[૧૩૮] તમત્તુઅ હજની કુરબાની છૂટી જાય

Chapter : હજ

(Page : 195-196-197)

સવાલ :– એક માણસ ચાલુ વર્ષે  ર૦૦પમાં હજ માટે ગયા અને તેમણે તમત્તુઅ હજ પઢી, તેમણે તમત્તુઅ હજની કુરબાની કરવા માટે એક માણસને કુરબાની કરવાનો વકીલ બનાવ્યો, તેની સાથે થયેલી વાતચીત મુજબ હાજીએ એમ સમજીને કે વકીલે મારી કુરબાની કરી લીધી હશે, માથું મૂંડાવી હલાલ થઈ ગયા, કુરબાનીના દિવસો પછી તેમને ખબર પડી કે વકીલે તેમના તરફથી તમત્તુઅ હજની કુરબાની કરી નથી.

                તો હવે આ હાજી હજની કુરબાની કેવી રીતે અદા કરે અને હવે આ કુરબાની કયાં અદા કરે? શું તેઓ આ કુરબાની પોતાના વતનમાં અદા કરી શકે ? આ હજની કુરબાની અદા કરવા તેમણે ઈદના દિવસો વીતી ગયા પછી ઈદની કુરબાનીની કઝાની જેમ કુરબાની લાયક જીવતા જાનવરનો અથવા તેની કિંમતનો સદકહ કરવો પડશે કે કુરબાની લાયક જાનવર ઝબહ કરવું પડશે? જો જાનવર ઝબહ કરવું પડે તો કુરબાનીના દિવસો પછી ઝબહ કરવામાં આવતી આ હજની કુરબાનીનો ગોશ્ત હાજી પોતે અને બીજા માલદાર માણસો ખાય શકે કે નહિ?

જવાબ :– પૂછેલી સૂરતમાં મજકૂર માણસે પોતાની તમત્તુઅ હજની કુરબાની, કુરબાની અને હજના દિવસો વીતી ગયા પછી પણ ત્યાં હુદૂદે હરમમાં જ ઝબહ કરવી જરૂરી છે અને આ કુરબાનીના વાજિબ હોવા બાબત બધા જ ઈમામો સંમત છે અને હુદૂદે હરમમાંથી મક્કહ મુકર્રમહમાં આ કુરબાની ઝબહ કરવી અફઝલ છે, જો મજકૂર હાજી પોતે હરમમાં હોય તો પોતે જાનવર ખરીદીને પોતે પણ ત્યાં કુરબાની કરી શકે છે અને કોઈને વકીલ બનાવી બીજા પાસે પણ ત્યાં હરમમાં કુરબાની કરાવી શકે છે અને જો મજકૂર હાજી પોતાના વતનમાં હોય તો ફોન અથવા ફેકસ દ્રારા સઉદીમાં રહેનાર કોઈ ઓળખીતા માણસને કુરબાની ખરીદવા અને કુરબાની કરવાના વકીલ બનાવી કુરબાની કરાવી શકે છે, કુરબાની માટે પોતે હરમમાં જવું જરૂરી નથી. હજની આ કુરબાની પોતાના વતનમાં કરવી જાઈઝ નથી, કારણ કે આ કુરબાની પોતાના વતનમાં કરશે તો સહીહ નહિ ગણાય.

                મજકૂર તમત્તુઅ હજની કુરબાની અદા કરવા માટે કુરબાનીના દિવસો વીતી ગયા પછી પણ કુરબાની લાયક જાનવર જ ઝબહ કરવું પડશે અને ઈદની કુરબાનીની કઝાની જેમ જીવતા જાનવરનો સદકહ કરવો અથવા તેની કિંમતનો ગરીબોને સદકહ કરવો જાઈઝ નથી.(બહર–ર/૭ર, ઉમ.ફિકહ–૪/૬પ૩)

                રહી વાત કુરબાનીના દિવસો પછી મોડી ઝબહ કરવામાં આવતી આ કુરબાનીના ગોશ્તની. તો આ વિશે ફિકહ – ફતાવાની કોઈ કિતાબમાં ચોખવટ જોવા મળી નથી. પરંતુ હજ અને ઈદની કુરબાનીને લગતા બે મસ્અલાઓથી એ સાબિત થાય છે કે હજની આ કુરબાનીનો ગોશ્ત કુરબાનીના માલિકે પોતે અને બીજા માલદાર લોકોએ ખાવો જાઈઝ છે.    (ગુન્યતુન્નાસિક – ૧૯૧)

                તમત્તુમ હજની કુરબાની કુરબાનીના દિવસો (દસમી ઝુલહજથી બારમી ઝુલહજના ગુરૂબે આફતાબ સુધી)માં ઝબહ કરવી વાજિબ છે, માટે કુરબાનીના દિવસો વીતી ગયા પછી કુરબાની કરવાથી તમત્તુમ હજની કુરબાની સિવાય બીજી એક કુરબાની જિનાયતના દમ પેટે વાજિબ છે, અને જિનાયતના કફફારહની આ કુરબાની પણ હરમમાં જ ઝબહ કરવામાં આવશે, પોતાના વતનમાં ઝબહ કરવી જાઈઝ નથી અને હરમમાં ઝુબહ કરી ગરીબોને તેનો ગોશ્ત સદકહ કરવો પડશે. દમની આ કુરબાનીનો ગોશ્ત પોતે અથવા બીજા માલદારોએ ખાવો જાઈઝ નથી. (શામી–ર/ર૦૮, હિદાયહ–ર૭૬)

Log in or Register to save this content for later.