[૧૩૧] હાજીઓ માટે ઈદની નમાઝ

Chapter : હજ

(Page : 186-187)

સવાલ :– બકરી ઈદની નમાઝ વાજિબ છે, હવે અમે હજ પઢવા ગયેલ ત્યારે ઝુલહજની દસમી તારીખે હજના જે કામો કરવાના હોય છે, રમી, કુરબાની, હલક વગેરે તે અમે કરેલ, પરંતુ બકરી ઈદની નમાઝ કોઈ જગ્યાએ થયેલ નથી અને અમે પઢયા નથી, જાણકારોથી પૂછતાં અમને એમ જાણવા મળેલ કે હજના અરકાનમાં હાજી રોકાયેલ હોવાથી તેના માટે ઈદની નમાઝ નથી. અમારા મવલાનાને પૂછયું કે હાજી માટે ઈદની નમાઝ છે કે નહિ? તો તેમણે આ બાબત જાણકારી ન હોવાનો જવાબ આપ્યો. તો હજની અદાયગી દરમ્યાન અમારી ઉપર ઈદની નમાઝ વાજિબ હતી કે નહિ? અને ઈદની નમાઝ ન પઢવાથી ગુનેહગાર ગણાય કે નહિ? અને શું તે બદલ અમારે તવબહ કરવી પડશે? અમે હજના મસાઈલની કિતાબોમાં એવું વાંચ્યુ છે કે હાજીથી ઈદની નમાઝ માફ છે. (સહીહ જવાબ આપશો.)

જવાબ :– હાજીઓ દસમી ઝુલહજના દિવસે હજના ઘણા કામોમાં મશ્ગૂલ હોય છેે. એટલે હજ પઢનાર લોકો માટે ઈદની નમાઝ વાજિબ નથી, હાજીઓના ઝિમ્મેથી ઈદની નમાઝ માફ છે અને આ મસ્અલહ ઈત્તેફાકી અને ઈજમાઈ છે, તે બાબત ઉલમાએ ઉમ્મતમાં કોઈ ઈખ્તિલાફ અને મતભેદ પણ નથી, માટે હાજીઓએ ઈદની નમાઝ ન પઢવાથી વાજિબ નમાઝ છોડેલી નહિ ગણાય અને તેઓ ગુનેહગાર નહિ ગણાય, તેમણે આ બાબત તવબહ કરવાની પણ જરૂરત નથી. આપે હજના મસાઈલની કિતાબોમાં જે મસ્અલહ વાંચ્યો છે, તે સહીહ અને બરાબર છે અને આપે તે મુજબ અમલ કર્યો અને ઈદની નમાઝ ન પઢયા તે પણ બરાબર છે.     (શામી–ર/૧૮૪)

Log in or Register to save this content for later.