Chapter : હજ
(Page : 190-191-192-193)
સવાલ :– અમારું હજ માટેનું ટુર ઈન્શાઅલ્લાહ ર૬ જાન્યુઆરી ર૦૦૪ના મુંબઈ એરપોર્ટથી રવાના થશે અને મારી હૈઝની તારીખ પણ એ જ દિવસો દરમ્યાન છે. હું હજ્જે તમત્તુઅ કરવા માંગુ છું, જેમાં પહેલાં ઉમરહની નિય્યતથી એહરામ પહેરવું પડે છે અને ઉમરહના અરકાન અદા કર્યા પછી ઉમરહનો એહરામ ઉતારી અને પછી હજના દિવસોમાં એટલે કે આઠમી ઝુલહજના હજની નિય્યતથી હજનું એહરામ પહેરવું પડશે. અને મારી આદત પ્રમાણે મારી હૈઝની તારીખ પણ એ જ દિવસો દરમ્યાન છે. જેથી મારે એ જાણવું છે કે, કદાચ પચાસ ટકા હું આઠમી ઝુલહજ પહેલાં હૈઝથી પાક થઈ ગઈ તો મારો ઉમરહ થઈ જશે, પરંતુ કદાચ પચાસ ટકા આઠમી ઝુલહજ સુધી હું હૈઝથી પાક ન થઈ શકી તો મારે ઉમરહનો એહરામ કઈ રીતે ઉતારવાનો રહેશે? કારણ કે ઉમરહનો તવાફ થશે નહીં અને તવાફ વગર ઉમરહનો એહરામ ઉતરશે નહીં, તો મારે ઉમરહનું એહરામ કઈ રીતે ઉતારવું અને શું કરવું? અને ઉમરહ કયારે કરવું અને એની જિનાયત શું છે? વિગત વાર જણાવવા મહેરબાની કરશો.
જવાબ :– તમારા જેવી હૈઝ (માસિક)ની ચોક્કસ આદતવાળી ઔરત કે જેને હૈઝની હાલતમાં ઉમરહનો એહરામ બાંધ્યા પછી નવમી ઝુલહજનો દિવસ શરૂ થતાં સુધી હૈઝથી પાક થવાનો ગાલિબ ગુમાન અને સંતોષ ન હોય તો તેણે મીકાત ઉપરથી ઉમરહનો એહરામ ન બાંધવો અને હજે ઈફરાદનો એહરામ બાંધવો એ બેહતર છે, કારણ કે ચાહે ઈફરાદ કરતાં તમત્તુઅ હજ અફઝલ છે, પરંતુ આવી હાલતમાં તમત્તુઅનો ઉમરહ અદા કર્યા વિના જ ખોલવો ન પડે અને જિનાયતનો દમ આપવો ન પડે. (શામી–ર)
તેમ છતાં જો તમો તમત્તુઅ હજના ઈરાદાથી મીકાત ઉપરથી ઉમરહનો એહરામ બાંધો અને નવમી ઝુલહજ (યવમે અરફહ)ની સુબહ પહેલાં એ પ્રમાણે હૈઝ બંધ થઈ જાય કે ગુસલ કરી પાક થઈને ઉમરહના તવાફ અને સઈ કરી, વાળ કપાવી ઉમરહના એહરામથી હલાલ થઈ શકો તો એ પ્રમાણે અમલ કરવો જોઈએ અને પછી હરમમાં તમત્તુઅ હજનો એહરામ બાંધી અરફાતના મેદાનમાં જવું જોઈએ અને નવમીની સવાર પહેલાં ઉમરહ થઈ જાય તો મિનામાં આવવું જોઈએ અને તુલૂએ આફતાબ પછી ત્યાંથી અરફાત જવું જોઈએ અને આ પ્રમાણે અમલ કરવાથી તમત્તુઅ હજ અદા થશે અને તમત્તુઅ હજની કુરબાની આપવી પણ વાજિબ થશે અને પોતે તેનો ગોશ્ત ખાવો પણ જાઈઝ ગણાશે.
અને જો તમો નવમી ઝુલહજ (અરફહના દિવસ)ની સુબ્હ સુધી ઉપર મુજબ હૈઝથી પાક થઈને ઉમરહ ન કરી શકો તો ઉમરહનો એહરામ છોડવો પડશે અને તેને છોડવાની રીત આ પ્રમાણે છે કે ઉમરહનો એહરામ છોડવાની નિય્યતથી માથાના વાળ ખોલી તેમાં તેલ નાંખી કાંસકી કરવામાં આવે અથવા એહરામના પ્રતિબંધિત કામોમાંથી બીજું કોઈ કામ (જેમ કે નખ કાપવા, સુગંધ લગાડવી) કરવામાં આવે, આ પ્રમાણે કરવાથી ઉમરહનું એહરામ છૂટી ગયેલું ગણાશે. (ઉમ. ફિકહ–૪/૩ર૮)
હઝરત આઈશહ (રદિ.) ફરમાવે છે કે, (તમત્તુઅ હજ પઢનારાઓની જેમ) મેં પણ (મીકાત ઉપરથી) ઉમરહનો એહરામ બાંધ્યો હતો અને મક્કહ મુકર્રમહમાં દાખલ થતાં પહેલાં મને હૈઝ વહેવાનું શરૂ થઈ ગયું અને હૈઝની હાલતમાં જ હતી અને અરફહનો દિવસ (૯ મી ઝિલ હજનો દિવસ) શરૂ થઈ ગયો તો મેં આ વાતની શિકાયત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને કરી. તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે તમો ઉમરહ (નો એહરામ) છોડી આપો અને માથાના વાળ ખોલી નાંખો અને કાંસકીનો ઉપયોગ કરી લો અને હજનો એહરામ બાંધી લો. મેં એ પ્રમાણે અમલ કર્યો અને જયારે (મિનાથી જવાની) મુહસ્સબની રાત્રી આવી તો (મારા ભાઈ) અબ્દુર્રહમાન (રદિ.)ને મારી સાથે મોકલ્યા. તેઓ મને સવારી પર પોતાની પાછળ બેસાડી મકામે તનઈમ લઈ ગયા. ત્યાં હઝરત આઈશહ (રદિ.) એ છોડી દીધેલા ઉમરહના બદલે કઝા ઉમરહનો એહરામ બાંધ્યો અને અલ્લાહ તઆલાએ તેમની હજ અને ઉમરહ પૂરા કરાવી દીધા. (બુખારી શરીફ : ૧/ર૪૦)
ઉપરની હદીષ મુજબ હજના દિવસો પૂરા થઈ ગયા પછી એટલે કે ૧૩મી ઝુલહજ પછી મજકૂર છોડી દીધેલા ઉમરહની કઝા કરવી જરૂરી છે અને મીકાત ઉપરથી ઉમરહનું એહરામ બાંધ્યા પછી, ઉમરહ અદા કર્યા વગર એહરામ છોડી આપવાના કારણે કુરબાની લાયક એક નાના જાનવરનો અથવા મોટા જાનવરના સાતમા ભાગનો દમ આપવો પણ વાજિબ છે અને આ દમની કુરબાની ગણાશે, તમત્તુઅ, હજની કુરબાની નહિ ગણાય. (ઉમ. કારી –૧૦/૧ર૩, શામી–ર)
Log in or Register to save this content for later.