[૩૧૪] ઈમામ કે મુક્‌તદીનુ વુઝૂ તૂટી જાય

Chapter : નમાઝ

(Page : 354)

સવાલ :– ચાલુ ફર્ઝ નમાઝમાં પેશ ઈમામની હવા ખારિજ થઈ ગઈ તો ઈમામે શું કરવું જોઈએ ? અને એ વખતે મુક્તદીએ શું કરવું જોઈએ ? અધૂરી નમાઝ કઈ રીતે પૂરી કરવી ? ઈમામે મુસલ્લા ઉપરથી કઈ રીતે ખસવું ?

                એ જ રીતે મુક્તદીની હવા ખારિજ થઈ હોય તો મુક્તદીએ સફમાંથી ચાલી જવું અથવા ત્યાં જ બેસી રહેવું ? અને જો કોઈ મુક્તદી સફમાંથી ચાલી ગયો હોય તો બાજુમાં ઉભેલા માણસે તે જગ્યા પૂર કરવી કે ખાલી રહેવા દેવી?

જવાબ :– ઈમામે હવા ખારિજ થતાં તરત જ કોઈ ઈમામત લાયક મુક્તદીને કપડું પકડીને આગળ કરી દેવો જોઈએ અને બેહિશ્તી ઝેવરમાં લખ્યા મુજબ જ્યાંથી નમાઝ બાકી હોય અને જેટલી બાકી હોય તે ઈશારાથી નવા ઈમામને બતાવી દે અને પોતે ખૂંધા માણસની જેમ પીઠ ઝુકાવી, નાક પકડીને વુઝૂ કરવા ચાલ્યો જાય અને નવો ઈમામ જ્યાંથી પહેલા ઈમામની નમાઝ બાકી હોય ત્યાંથી પઢાવવાની શરૂ કરી પૂરી કરાવે અને બીજો ઈમામ વુઝૂ કરી પોતાની નમાઝ પૂરી કરે અને મુક્તદીની હવા ખારિજ થાય તો તેણે પણ ઝુકીને ચાલી, નાક પકડી સફથી નીકળી જઈ વુઝૂ કરી નમાઝ જ્યાંથી બાકી હોય ત્યાંથી પૂરી કરવી જોઈએ. ખાલી જગ્યા પૂર કરવી જરૂરી નથી. બાકી નમાઝ ફાસિદ ન થાય એ રીતે પૂર કરવામાં આવે તો પૂર કરી લેવી બેહતર છે. ઈમામ હોય કે મુક્તદી જો નમાઝમાં આ પ્રમાણે હવા ખારિજ થઈ જાય તો બેહતર એ જ છે કે જો ઈમામ હોય તો સલામ ફેરવી વુઝૂ કરી ફરી નવેસરથી જમાઅત કરવી જોઈએ અને મુક્તદી હોય તો તેણે નમાઝ તોડી નવેસરથી જમાઅતમાં શરીક થવું જોઈએ અને જમાઅત ન મળે તો એકલા પઢી લેવી જોઈએ. શરૂ કરેલી અધૂરી નમાઝ વુઝૂ કર્યા પછી પૂરી કરવાની શર્તો અને મસાઈલ બારીક અને ઝીણવટભર્યા છે માટે બેહતર એ જ છે કે નવેસરથી નમાઝ પઢવામાં આવે.             (કબીરી : ૪પ૩)

Log in or Register to save this content for later.