[૩૧ર] ગલત પઢનારની ઈમામત

Chapter : નમાઝ

(Page : 350)

સવાલ :– હમારા ઈમામ સાહેબ સફરમાં ગયા છે. તેઓ બીજા માણસને નમાઝ માટે નક્કી કરી ગયા છે અને બીજા ઈમામ કોઈ સનદી આલિમ કે હાફિઝ નથી. જહરી નમાઝોમાં કુર્આન ઘણું જ ગલત પઢે છે. હમઝાની જગાએ ઐન અને બડી હા ની જગાએ છોટી હા પઢે છે. લુકમો આપીએ છીએ તે લેતા નથી. મોટા ભાગે મોટા હા ની જગાએ નાની હા પઢે છે. તો આ રીતે પઢનારની પાછળ નમાઝ થઈ જશે ? આવો માણસ ઈમામતના લાયક છે ? મુતવલ્લી સાહેબને જાણ કરતાં કહે છે કે ઈમામને દૂર કરવામાં ફિત્નો થાય એમ છે, તો આ બધી વસ્તુઓનો જવાબદાર કોણ ? મુતવલ્લી કે અસલ ઈમામ ? હવે પાછળ નમાઝ પઢવી કેવી છે ? મુતવલ્લીને જાણ કરવાથી હમારી જવાબદારી પૂરી થઈ જાય છે ?

જવાબ :– જો આ નાયબ ઈમામ સાહેબ હુરૂફ એવી રીતે પઢે છે કે સાફ મખરજથી અદા થતા માલૂમ પડતા નથી એટલે “હમઝહ” અને “હા” તો નમાઝ દુરુસ્ત થઈ જશે.       (શામી : પ૪પ–પ૯, ભાગ–૧)

                જો આ નાયબ ઈમામ ઈરાદાપૂર્વક ‘‘ફીહાને ‘‘ફીમા પઢતા હોય તો નમાઝ ફાસિદ થઈ જશે.  (શામી : ૧/પ૯૦)

                અને જો ઈરાદાપૂર્વક એમ ન પઢતા હોય ભૂલથી પઢાઈ જતું હોય તો નમાઝ ફાસિદ નહિં થાય.

(ઈમ.ફતાવા :૧/ર૪ર)

                પરંતુ આ ઈમામ સા. જો લખવા મુજબ સહીહ ન પઢતા હોય અને ન પઢી શકતા હોય તો એમણે ઈમામત ન કરાવવી જોઈએ. એમની ઈમામત મકરૂહ છે. (શામી : પ૪૪, ભાગ–૧) બલ્કે મુતકલ્લિમીન ના અહવત મસ્લક પ્રમાણે તો જાઈઝ પણ નહિં કહેવાય. જ્યારે આ જમાઅતમાં કુર્આન શરીફ દુરુસ્ત પઢનારા લોકો મવજૂદ છે અને મજકૂર માણસની ઈમામતથી ગલત પઢવાના કારણે લોકો નફરત કરે છે તો આવી સૂરતમાં આ ઈમામની નમાઝ મકરૂહે તહરીમી થશે. આવા ઈમામ માટે હુઝૂર અકરમ (સલ.)એ વઈદ ફરમાવી છે કે એવા માણસની નમાઝ અલ્લાહ તઆલા કબૂલ નહી ફરમાવે કે જે લોકોને નાપસંદ હોવા છતાં આગળ વધી ઈમામત કરાવે.                    (દુર્રે મુખ્તાર :૧/પરર)

                જેવી રીતે અસલ ઈમામ નક્કી કરવાનો અધિકાર મુતવલ્લીનો છે એ જ પ્રમાણે નાયબ ઈમામ નક્કી કરવાનો અધિકાર પણ મુતવલ્લીને છે, માટે અસલ ઈમામે જે બીજા માણસને નક્કી કર્યા છે તે ઈમામત માટે જરૂરી નથી, જ્યારે કે તે ગલત પણ પઢે છે. (કિફાયતુલ મુફતી, ભાગ–૩, ૩૪/૮ર, ભાગ–૭/૧૮૯)

                હવે મુતવલ્લી સાહેબ પર જરૂરી છે કે બીજા કોઈ લાયક માણસને ઈમામ નક્કી કરે જો ગલત પઢનારને હટાવી શકવા હોવા છતાં મુતવલ્લી સા. ચલાવી લેશે તો મુતવલ્લી સાહેબ ગુનેહગાર થશે અને બીજા નમાઝીઓની જવાબદારી પૂરી થઈ જશે.    (કિફાયતુલ મુફતી : ૩/૮૯)

                જો નમાઝીઓ બીજા કોઈ સહીહ પઢનારને નક્કી કરી શકતા હોય તો કરી શકે છે.(કિફાયતુલ મુફતી, ભાગ–૧/૩૪)

                જો મુતવલ્લી આ ઈમામને હટાવતા ન હોય કે હટાવી ન શકતા હોય અને ઈમામ ઈમામતને જબરદસ્તી વળગી રહેતા હોય તો જો બીજી મસ્જિદ હોય તો ત્યાં જઈ નમાઝ પઢવાની પણ ગુંજાઈશ છે, નહિં તો જમાઅત ન છોડે આ ઈમામની પાછળ જ નમાઝ પઢી દોહરાવી લે, તાકે જમાઅતનો સવાબ પણ હાસિલ થઈ જાય અને કરાહતના નુકસાનની તલાફી પણ થઈ જાય.   (કિફાયતુલ મુફતી–૩/૮૭, ઈ. ફતાવા–૧/૪૦૬)

Log in or Register to save this content for later.