Chapter : ઝકાત
(Page : 66-67)
સવાલ :– મારા વાલિદ સાહેબનો ઈન્તિકાલ ૧૦ મે ૧૯૮૯ માં થયો. મારા વાલિદની છોડેલી જાઈદાદમાંથી મને બે લાખ રૂપિયા મળ્યા તો આ બે લાખ રૂપિયાની ઝકાત કયા મહિનાની કઈ તારીખે ભરવી પડશે ?
જવાબ :– જો વાલિદ સાહેબની વફાત પહેલાં તમો ઝકાતના માલથી સાહિબે નિસાબ માલદાર હતા તો તમારા માલનું વર્ષ પૂરું થતાં આ વારસામાં ઝકાત પાત્ર મળેલી મૂડીની ઝકાત પણ આપવી પડશે અને જો વાલિદ સાહેબની વફાત પહેલાં તમો ઝકાતના માલથી સાહિબે નિસાબ માલદાર ન હતા તો ઈસ્લામી મહિનાના જે દિવસથી વાલિદ સાહેબની વફાત થઈ અને તમો વારસદાર તરીકે ઝકાતપાત્ર નિસાબના માલિક બન્યા તે દિવસથી જયારે એક ઈસ્લામી વર્ષ પૂરું થઈ જાય તો તમારે ઝકાતપાત્ર માલની ઝકાત આપવી પડશે. (શામી–૧)
[રપ] ફરજિયાત પ્રોવિડન્ટની ઝકાત
સવાલ :– સરકારી નોકરિયાત કે જેમને તેમના પેમેન્ટમાંથી ફરજિયાત દર માસે પ્રોવિડન્ટ ફંડ તથા સી.ટી.ડી.ની કપાત થાય છે. પ્રો.ફંડમાં દર માસે ૮૦ રૂપિયા અને સી.ટી.ડી.માં રૂપિયા ૧ર૦/– કપાત થાય છે. સદર રકમ પાંચ વર્ષે તથા જરૂરિયાત મુજબ મળે છે તો સદર રકમ પર ઝકાત લાગુ પડશે ?
જવાબ :– જે રકમ કર્મચારીના પગારમાંથી ફરજિયાત કપાતી હોય તે રકમ જયારે કર્મચારીને મળે ત્યારે તે રકમની ઝકાત તેના ઉપર ફર્ઝ થાય છે એ શર્તે કે તે કર્મચારી નિસાબનો માલિક હોવાથી શરઈ દ્રષ્ટિએ માલદાર હોય. જો તે આ રકમ મળતા પહેલાં સાહિબે નિસાબ માલદાર હોય તો જે વર્ષે આ કપાત રકમ મળે તે વર્ષે પોતાનું ઝકાતનું વર્ષ પૂરું થાય ત્યારે પોતાની બીજી ઝકાતપાત્ર મૂડી સાથે જો આ રકમ પણ પોતાની પાસે જમા હોય તો આ રકમની પણ ઝકાત આપવી પડશે અને જો આ રકમ મળતાં પહેલાં તે સાહિબે નિસાબ માલદાર ન હોય પરંતુ આ રકમ મળવાથી જ તે માલદાર સાહિબે નિસાબ બને છે તો આ રકમ મળ્યા પછી જયારે ઈસ્લામી વર્ષ પૂરું થાય ત્યારે આ પોતાની પાસે જમા રકમની ઝકાત આપે. ફરજિયાત કપાતની રકમ પોતાને મળતા પહેલાં પાછલા વર્ષોની તેની ઝકાત આપવી ઝરૂરી નથી. (શામી –ર)
Log in or Register to save this content for later.