Chapter : હજ
(Page : 163-164)
સવાલ :– હજમાં તવાફે કુદૂમ વખતે હૈઝવાળી ઔરતનો શુ હુકમ છે તેમજ તવાફે સદર (ઝિયારત) અને તવાફે વિદાઅ વખતે શું કરે? તેમજ વુકુફે અરફાત, મિના માટે અને વુકુફે મદીનહ માટે અને અન્ય બાબતોમાં તેના માટે શું હુકમ છે?
જવાબ :– જે ઔરતને તવાફે કુદૂમથી પહેલાં હૈઝ આવે અને તવાફ કરવાના વખતે તે હૈઝની હાલતમાં હોય તેના માટે તવાફે કુદૂમ માફ છે અને પાક થયા પછી તેની કઝા કરવી પણ જરૂરી નથી. તવાફે ઝિયારત વખતે ઔરત હૈઝની હાલતમાં હોય તો હૈઝથી પાક થતાં સુધી તેણે તવાફ મોડો કરવો જોઈએ, હૈઝની હાલતમાં તવાફ કરવો જાઈઝ નથી, અલબત્ત, જયારે હૈઝથી પાક થઈ જાય ત્યારે મજકૂર તવાફ કરવો જરૂરી છે, કારણ કે આ તવાફ માફ નહિ થાય અને હૈઝથી પાક થયા પછી જયાં સુધી આ તવાફ અદા નહિ કરે ત્યાં સુધી તે ઔરત એહરામથી હલાલ નહિ થાય. તવાફે સદર તવાફે વિદાઅનું બીજું નામ છે, માટે તવાફે ઝિયારતને તવાફે સદર કહેવું દુરસ્ત નથી. (શામી – ર/૧૪૮)
તવાફે વદાઅનો હુકમ આ છે કે જો હૈઝવાળી ઔરત હૈઝની હાલતમાં જ વાપસીની નિય્યતથી મક્કહ મુકર્રમહની આબાદીથી બહાર નીકળી જયા તો તેના માટે આ સૂરતમાં તવાફે વિદાઅ માફ થઈ જાય છે, તેણીએ હૈઝથી પાક થયા પછી પાછા ફરવું અને તવાફ કરવો અથવા મજકૂર તવાફના બદલે દમ દેવો વાજિબ નથી અને જો હૈઝથી પાક થતાં સુધી તે મક્કહમાં જ થોભવાની હોય તો તેણીએ પાક થયા પછી તવાફે વિદાઅ કરવો વાજિબ છે.
હૈઝની હાલતમાં એહરામ બાંધવો, વુકૂફે અરફાત, વુકૂફે મુઝદલિફહ કરવો, મિનામાં જઈ જમરાતની રમી કરવી અને મદીનહ મુનવ્વરહ જઈ ત્યાં રહેવું આ બધા કામો જાઈઝ છે, હૈઝના કારણે આ કામો નાજાઈઝ નહિ ઠરે, અલબત્ત, હૈઝની હાલતમાં કોઈ પણ મસ્જિદમાં દાખલ થવું અને મસ્જિદે નબવીમાં દાખલ થઈને રવઝહ મુબારકહ પર હાજરી આપવી જાઈઝ નથી. (ઝુબ. મનાસિક : ૧/રર૪)
Log in or Register to save this content for later.