[૩૦ર] મસબૂકની છૂટેલી નમાઝની તરતીબ

Chapter : નમાઝ

(Page : 328-329-330)

સવાલ :– ફતાવા રહીમિય્યહ (ઉર્દૂ, ભા ૧, પે. નં. ૧૮પ, ૧૮૬) માં છે કે,

‘‘જો મગરિબની ફર્ઝ નમાઝમાં કોઈ મુકતદીને ઈમામ સાથે છેલ્લી રકાત મળે તો બંને રકાતો પર બેસવું બેહતર છે, જો નહિ બેસે તો (પહેલો કઅદહ છોડવાના કારણે) સજદએ સહવ વાજિબ નહિ થાય અને નમાઝ દુરૂસ્ત થઈ જશે.

                તો શું આ હુકમ બંને રકાતો વચ્ચે ભૂલથી કઅદહ છૂટી જવાનો છે? જો કોઈ મસબૂક મુકતદી ઈરાદાપૂર્વક બંને રકાતો વચ્ચે કઅદહ છોડી

આપે અને માત્ર છેલ્લી રકાત પછી કઅદહમાં બેસે તો સજદએ સહવ વાજિબ થશે કે નહિ ? એવી જ રીતે અસર અથવા ઈશાની જમાઅતની નમાઝમાં કોઈ મુકતદી ત્રણ રકાતો થઈ ગયા પછી શરીક થાય અને માત્ર એક રકાત તેને ઈમામ સાથે મળે અને ઈમામની સલામ પછી પોતાની છૂટેલી ત્રણ રકાતો એ પ્રમાણે પઢે કે બે રકાતો પઢીને પહેલો કઅદહ કરે અને ત્રીજી રકાત પઢીને બીજો કઅદહ કરે તો આ પ્રમાણે પોતાની છૂટેલી રકાતોમાં પહેલો કઅદહ બીજી રકાત પછી કરે તો તેના ઉપર સજદએ સહવ વાજિબ થશે કે નહિ ? મજકૂર મસ્બૂકે છૂટેલી નમાઝ કેવી રીતે પઢવી જોઈએ ?

જવાબ :– ઈમામ મુહમ્મદ (રહ.)ના વિશ્વાસપાત્ર મંતવ્ય મુજબ મસબૂક મુકતદીની છૂટેલી રકાતો પઢવાની મશહૂર તરતીબ આ પ્રમાણે બતાવવામાં આવી છે કે ઈમામના સલામથી ફારિગ થયા પછી મસબૂક જયારે પોતાની છૂટેલી રકાતો અદા કરવા મુનફરિદ બનીને ઊભો થાય તો પોતાની છૂટેલી નમાઝને કિરાઅતની દ્રષ્ટિએ શરૂ રકાતો સમજીને પઢે અને કઅદહની દ્રષ્ટિએ તેને છેલ્લી રકાતો સમજીને પઢે. આ તરતીબ મુજબ ઈમામ સાથે મગરિબની છેલ્લી એક રકાત પામનાર મસ્બૂકે પોતાની છૂટેલી બે રકાતો આ પ્રમાણે પઢવી જોઈએ કે સના, તઅવ્વુઝ અને તસ્મિયહ પઢયા પછી સૂરએ ફાતિહા અને કોઈ સૂરત પઢીને રુકૂઅ સજદહ વગેરે અદા કરીને એક રકાત પૂરી કરી પહેલો કઅદહ અદા કરે અને કઅદહથી ઊભા થઈ સૂરએ ફાતિહા અને સૂરત પઢી બીજી રકાત પૂરી કરી બીજો કઅદહ અદા કરી પોતાની નમાઝ પૂરી કરી લે.

                અને ઈમામ સાથે અસર અથવા ઈશાની છેલ્લી એક રકાત પામનાર મસ્બૂકે પોતાની છૂટેલી ત્રણ રકાતો મજકૂર મશહૂર તરતીબ મુજબ આ પ્રમાણે પઢવી જોઈએ કે ઈમામની સલામ પછી ઊભા થઈને સના, તઅવ્વુઝ અને તસ્મિયહ પઢીને એક રકાત પૂરી કરી પહેલો કઅદહ અદા કરે (કારણકે કઅદહની દ્રષ્ટિએ મસ્બૂકની આ બીજી રકાત પૂરી થઈ છે) અને કઅદહથી ઊભા થઈને સૂરએ ફાતિહા અને સૂરત પઢી બીજી રકાત પૂરી કરે (કારણકે કિરાઅતની દ્રષ્ટિએ મસ્બૂકની આ બીજી રકાત છે અને કઅદહની દ્રષ્ટિએ તેની ત્રીજી રકાત છે) અને પછી કઅદહ કર્યા વિના ઊભા થઈ ફકત સૂરએ ફાતિહા પઢી ત્રીજી રકાત પૂરી કરે. (કારણકે કિરાઅતની દ્રષ્ટિએ મસ્બૂકની આ ત્રીજી રકાત છે) અને પછી બીજો કઅદહ અદા કરી નમાઝ પૂરી કરે. (કારણકે કઅદહની દ્રષ્ટિએ મસ્બૂકની આ ચોથી અને છેલ્લી રકાત હતી.)

                પરંતુ જો કોઈ મસ્બૂક મુકતદીએ મજકૂર સૂરતમાં મગરિબની છૂટેલી બે રકાતોમાંથી અને અસર, ઈશાની છૂટેલી ત્રણ રકાતોમાંથી એક રકાત પઢીને પહેલો કઅદહ અદા ન કર્યો બલ્કે મગરિબની નમાઝમાં બે છૂટેલી રકાતો પઢીને કઅદએ અખીરહ (બીજો કઅદહ) કર્યો અને અસર, ઈશા જેવી ચાર રકાતવાળી નમાઝની છૂટેલી ત્રણ રકાતોમાંથી બે રકાતો પઢીને પહેલો કઅદહ અદા કર્યો તો ચાહે ભૂલથી આવુ કર્યું હોય અથવા ઈરાદાપૂર્વક આવું કર્યું હોય, બંને સૂરતોમાં તેની નમાઝ દુરૂસ્ત અને જાઈઝ ગણાશે અને ભૂલથી આ પ્રમાણે કરવાની સૂરતમાં મગરિબની નમાઝમાં મશહૂર તરતીબ મુજબ પહેલો કઅદહ છૂટી જવાના કારણે અને અસર–ઈશાની નમાઝમાં પહેલો કઅદહ મોડો અદા થવાના કારણે સજદએ સહવ કરવો વાજિબ નહિ થાય અને ઈરાદાપૂર્વક આ પ્રમાણે કરવાની સૂરતમાં નમાઝનો ઈઆદહ કરવો વાજિબ નહિ થાય. કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે મસ્બૂકની છૂટેલી નમાઝ એક દ્રષ્ટિએ શરૂની નમાઝ ગણાય છે, માટે એમ સમજાશે કે તેની મગરિબની નમાઝમાં પહેલો કઅદહ છૂટયો નથી અને અસર–ઈશાની નમાઝમાં પહેલો કઅદહ અદા કરવામાં મોડું થયું નથી.                    (‘શામી ૧/૪૦૧, ‘શર્હે મુન્યહ ૪૬૮)

Log in or Register to save this content for later.