[ર૩] કેનટીનના વેચાયેલા ભાગની કિંમત પર ઝકાત

Chapter : ઝકાત

(Page : 64-65-66)

સવાલ :– હું સાહિબે નિસાબ છું, હમારે એક કેન્ટીન એટલે કે એક દુકાન હતી. ખાવા પીવાની સૂકી ચીજો તેમજ ઠંડા પીણા વગેરેની દુકાન હતી, એમાં હમો ભાગીદાર હતા. જે માણસ ચલાવતો હતો તેની સાથે ઈખ્તિલાફ થઈ ગયો. ઈખ્તિલાફ દૂર કરવા એક પંચ નકકી કરાઈ. જે માણસ દુકાન ચલાવતો હતો તેને પંચે આ દુકાન આઠ લાખમાં વેચાણ આપી દીધી. મારો એમાં દસ પૈસા ભાગ હતો એ દસ પૈસાના ભાગના રૂા ૮૦ હજાર મને આપવાના નકકી થયા. એજ પ્રમાણે બીજા ભાગીદારો ને પણ પૈસા આપવાનું નકકી થયું.

               આ કેન્ટીન ભાડાની જગ્યામાં હતી એની કિંમત આઠ લાખ થઈ. એ તિજારતી માલ ન હતો. મારું ઝકાતનું વરસ ર૯ શાબાન નકકી થયેલ છે. ઝકાતનું વરસ પૂરું થવાના ર૦ દિવસ પહેલાં આ ફેંસલો થયો. પૈસા આપવાની એક મહિનાની મુદ્દત હતી. મહિનો પૂરા થાય એ પહેલાં ઝકાતનું વરસ પૂરું થઈ જાય છે. પૈસા આપવાની મુદ્દત એક મહિનાની હતી, પરંતુ અંદાજિત બે મહિના થવા આવ્યા, કારણ કે ચાલુ વર્ષના વેપારનો હિસાબ કરવાનો હતો તેમાં લેટ પડયા. પંચથી હિસાબ લેટ કરાયો. તો હવે મારે એંસી હજાર (૮૦,૦૦૦)ની ઝકાત આપવી પડશે કે કેમ ? અગર નહિ આપવી પડે તો આવતા નવા વર્ષમાં હું એ પૈસા વાપરી દઉં અથવા બીજા કોઈ ધંધામાં લગાડી દઉં તો આ એંસી હજારની ઝકાત આપવી પડશે કે નહિ ?

જવાબ :– જો મઝકૂર કેન્ટીન તમો ભાગીદારોએ બનાવી હતી અને એમાં ધંધા ઉપયોગી ફર્નિચર વસાવ્યું હતું અને હવે તે કેન્ટીન અને બધા ફર્નિચરની કિંમત પેટે આઠ લાખ રૂપિયા નકકી કરી વેચાણ કરવામાં આવી તો તમારા ભાગે આવેલા એંસી હજાર રૂપિયા એ તમારા માલિકીના ભાગની કિંમત પેટે મળવાના છે અને તે ગેર તિજારતી મિલ્કતની ઉધાર કિંમત ગણાશે. માટે ફિકહના કાયદાઓ પ્રમાણે (ઝાહિરુર્ર રિવાયતની દ્રષ્ટિએ) જયારથી તે કેન્ટીન વેચાણ થઈ ત્યારથી તમારી માલિકીમાં એંસી હજાર રૂપિયા આવી ગયા એમ ગણાશે અને ઝકાતનું વર્ષ પુરું થતા પહેલાં ઝકાત પાત્ર માલ તમારી માલિકીમાં વધી ગયો એમ ગણાશે. માટે તમારા ઝકાતપાત્ર અસલ નિસાબનું વર્ષ પૂરું થયું ત્યારે મઝકૂર એંસી હજારની ઝકાત પણ તમારા ઉપર વાજિબ થઈ ગઈ, એટલે એંસી હજારની પણ ગયા વર્ષની ઝકાત આપવી પડશે. પરંતુ જયાં સુધી તે રકમ વસૂલ ન થાય તેની ઝકાતની અદાયગી ઝરૂરી નથી અને જયારે વસૂલ થાય તો પાછલી મુદ્દતની ઝકાત અદા કરવી પણ ઝરૂરી છે.

               એંસી હજાર વસૂલ થઈ ગયા પછી જો તે રકમનું તમો તિજારતી કારોબારમાં રોકાણ કરો તો તિજારતી માલના નિયમો મુજબ આવતા વર્ષોની ઝકાત લાગુ પડશે અને વસૂલ થયા પછી પોતાની ઝરૂરતોમાં ઝકાતનું વર્ષ પૂરું થતા પહેલાં ખર્ચ કરી નાંખો તો આવતા વર્ષોની ઝકાત લાગુ નહિ પડે.                                 (શામી–ર/૩પ)

Log in or Register to save this content for later.