો સીધી કરાવવી વાજિબ નથી, પરંતુ જો લોકો સફો દુરૂસ્ત કરવામાં ઢીલ અને બેપરવાહી કરતા હોય તો ઈમામ સાહેબે લોકોને ખભાથી ખભો મીલાવી સફ સીધી કરવા અને વચ્ચે જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખવા તકબીરે તહરીમાથી પહેલાં કહેવું જોઈએ. ઈમામ સાહેબે સફ દુરૂસ્તી માટે કોશિશ કરવી સુન્નત છે, કારણકે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને ખુલફાએ રાશિદીનમાં હઝરત ઉસ્માન, હઝરત અલી (રદિ.)ની આદત હતી કે સફોની દુરૂસ્તી માટે પોતે દેખભાળ ફરમાવતા હતા.
મુકતદીઓ પર સફ દુરૂસ્તીની કોશિશ કરવી જરૂરી છે. કારણકે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મુકતદીઓને સફો દુરૂસ્ત કરવાનો ભારપૂર્વક હુકમ ફરમાવ્યો છે. અને તેને છોડવા પર થતા નુકસાનો બયાન ફરમાવ્યા છે. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/૩૮ર)
અહિંયા સુધી કે હઝરત મુફતી મુહમ્મદ શફીઅ સાહેબે (રહ.) સફોની દુરૂસ્તીને વાજિબ લખ્યું છે.(‘જ. ફિકહ ૧/૧૩)
જો મુસલ્લીઓ સફોની દુરૂસ્તીને જરૂરી સમજતા હોય અને પોતે તેની કાળજી રાખી સફો સીધી કરતા પણ હોય તો આવી હાલતમાં ઈમામ સાહેબ નમાઝે નમાઝે સફો વિષે લોકોને કંઈ કહેશે નહિ, તો પણ વાંધો નથી, પણ નિગરાની કરી લેવી બહેતર છે.
હઝરત નોઅમાન બિન બશીર (રદિ.)થી સહીહ મુસ્લિમ શરીફમાં રિવાયત છે કે,
રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અમારી સફોને (એટલી કાળજીપૂર્વક) દુરૂસ્ત ફરમાવતા હતા કે, જાણે સફોથી તીરો સીધા કરતા હોય. અહિંયા સુધી કે આપે જાણી અને જોઈ લીધું કે અમોએ આપનાથી આ સુન્નત શીખી લીધી છે. (‘મુસ્લિમ શરીફ ૧/૧૮ર)
Log in or Register to save this content for later.