Chapter : ઝકાત
(Page : 69-70-71)
સવાલ :– ભેંસોના દૂધના વેપારીએ પોતાની ઝકાત કઈ રીતે ગણવી.
(૧) પોતે ભેંસો રાખે છે, સવાર–સાંજ તે ભેંસોનું દૂધ વેચાણ થાય છે.
(ર) ભેંસોની કિંમત બાબત કે જો વિયાવાની તૈયારી હોય તો તેવા સમયે તેની કિંમત વધુ હોય છે. વિયાયા પછી એક – બે માસે તેની કિંમત ઘટી જાય છે, અને ચાર–છ–આઠ માસે દૂધનું પ્રમાણ ઘટી જાય તેવા વખતે એની કિંંમત અડધી અથવા તેથી પણ ઓછી થઈ જાય છે, તો આવા સમયે કઈ ગણત્રી કરવી ?
(૩) ર– પ– ૧૦–૧૦૦–ર૦૦–પ૦૦ ભેંસો હોય દરેક જુદા જુદા ટાઈમે વિયાય, જુદા જુદા ટાઈમે ઉડી જાય, આ દરમિયાન એની ગણત્રી સરેરાશ ૧ ભેંસની કિંમત ગણી, તાજી વિયાયેલી દૂધ આપતી, ર–પ માસની જૂની, પ્લસ દૂધ ન આપતી એ ત્રણેવની અલગ અલગ કિંમત હોય તે સમયે ગણત્રી કરવા કઈ રીત અપનાવવી ?
(૪) વધુ ભેંસો આપનારે દૂધનું પ્રમાણ સાચવી રાખવા દર માસે દર સો ભેંસો પર ૬–૮ ભેંસો નવી તાજી વિયાયલી ઉમેરવી પડે છે અને જે દૂધ તદ્દન ઓછું આપે, અથવા ન આપે તેને અલગ કાઢી નાખી તેની વ્યવસ્થા જુદી કરવી પડે છે. આપણી મિલકિય્યતમાં રહે છે તો અને આપણી મિલ્કતમાંથી નિકળી જાય. (દા.ત, વગર કિંમતે આપી દીધી, અથવા મરી જાય) તો શું ગણવું.
(પ) દૂધ તદ્દન ઓછું અથવા બંધ થઈ જાય ત્યારે એને ચરાઈ પર અથવા અલગ વ્યવસ્થા કરી પાલવે તો તે પાછળ જે ખર્ચ થાય તે ખર્ચ બાદ કરી શકાય ?
(૬) આ વેપારનું અથવા બીજા કોઈ વેપારનું કોઈ પણ જાતનું કર્ઝ હોય તે બાદ કરવું કે નહિ ?
જવાબ :– પ્રથમ એ બાબત જાણી લેવી જોઈએ કે જે ભેંસો આજકાલ તબેલાઓમાં દૂધનો ધંધો કરતા માણસો રાખે છે તે ભેંસોનો ઘાસચારો અને દાણ લગભગ પૂરા વર્ષમાં ખરીદ કરીને તબેલામાં જ ખવડાવવામાં આવે છે, મઝકૂર ભેંસોનો ખાધ નિભાવ પુરું વર્ષ અથવા મોટાભાગના દિવસોમાં ખરાબાઓ અને સરકારી ગૌચરોના ઘાસચારા ઉપર નથી હોતો અને તબેલાના માલિકો આ ભેંસો દૂધ દોહીને વેચાણ કરવાની નિય્યતથી ખરીદ કરી તબેલામાં બાંધે છે અને તેનો નિભાવ ખર્ચ ગ્રહણ કરે છે. તબેલાવાળાઓ આ ભેંસ ખરીદ વેચાણના ધંધા માટે નથી ખરીદતા, માટે આ ભેંસો પર ન દૂધારી ભેંસોની ઝકાત લાગુ પડે છે અને ન વેપારની ભેંસોની ઝકાત લાગુ પડે છે અને પ્રચલિત તબેલાઓની ભેંસો ઝકાત પાત્ર મૂડીમાં શામેલ નહિ ગણાય માટે પૂછેલી સૂરતમાં ભેંસોની કિંમતની આકારણીની ઝકાત કાઢવા માટે ઝરૂરત નહિ પડે, કારણ કે તબેલાઓની ભેંસો ઝકાતપાત્ર મિલ્કતમાં શામેલ ન હોવાથી તેની ઝકાત આપવી ઝરૂરી નથી. અલબત્ત, તબેલાનો માલિક બીજી ઝકાતપાત્ર માલ–મિલકતના આધારે માલદાર માણસ હોય તો જયારે ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે દૂધની આવકથી જે કંઈ મૂડી જમા હોય તે રોકડ મૂડીની ઝકાત આપવી પડશે અને તે મૂડીમાંથી ભેંસોનો વ્યવસ્થા ખર્ચ બાદ કરવામાં નહિ આવે, હા, પોતાના શિરે જે લોકોનું લ્હેણું કર્ઝ હોય તે કર્ઝ પૂરી ઝકાત પાત્ર મૂડી મિલ્કતમાંથી બાદ કરીને બાકી પડતી ઝકાત પાત્ર મૂડી મિલ્કતની ઝકાત આપવાની રહેશે, શર્ત એ છે કે કર્ઝ બાદ કર્યા પછી તે માણસ પાસે નિસાબના પ્રમાણમાં ઝકાતપાત્ર મૂડી મિલ્કત બાકી રહેતી હોય, જો નિસાબના પ્રમાણમાં મૂડી મિલ્કત બાકી ન રહેતી હોય તો તેના ઉપર ઝકાત ફર્ઝ નહિ થાય. (શામી – ર)
Log in or Register to save this content for later.