[૧૬પ] હજ્જે બદલ નફલમાં એહરામનો તરીકો અને અદાયગીનો તરીકો

Chapter : હજ

(Page : 233-224-225)

સવાલ :– મારા વાલિદહ સાહિબહનો ર૭ જૂન ૧૯૯૧ના રોજ ઈન્તિકાલ થઈ ગયો છે. હું આવતી હજ મારી વાલિદહના માટે પઢવા ચાહું છું તો મારે ઉમરહ, હજ અને કુર્બાની વગેરે કેવી રીતે કરવું તે વિગતથી લખશો. (ઐયૂબભાઈ નવાગામ કરારવેલવાલા, મક્કતુલ મુકર્રમહ)

જવાબ :– જયારે કે તમારા વાલિદહએ હજની વસિય્યત નથી કરી અને ન એમના ઉપર હજ ફર્ઝ હતી. તમો પોતે જ ઈસાલે સવાબની નિય્યતથી હજ પઢવા ચાહો છો તો આવી હજ્જે બદલ કરવાની બે સૂરતો છે. એક તો એ કે શરૂમાં પોતાની જ નિય્યતથી પોતાના માટે નફલી હજ અદા કરે અને ફારિગ થયા પછી એ નફલી હજનો સવાબ વાલિદહ મર્હૂમાને અલ્લાહ તઆલાથી એમ દુઆ કરી પહોંચાડી આપે કે યા અલ્લાહ! મારી આ હજને કબૂલ કરી એનો સવાબ મારા વાલિદહ સાહેબા મર્હૂમાને પહોંચાડી આપો.

                મતલબ કે જે પ્રમાણે પોતાના માટે હજ કરી છે તે જ પ્રમાણે અરકાન, વાજિબ અને સુન્‍નતોની પાબંદી કરી આ હજ અદા થશે. કોઈ બીજો તરીકો એના માટે નથી. ફકત છેવટમાં દુઆ કરી હજનો સવાબ વાલિદહ મર્હૂમહને પહોંચાડવાનો રહેશે.

                બીજી સૂરત એ છે કે શરૂથી જ વાલિદહની નિય્યતથી હજ કરો તો આ સૂરતમાં હજના  એહરામ વખતે નિય્યત આ પ્રમાણે કરવી કે વાલિદહ તરફથી આ હજનો એહરામ બાંધું છું, અને તલબિય્યહ પઢું છું અને શબ્દોમાં દુઆ વખતે કહે કે ”ઈન્ની ઉરીદુલ્‌ હજ અન વાલિદતી ફયસ્સિરહુ લી વ તકબ્બલહુ મિન્હા” અને એહરામના તલબિય્યહ વખતે કહે કે લબ્બય્ક અન વાલિદતી. તો આ સૂરતમાં પણ વાલિદહને સવાબ પહોંચશે. બાકીના હજના કામો તે જ પ્રમાણે છે, જેવી રીતે પોતાના હજમાં કરવાના હોય છે. બાકી બન્‍નવ સૂરતોમાં બીજી સૂરત વધુ બેહતર છે.                 (શામી–૧/૬૦૧)

                તમો લખો છો કે કે હું ઉમરહ, હજ અને કુરબાની કેવી રીતે કરું? એનાથી સ્પષ્ટ થાય છે કે તમે બે અલગ અલગ એહરામથી અથવા એક એહરામથી ઉમરહ અને હજ બન્‍નવ કરવા ચાહો છો તો એ જાણી લેવું જોઈએ કે જો તમારી નોકરી મક્કહ મુકર્રમહમાં છે. અને તમે ત્યાં જ રહો છો, તો હજના મહિનાઓમાં એટલે કે શવ્વાલ, ઝુલકાદ, ઝુલહજમાં) તમે ફકત હજ જ પઢી શકો છો. આ દિવસોમાં મક્કહમાં રહેનાર માટે બન્‍નવ ઈબાદતોને ભેગા કરવાની મનાઈ છે ચાહે ખાસ મકકહનો રહેવાસી હોય કે બહારથી આવી અહિંઆ રહેતો હોય માટે તમારે જોઈએ કે હજના દિવસોમાં ફકત હજ જ કરો અને બીજા કોઈ સમયે ઉમરહ કરી. (ઉપર પ્રમાણે કોઈ એક સૂરતથી) વાલિદહને સવાબ પહોંચાડશો અને એકલી હજ અદા કરનાર પર હજની કુર્બાની વાજિબ નથી, માટે કુર્બાન કેવી રીતે કરવી એ પ્રશ્ન પેદા થતો જ નથી. હા, તમે એ હજ પછી તરત ૧૩ ઝુલહજ પહેલાં પહેલાં મદીનહ જવાનો ઈરાદો કર્યો નથી અને હજથી ફારિગ થઈ પોતાના રહેઠાણ પર આવવાના છો, તો તમે શરઈ દ્રષ્ટિએ મુસાફિર નથી, મુકીમ છો. એટલે ઈદની કુર્બાની તમારે આપવાની રહેશે. (દુર્રે મુખ્તાર –ર, અલ બદાઈઅ–ર/૧૬૯)

Log in or Register to save this content for later.