[૩૦૧] નમાઝીનું પોતાને મસબૂક સમજી ઊભા થઈ જવું

Chapter : નમાઝ

(Page : 327)

સવાલ :– કોઈ માણસ ઈમામની નમાઝમાં પહેલી રકાતથી શરીક હોય અને તે ભૂલથી એવું સમજીને કે મારી એક રકાત છૂટી ગઈ હતી, ઈમામની સલામ ઉપર ઊભો થઈ જાય અને તેની કોઈ રકાત છૂટી નથી, એવું યાદ આવવા ઉપર બેસી જાય તો હવે તે માણસ કઅદહમાં બેસીને ફકત સલામ કહી ફારિગ થઈ જાય અથવા તેણે સજદએ સહવ કરવો પડશે ?

જવાબ :– સામાન્ય હુકમ તો આ પ્રમાણે છે કે ઈમામ સાથે નમાઝ પઢવાની હાલતમાં મુક્તદીની સજદએ સહવ વાજિબ થવા પાત્ર ભૂલથી તેના ઉપર સજદએ સહવ વાજિબ થતો નથી, કારણકે જો તે ઈમામની સલામથી પહેલાં સજદહ કરે તો નમાઝમાં પોતાના ઈમામની વાજિબ તાબેદારી છોડનાર અને તેની મુખાલફત કરનાર ઠરે અને જો ઈમામની સલામ પછી સજદએ સહવ કરે તો નમાઝ પૂરી થઈ ગયા પછી સજદએ સહવ કરનાર ઠરે, કારણકે ઈમામની સલામથી મુદરિક મુક્તદી નમાઝથી બહાર થઈ જાય છે અને તેની નમાઝ પૂરી થઈ જાય છે. હાલાં કે સજદએ સહવ નમાઝ પૂરી થતાં પહેલાં અને નમાઝથી બહાર નીકળતાં પહેલાં નમાઝની અંદર અદા કરવાનો હોય છે.

                પૂછેલી સૂરતમાં ઈમામની સલામ પછી મુકતદીથી એવી ભૂલ થઈ છે જેના કારણે સજદએ સહવ વાજિબ થાય છે એટલે કે પોતાને મસબૂક સમજી ઈમામની સલામ પછી ઊભા થઈ જવાથી પોતાની સલામમાં મોડું કરવાની ભૂલ થઈ છે અને અમુક ફુકહાએ કિરામ (રહ.)ના મંતવ્ય મુજબ જયાં સુધી મુકતદી સલામ ન કહે ત્યાં સુધી માત્ર ઈમામની સલામથી મુકતદીની નમાઝ પૂરી થતી નથી અને તે પોતાની નમાઝથી બહાર નીકળતો નથી, માટે મજકૂર સૂરતમાં મુકતદી ઉપર સજદએ સહવ વાજિબ થશે અને ઉપરોકત મંતવ્ય મુજબ તે મુકતદી હોવા છતાં ઈમામની સલામ ઉપર ભૂલથી ઊભા થયા પછી કઅદહમાં બેસી જઈને તુરત સજદએ સહવ અદા કરી શકે છે.

(‘શામી ૧/૪૯૯, ‘અહસનુલ ફતાવા ૪)

Log in or Register to save this content for later.