[૧૧૬] હાજી સંસ્થાને પોતાની કુરબાની ન સોંપે જેમાં કુરબાનીનો વખત ન જાણી શકાય

Chapter : હજ

(Page : 153-154-155-156-157-158-159-160)

સવાલ :– સઉદી અરબ સરકારે પાછલા અમુક વર્ષોથી હજ વખતે હાજીઓને કુરબાની અદા કરવામાં સગવડ અને સરળતા પહોંચાડવાના હેતુથી અને અનેક પ્રકારની કુરબાનીઓનો ગોશ્ત વ્યર્થ ન જવા દેતાં  દુનિયાના ગરીબ મુસ્લિમો માટે ઉપયોગી બને એવા મુબારક હેતુથી મિનામાં હાજીઓની કુરબાનીઓની વ્યવસ્થા માટે એક પ્રોજેકટ અને યોજના તૈયાર કરી છે અને આ યોજના હેઠળ કુરબાનીઓના જાનવરો ખરીદવાની અને નિશ્ચિત સમયે કુરબાનીઓ ઝબહ કરાવી તેનો ગોશ્ત ગરીબ મુસ્લિમો સુધી પહોંચાડવાની અને આ પ્રોજેકટ હેઠળ કુરબાની કરાવવા ઈચ્છતા હાજીઓ પાસેથી રકમ વસૂલ કરવાની વ્યવસ્થાની જવાબદારી ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંકને સોંપવામાં આવેલી છે જેમાં બીજી સઉદી સંસ્થાઓ અને ખાસ કરી ‘અલ – રાજહી’ બેન્કીંગ સાથ સહકાર આપે છે.

                મજકૂર પ્રોજેકટ હાજીઓ પાસેથી કુરબાનીની કિંમત અને ઝબહની ઉજરત તથા ગોશ્ત પહોંચાડવા વગેરેના ખર્ચ પેટે નક્કી કરેલ પ્રમાણમાં રકમ વસૂલ કરી રસીદ રૂપે એક કુપન આપે છે. (૧૯૮૯માં કુરબાની દીઠ ર૮૦ રીયાલ વસૂલ કર્યા હતા) અને પછી હજના દિવસોમાં મિનાની એક અલ મુઅય્‌સિમ નામી કુરબાનગાહમાં હાજીઓ વતી કુરબાની કરે છે અને કફફારહની કુરબાનીનો ગોશ્ત હરમની આસપાસના ગરીબોમાં વહેંચે છે અને બાકીની વધુ પડતી કુરબાનીઓનો ગોશ્ત ઘણા દેશોમાં ગરીબ મુસ્લિમો માટે મોકલે છે.

                ગયા વર્ષે અમો હજ માટે ગયા હતા અને સરકારે ર૮૦ રિયાલ આ રીતે કુરબાની માટે લીધા હતા અને આપણા દેશના પણ ઘણા હાજીઓએ આ રીતે પોતાની કુરબાનીની રકમ સઉદી સરકાર સ્થાપિત મજકૂર પ્રોજેકટમાં ભરપાઈ કરી હતી.

                હવે અહિંઆ પ્રશ્ન આ છે કે મજકૂર પ્રોજેકટના વ્યવસ્થાપકો આપણી કુરબાની કરે તે વિશે આપણને એ વાતની તો ખબર જ ન પડે કે કુરબાનીના દિવસોમાંથી કયા દિવસે અને કયા સમયે આપણી કુરબાની થશે અથવા થઈ અને હાજીઓએ કુરબાની કરી, માથું મૂંડાવી, એહરામ ઉતારી તવાફે ઝિયારત માટે જવાનું  હોય છે અને આ રકમ મજકૂર પ્રોજેકટમાં ભરી દીધા પછી લગભગ દરેક હાજી દસમી ઝુલહજે આ પ્રમાણે માથું મૂંડાવીને તવાફે ઝિયારત અદા કરતા હોય છે, તો એ વાતની મોટી શકયતા છે કે પ્રોજેકટને સોંપવામાં આવેલી કુરબાની મોડી અદા થાય અને હાજી હલક અને તવાફની વિધિ તેથી પહેલાં જ અદા કરી લે તો આ સૂરતમાં હજમાં કોઈ કમી આવશે કે નહિ અને દમ વાજિબ થશે કે નહિ?

                આ સાથે ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંક (સઉદી અરબિય્યહ) તરફથી પ્રગટ થયેલી એક પુસ્તિકા રવાના કરું છું. જેમાં કુરબાની પ્રોજેકટની વ્યવસ્થા અને કાર્યપદ્યતિની પૂરી વિગત છે અને ત્યાંના મુફતી સાહેબના બે ફતાવા છે જે વાંચીને હજ કરનાર ભાઈઓને મજકૂર પ્રોજેકટ દ્રારા કુરબાની અદા કરવા બાબત યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ :– સર્વ પ્રથમ મૂળ પ્રશ્નના જવાબ માટે અમુક બુનિયાદી મસાઈલ જાણી લેવા જરૂરી છે :

(૧) સામાન્ય રીતે હરમમાં ઝબહ કરવામાં આવતી કુરબાનીઓ અનેક પ્રકારની હોય છે.

૧ : કિરાન અથવા તમત્તુઅ હજ અદા કરનાર હાજીની હજની વાજિબ કુરબાની આ કુરબાનીનો ગોશ્ત પોતે ખાવો અને ત્રીજા ભાગનો ગોશ્ત ગરીબોને સદકહ કરવો મુસ્તહબ છે. ર : હજે ઈફરાદ કરનાર હાજીની હજની નફલ કુરબાની. આ પ્રકારની કુરબાની ઉપરની જેમ જ છે. ૩ : હજ – ઉમરહને લગતી કોઈ ભૂલ ચૂકની તલાફી માટે કફફારહની કુરબાની. આ પ્રકારની કુરબાનીનો ગોશ્ત હજ – ઉમરહ કરનારે પોતે ખાવો અથવા માલદારને ખાવો અને ખવડાવવો જાઈઝ નથી અને તે બધા ગોશ્તનો ગરીબ મુસ્લિમોને સદકો કરી દેવો વાજિબ છે. ૪ :  હાજીની બકરહ ઈદની વાજિબ અથવા નફલ કુરબાની. આ પ્રકારની કુરબાનીના ગોશ્તનો હુકમ પહેલા બીજા પ્રકારની કુરબાની મુજબ છે. (ઝુ.મનાસિક / શામી –ર)

                (ર) કિરાન અને તમત્તુઅ હજની કુરબાની વાજિબ છે અને દસમી ઝુલહજે હાજીએ કરવાના કામો એટલે કે રમી, કુરબાની, હલક અને તવાફે ઝિયારતમાંથી પહેલા ત્રણ કામોમાં હનફી ફિકહ મુજબ તરતીબ વાજિબ છે અને ઈરાદાપૂર્વક અથવા ભૂલથી આ ત્રણ કામોમાંથી કોઈ એકને વાજિબ તરતીબ વિરૂધ્ધ તેના નિશ્ચિત ક્રમથી આગળ પાછળ અદા કરવાથી દમ (કફફારહની કુરબાની) વાજિબ થાય છે. જો હાજી ઈરાદાપૂર્વક આ વાજિબ તરતીબના વિરૂધ્ધ કરશે તો ગુનેહગાર થશે અને દમ પણ વાજિબ થશે અને જો અજાણ્યે અથવા ભૂલથી આ તરતીબના વિરૂધ્ધ કરશે તો ફકત દમ વાજિબ થશે, ગુનેહગાર નહિ થાય.

                અલ્લાહ તઆલાએ કુર્આન મજીદમાં હાજીઓને પ્રથમ કુરબાની કરવાનો અને તે પછી હલક કરવાનો અને એહરામ ખોલવાનો હુકમ આપ્યો છે અને કુરબાની કરતાં પહેલાં હલક કરવાથી મનાઈ ફરમાવી છે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે આ દિવસ (દસમી ઝુલહજ)માં  અમારું (હાજીઓનું) પહેલું કામ રમી કરવાનું અને તે પછી હલક કરવાનું છે અને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ પોતાની હજના અરકાન એ જ તરતીબથી અદા ફરમાવ્યા હતા અને કોઈ માણસ મજબૂરીના કારણે નિશ્ચિત સમયથી પહેલાં માથું મૂંડાવે તો પણ કુરઆનમાં તેને ફિદયાનો હુકમ આપવામાં આવ્યો છે તો જે માણસ વિના મજબૂરીએ જલ્દી માથુ મૂંડાવે તેના ઉપર તો વિશેષ રીતે ફિદયો વાજિબ થશે.  (બદાઈઅ – ર/૧પ૮)

                હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)થી મનકૂલ છે કે જેણે હજના કોઈ કામને તેના નિશ્ચિત ક્રમથી પહેલાં કર્યું અથવા તેનાથી મોડું અદા કર્યું તો આ વહેલું અથવા મોડું અદા કરવાના કારણે તેણે દમ આપવો જોઈએ.(એઅલાઉસ્સુનન – ૧/૧પ૯)

                માલિકી અને હમ્બલી ફિકહ મુજબ પણ હાજીના દસમી ઝુલહજના કામોમાં અંશતઃ તરતીબ વાજિબ છે અને તેને આગળ પાછળ કરવાથી અમુક સૂરતોમાં દમ વાજિબ થાય છે. અલબત્ત, શાફઈ ફિકહ મુજબ મજકૂર કામોમાં તરતીબ સુન્‍નત છે વાજિબ નથી અને ઈસ્લામિક ડેવલપમેન્ટ બેંક તરફથી પ્રગટિત પુસ્તિકામાં શાફઈ ફિકહ મુજબ મસ્અલો લખવામાં આવ્યો છે માટે હનફી હાજીઓએ હનફી ફિકહ મુજબ અમલ કરવો જોઈએ અને વાજિબ તરતીબની રિઆયત કરવી જોઈએ, નહિ તો દમ વાજિબ થશે.    (તફસીરે મઝહરી – ૬/ર૮૦)

                રમી, ઝબહ, હલક અને તવાફે ઝિયારતમાં એ પ્રમાણે તરતીબ સુન્‍નત છે કે તવાફ આગળના ત્રણ કામો કર્યા પછી અદા કરવામાં આવે, જો દસમી ઝુલહજના બધા અથવા અમુક કામોથી પહેલાં તવાફ કરવામાં આવશે તો સુન્‍નત તરતીબને છોડવાથી મકરૂહ થશે, પરંતુ  આવું કરવાથી દમ વાજિબ નહિ થાય.

                (૩) હજે ઈફરાદ પઢનાર ઉપર હજની કુરબાની વાજિબ નથી પણ મુસ્તહબ છે અને તેની આ કુરબાનીમાં કિરાન અને તમત્તુઅની વાજિબ કુરબાનીની જેમ તરતીબ પણ વાજિબ નથી,  બલ્કે એ પ્રમાણે તરતીબ મુસ્તહબ છે કે તે પણ કારિન, અને મુતમત્તિઅની જેમ રમી પછી કુરબાની કરે અને પછી હલક કરાવે માટે જો તેની કુરબાની રમી અથવા હલકથી આગળ અદા થશે તો કોઈ દમ વાજિબ નહિ થાય, અલબત્ત, મુફરિદની રમી અને હલકમાં તરતીબ વાજિબ છે.

                (૪) હજ – ઉમરહમાં ભૂલચૂકના કફફારહની કુરબાની દસમી ઝુલહજ પહેલાં પણ થઈ શકે છે અને જો આ પ્રકારની કુરબાની દસમીના કરવામાં આવે તો પણ તેમાં કિરાન અને તમત્તુઅની જેમ બીજા કામો સાથે તરતીબ વાજિબ નથી તે અમુક કે બધા કામોથી આગળ કે પાછળ બન્‍ન રીતે અદા કરવી જાઈઝ છે.

                (પ) હાજીની બકરહ ઈદની વાજિબ અથવા નફલ કુરબાનીમાં પણ તરતીબ વાજિબ નથી. દસમી ઝુલહજના રમી, હલક, તવાફથી આગળ પાછળ ગમે ત્યારે કરી શકાય છે. બાકી આવી કુરબાની દસમીની રમી પછી કરવી અને હલકથી પહેલાં કરવી અફઝલ અને મુસ્તહબ છે, માટે જો આ પ્રકારની કુરબાનીમાં મજકૂર તરતીબની રિઆયત ન થઈ શકે તો દમ વાજિબ નહિ થાય.

                સઉદી સરકાર સ્થાપિત મજકૂર પ્રોજેકટ તરફથી પ્રગટ થયેલી પુસ્તિકામાં જણાવ્યા મુજબ મજકૂર પ્રોજેકટમાં ગમે તે પ્રકારની કુરબાની હાજી બે તરીકાથી કરાવી શકે છે, એક તો આ પ્રમાણે છે કે હાજીઓની કુરબાનીઓની વ્યવસ્થા કરતા પ્રોજેકટને રોકડ રકમ અદા કરી કુરબાની કરી આપવાની સંપૂર્ણ ઝિમ્મેદારોને વકીલ બનાવી સોંપી આપવામાં આવે  આ સૂરતમાં જે હાજીની કુરબાની છે તેની ગેર હાજરીમાં તે કુરબાની થશે અને હાજી પોતાની કુરબાનીને જોઈ પણ નહિ શકે અને કુરબાનીના ઝબહની જગ્યાએ જઈ પણ નહિ શકે અને કુરબાનીના ત્રણ દિવસોમાંથી કયા દિવસે અને કયા સમયે પોતાની કુરબાની ઝબહ થશે તે પણ હાજી જાણી શકશે નહિ અને દસમી ઝુલહજના કામો એટલે કે રમી, હલક, કુર્બાની તથા તવાફે ઝિયારતમાં વિશ્વાસપૂર્વક તરતીબની રિઆયત પણ કરી શકશે નહિ. માટે મજકૂર પ્રોજેકટ દ્રારા આ તરીકાથી કિરાન અને તમત્તુઅ હજની કુરબાની કરાવવી હનફી ફિકહ મુજબ દુરસ્ત નથી અને બીજા ઈમામો (રહ.)ના ફિકહ મુજબ પણ સુન્‍નત વિરૂધ્ધ છે. અલબત્ત કિરાન અને તમત્તુઅ સિવાય અન્ય પ્રકારની કુરબાની એટલે કે મુફરિદની હજની નફલ કુરબાની અથવા ગમે તે પ્રકારના હાજીની કફફારહ અથવા બકરહ ઈદની કુરબાની મજકૂર પ્રોજેકટ દ્રારા આ તરીકાથી કરાવવી પણ દુરસ્ત છે. જો કે તેમાં મુસ્તહબ તરતીબ છુટવાનો ભય જરૂર બાકી રહે છે કારણ કે લગભગ બધા જ હાજીઓ દસમી ઝુલહજના જ રમી અને હલક કરી લેશે અને જાહેર છે કે પ્રોજેકટની બધી કુરબાનીઓ હાજીઓની રમી પછી અને હલક પહેલાં થવી અતિ મુશ્કેલ છે અને આ તરીકાથી કુરબાની કરાવવામાં કુરબાનીના જાનવરનું વકીલ તરીકેનું ખરીદ વેચાણ પણ વાંધાજનક બની શકે છે.

                મજકૂર પ્રોજેકટ દ્રારા કુરબાની કરાવવાનો બીજો તરીકો આ પ્રમાણે છે કે પ્રોજેકટ દ્રારા કુરબાની કરાવવા ઈચ્છતા કમ થી કમ ૩૦ હાજીઓ ભેગા મળીને પોતાનું એક ગ્રુપ બનાવે અને તે ગુ્રપના બધા હાજીઓ પોતાની કુરબાનીની રકમ પ્રોજેકટમાં જમા કરાવી દે અને પોતાનામાંથી એક હાજીને પોતાનો વકીલ અને પ્રતિનિધિ નક્કી કરી પોતાની કુરબાનીઓ કરાવવાની જવાબદારી તેને સોંપી આપે. પ્રોજેકટ આ પ્રતિનિધિને કુરબાનગાહમાં જઈ પોતાનાગુ્રપના સભ્યોની કુરબાનીઓની નિગરાની કરવાની પરમિટ આપશે. આ પ્રતિનિધિ જો પોતાના ગુ્રપના સભ્યોની કુરબાનીઓમાંથી અમુક કુરબાનીઓનો ગોશ્ત પોતાની સાથે લઈ જવા ચાહે તો તે પણ લઈ જઈ શકે છે.

                આ તરીકાથી કારિન અને મુતમત્તિઅ હાજી પોતાની હજની વાજિબ કુરબાની પણ મજકૂર પ્રોજેકટ દ્રારા કરાવી શકે છે. કારણ કે આ સૂરતમાં ગ્રુપના વકીલ પ્રતિનિધિથી ગુ્રપના દરેક હાજીને પોતાની કુરબાનીના સમયની જાણ થઈ શકે છે અને હાજી તે જાણકારીના આધારે વાજિબ તરતીબની રિઆયત સાથે દસમી ઝુલહજના બધા અરકાન અદા કરી શકે છે અને પ્રોજેકટ દ્રારા આ બીજી સૂરતથી કિરાન અને તમત્તુઅ સિવાય અન્ય પ્રકારની કુરબાનીના જાનવરોના વકાલતી ખરીદ – વેચાણમાં પણ કોઈ વાંધો જણાતો નથી (શામી–ર)

Log in or Register to save this content for later.