[૩૦૯] રજાઓમાં નાયબ ઈમામ નક્કી કરવાની જવાબદારી

Chapter : નમાઝ

(Page : 348)

સવાલ :– ઈમામ સાહેબ ઈદ પ્રસંગે અથવા પોતાની અંગત જરૂરત માટે બે–ચાર દિવસ માટે રજા ઉપર વતનમાં જાય તો ઈમામત માટે નાયબ નક્કી કરવાની જવાબદારી ઈમામ સાહેબની ગણાશે અથવા મુતવલ્લીની ગણાશે ? અને બે–ચાર દિવસનો પગાર આપવાની જવાબદારી અસલ ઈમામની રહેશે અથવા મુતવલ્લી સાહેબની રહેશે ?

જવાબ :– ઈમામ સાહેબ સાથે ઈમામતનો મામલો નક્કી કરતી વખતે જો એમ નક્કી થયું હોય કે આપને મહિના દરમિયાન કે વર્ષ દરમિયાન આટલી રજાઓ ચાલુ પગારે મળશે, પરંતુ તમારે રજાઓ દરમિયાન નાયબ ઈમામ નક્કી કરીને જવાનું રહેશે, તો નાયબ ઈમામ નક્કી કરવાની અને તેને પગાર આપવાની ઝિમ્મેદારી ઈમામ સાહેબની રહેશે અને નિમણૂંક વખતે ફક્ત રજાઓની વાતચીત થઈ હોય, નાયબ ઈમામ કોણે નક્કી કરવાનો એ વિષે કોઈ ચોખવટ ન થઈ હોય તો આમ લોકોના નિતી નિયમને જોવામાં આવશે. સામાન્ય પ્રથા આ પ્રમાણે છે કે અસલ ઈમામ પોતાની જગ્યાએ બીજા માણસનો બંદોબસ્ત કરીને જાય છે, તો આ સૂરતમાં પણ નાયબ ઈમામ નક્કી કરવાની અને તેમને રજાઓના દિવસોનો પગાર નક્કી કરી આપવાની જવાબદારી અસલ ઈમામની જ રહેશે. અલબત્ત, મુતવલ્લી સા. તરફથી અસલ ઈમામ સાહેબ રજાઓનો પગાર લેવાના હકદાર ગણાશે અને જો ચાલુ પગારની રજાઓ વિષે ચોખવટ થઈ ગઈ હોય કે રજાઓમાં નાયબ ઈમામ નક્કી કરવાની જવાબદારી ઈમામ સાહેબની નહિ રહે તો આ સૂરતમાં નિયુક્ત ઈમામ સાહેબની રજાઓમાં નાયબ ઈમામ નક્કી કરવાની અને તેમને પગાર આપવાની જવાબદારી મુતવલ્લી સાહેબની ગણાશે અને અસલ ઈમામ સાહેબને પૂરો પગાર એટલે કે રજાઓનો પગાર પણ આપવાનો રહેશે.(ઈમ. ફતાવા ર/૬૪૧, શામી ૩/૪૦૯)

Log in or Register to save this content for later.