Chapter : હજ
(Page : 160-161-162-163)
સવાલ :– હજ અને ઉમરહના તવાફમાં દરેક ચક્કરની અલગ અલગ દુઆ બતાવવામાં આવે છે અને સાતે સાત ચક્કરોની દુઆ અલગ અલગ પઢવાની હોય છે. જિદ્દહથી મકકહ મુકર્રમહમાં પહોંચીએ ત્યારે મુઅલ્લિમના માણસો તવાફ તથા સફા – મરવાની સઈ એક વખત કરાવે છે અને તે એટલા ઝડપથી તવાફ કરાવતા હોય છે કે પાછળના માણસો પૂરી રીતે સાંભળી પણ શકતા નથી અને દુઆ પઢનારા ઘણા વખતે ગલત પઢતા હોય છે. તો અમુક લોકોનું કહેવું એવું છે કે દુઆ ન સંભળાય તેની જગ્યાએ ત્રીજો કલિમો પઢવો બેહતર છે. ઘણા લોકો તવાફ વખતે કિતાબમાંથી દુઆ પઢતા હોય છે. તો શું દરેક ચક્કરની અલગ અલગ દુઆ પઢવી જરૂરી છે અને કિતાબમાં જોઈને પઢવી જાઈઝ છે કે મોઢે યાદ કરવી જરૂરી છે કે પછી ત્રીજો કલિમો પઢવો જોઈએ? વિગતથી જણાવશો.
જવાબ :– તવાફની જે પ્રખ્યાત દુઆઓ છે તે પઢવી વાજિબ અને જરૂરી નથી. દરેક ચક્કરની અલગ અલગ દુઆ પઢયા વગર તવાફ કરવામાં આવે તો પણ તવાફ જાઈઝ અને દુરસ્ત થઈ જાય છે. અલબત્ત, તવાફ કરતી વખતે દુઆઓ પઢવી અથવા ઝિક્ર કરવું મુસ્તહબ છે, અને તે દુઆઓ આહિસ્તા આહિસ્તા પઢવું મુસ્તહબ છે, તવાફની દુઆ એટલા જોરથી પઢાવવી અને પઢવી કે બીજા તવાફ કરનારાઓ અને નમાઝીઓને ખલલ પડે એ મકરૂહ છે અને દુઆ પઢાવનારની દુઆ પઢવા કરતાં અને ખાસ કરીને તે દુઆ ગલત રીતે પઢવા કરતાં જે દુઆઓ યાદ હોય તે પઢવી અફઝલ છે.
તવાફમાં ત્રીજો કલિમો પઢવાની ફઝીલત પણ હદીષ શરીફથી સાબિત છે, ‘સુનને ઈબ્ને માજહ’માં છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે જે માણસ બયતુલ્લાહના સાત ચક્કર તવાફ કરે અને ”સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ” પઢવા સિવાય અન્ય કોઈ વસ્તુ ન બોલે તો તેના દસ ગુનાહો માફ થઈ જશે અને દસ નેકીઓ લખવામાં આવશે અને તેના દસ દરજાઓ બુલંદ કરવામાં આવશે.
આ સિવાય તવાફમાં પઢવાની બીજી અમુક દુઆઓ હદીષથી સાબિત છે, જે આસાનીથી મોઢે યાદ કરીને ધીમી અવાજે પઢી શકાય છે.
એક રિવાયતમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે રુકને યમાની પાસે સિત્તેર (૭૦) ફરિશ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે. જે માણસ (ત્યાં આ દુઆ પઢે) ”અલ્લાહુમ્મ ઈન્ની અસ્અલુકલ અફ્વ વલ્ આફિયત ફીદ્દુન્યા વલ્ આખિરહ, રબ્બના આતિના ફિદ્દુન્યા હસનતન્ વફિલ્ આખિરતિ હસનહ વકિના અઝાબન્નાર” પઢે તો તે ૭૦ ફરિશ્તાઓ આમીન કહે છે. ફુકહાએ કિરામ લખે છે કે તવાફ કરતી વખતે આ દુઆ વધુ પ્રમાણમાં પઢવી મુસ્તહબ છે.
એક હદીષમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે જયારે પણ (તવાફ કરતાં) હું રુકને યમાની પાસે પહોંચ્યો તો ત્યાં હઝરત જિબ્રઈલ (અલૈ.)ને જોયા અને તેઓએ મને કહ્યું કે હે મુહમ્મદ ! કહો . મેં કહ્યું કે શું કહું ? તો જિબ્રઈલ (અલૈ.)એ કહ્યું કે પઢો ”અલ્લાહુમ્મ ઈન્ની અઉઝુબિક મિનલ્ કુફ્રિ વલ્ફાકતિ વમવાકિફિલ્ ખિઝ્યિ ફિદ્દુન્યા વલ્ આખિરહ” તે પછી જિબ્રઈલ (અલૈ.)એ કહ્યું કે બન્નની વચ્ચે (રુકને યમાની અને હજરે અસવદની વચ્ચે) સિત્તેર હજાર (૭૦,૦૦૦) ફરિશ્તાઓ છે. જયારે કોઈ બંદો આ દુઆ પઢે છે ત્યારે આ બધા ફરિશ્તાઓ આમીન કહે છે.
એક રિવાયતમાં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) બન્ન યમાની રુકનો (રુકને યમાની અને હજરે અસવદ) દરમ્યાન આ દુઆ પઢતા હતા ”અલ્લાહુમ્મ કન્નિઅ્ની બિમા રઝક્તની વબારિક લી ફીહિ વખ્લુફ્ અલા કુલ્લિ ગાઈબતિન્ લી બિખૈર.
એક હદીષમાં છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) આ દુઆ પઢતા હતા ”અલ્લાહુમ્મ અસ્અલુક રાહતન્ ઈન્દલ્ મવ્તિ વલ્ અફ્વ ઈન્દલ્ હિસાબ.
જો કોઈ માણસને તવાફની બધી દુઆઓ યાદ ન હોવાથી ઉપર મુજબ ફકત ત્રીજો કલિમો પઢતો રહેશે તો પણ તવાફમાં દુઆ પઢવાનો મુસ્તહબ અદા થઈ જશે અને દુઆઓની કિતાબમાં જોઈને આહિસ્તા આહિસ્તા દુઆ પઢવી પણ જાઈઝ છે. (ગુન્યતુન્નાસિક–૬૬, ઝુબ્દહ–૧/૧૦૭)
Log in or Register to save this content for later.