[૧૧૦] જિદ્દહમાં નોકરી કરનારની ઔરત કયા પ્રકારની હજ કરે?

Chapter : હજ

(Page : 144-145-146-147-148-149)

સવાલ :– અહિંઆ જિદ્દહમાં નોકરી – ધંધા માટે રહેતા  મુકીમ ભાઈઓ પોતાની અવરતને સઉદી સરકાર તરફથી મળતી વીઝીટ વીઝા ઉપર હજની નિય્યતથી અહિંઆ બોલાવે છે તો તેઓની ફેમીલી રમઝાન પહેલાં અથવા રમઝાનમાં કે રમઝાન બાદ અહિંઆ આવે છે અને લગભગ ત્રણથી પાંચ મહિનાઓ સુધી અહિંઆ રહી હજ કરી પછી જાય છે તો આ પ્રમાણે અહિંઆ આવનાર ઔરતે કઈ હજ કરવી (૧) તમત્તુઅ કે ઈફરાદ ? (ર) રમઝાન બાદ તે ઔરતથી ઉમરહ થઈ શકે કે નહિ? (૩) તેવી ઔરતના શોહરે કઈ હજ કરવી અને તે ઉમરહ અદા કરી શકે કે નહિ?

જવાબ :– જે આફાકી ઔરત કે મર્દ હજના મહિનાઓ શરૂ થતાં પહેલાં એટલે કે માહે શવ્વાલથી પહેલાં રમઝાનમાં અથવા રમઝાનથી પણ પહેલાં મક્કએ મુકર્રમહ અથવા તેની આસપાસ હુદૂદે હરમમાં અથવા હુદૂદે હરમથી બહાર મીકાત ઉપર અથવા મીકાતના એરિયાની અંદર (જેમ કે સવાલમાં પૂછવા મુજબ જિદ્દહ શહેરમાં) જઈને રહે અને મક્કહ મુકર્રમહ અથવા તેનાથી બહાર કોઈ જગ્યાએ હુદૂદે હરમમાં ગયા હોય અને મજકૂર સ્થળોમાંથી કોઈ સ્થળ ઉપર રોકાણ દરમ્યાન પહેલી શવ્વાલ આવી જાય તો હવે ત્યાં હજની નિય્યતથી રહેનાર મજકૂર આફાકી માટે પણ ત્યાંના અસલી રહેવાસીના હુકમ મુજબ તમત્તુઅ કે કિરાન હજ કરવી જાઈઝ અને દુરસ્ત નથી. એટલે જો તે જ વર્ષે હજ કરવાનો ઈરાદો હોય તો રમઝાન પછી ઉમરહ કરવો તેઓના માટે મકરૂહ અને નાજાઈઝ ગણાશે ને તેવી ઔરત અને મર્દ માટે ફકત ઈફરાદ હજ કરવી જ જાઈઝ છે માટે તેઓએ ફકત ઈફરાદ હજનો જ એહરામ બાંધવો જોઈએ.

                પરંતુ માહે શવ્વાલ શરૂ થતાં પહેલાં ઈન્ડિયાથી જનાર જિદ્દહમાં અથવા ઉપરોકત સ્થળોમાંથી કોઈ સ્થળે જઈ રહેનાર ઔરત અથવા મર્દ જો માહે શવ્વાલ શરૂ થયા પછી અને હજના દિવસો પહેલાં મદીનહ તય્યિબહ જાય તો હવે તેઓ સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ મીકાતની હદની બહાર એટલે આફાકમાં ચાલ્યા ગયા અને મકકહવાસીઓના હુકમમાં બાકી ન રહ્યા એટલે મદીનહ મુનવ્વરહથી પાછા ફરતી વખતે તે તરફના મીકાત ઉપરથી ફકત ઉમરહનો એહરામા બાંધી તેઓ માટે હજે તમત્તુઅ પઢવી અથવા હજ અને ઉમરહ બન્‍નનો એહરામ બાધી હજે કિરાન પઢવી એ બન્‍ન સૂરતો વિના કરાહતે જાઈઝ છે અને ઈમામ અબૂ હનીફહ (રહ.) ના મંતવ્ય મુજબ તેઓ મકકહવાસીઓના હુકમમાં જ રહેશે અને તેઓ માટે તમત્તુઅ કે કિરાન દુરસ્ત નહિ ગણાય.

                અને જે આફાકી ઔરત કે મર્દ રમઝાન પછી એટલે કે હજના મહિનાઓ શરૂ થયા પછી ઈન્ડિયાથી જિદ્દહ જાય અને તેઓને હજ પઢીને પાછુ ફરવાનું હોય તેઓ માટે જિદ્દહ પહોંચવાની બે સૂરતો છે, એક તો એ કે તે અહિંઆ મુંબઈના એરપોર્ટ ઉપરથી ઉમરહનો એહરામ ન બાંધે. કારણ કે તેની નિય્યત પ્રથમ જિદ્દહ જવાની છે અને પછી ત્યાં અમુક મુદ્દત  રહીને હજ કરવા જવાનું છે અને બીજી સૂરત એ કે તે અહિંઆ ઈન્ડિયાથી જતી વખતે મુંબઈ એરપોર્ટ ઉપરથી ઉમરહનો એહરામ બાંધીને જાય.

                જો પહેલી સૂરત હોય તો હવે જિદ્દહ પહોંચીને તેને મક્કહ વાસીઓનો હુકમ લાગુ પડશે એટલે હવે તેની હજની નિય્યત હોવાથી  તેના માટે હજના દિવસો પૂરા થતાં સુધી ઉમરહ અદા કરવો મકરૂહ અને નાજાઇઝ છે અને હજ માટે તેણે હજે ઈફરાદનો એહરામ બાંધવો જરૂરી છે. તમત્તુઅ અને કિરાન હજ તેના માટે મકરૂહ અને નાજાઈઝ છે, અલબત્ત, જો રમઝાનમાં અથવા રમઝાન પહેલાં જનારથની જેમ તે પણ હજના દિવસોથી પહેલાં મીકાતની બહાર મદીનહ મુનવ્વરહ અથવા પોતાના વતન સિવાય બીજી કોઈ જગ્યાએ જવાના હોય તો ત્યાંથી પાછા ફરતી વખતે તે તરફના મીકાત ઉપરથી ફકત ઉમરહનો એહરામ બાંધી અને હરમમાં હજનો એહરામ બાંધી તમત્તુઅ હજ પઢવી અથવા ઉમરહ અને હજ બંનેનો ભેગો એહરામ બાંધી કિરાન હજ પઢવી તેઓ માટે સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ જાઈઝ છે, અને ઈમામ સાહેબ (રહ.)ના મંતવ્ય મુજબ તે માણસ મીકાતથી બહાર જવા છતાં પણ મકકહવાસીના હુકમ મુજબ તમત્તુઅ અને કિરાન નહિ કરી શકે.

                અને જો બીજી સૂરતથી જિદ્દહ પહોંચે તો હજના દિવસોમાં હજ અદા કરવાથી તેણે તમત્તુઅ હજ પઢેલી ગણાશે અને તેણે હજે તમત્તુઅની કુરબાની કરવી પડશે.

                રહી વાત એ કે આવો હજે તમત્તુઅ કરનાર આફાકી મર્દ અથવા ઔરત પ્રથમ વાર તમત્તુઅનો ઉમરહ કર્યા પછી હજથી પહેલાં બીજો ઉમરહ કરી શકે કે નહિ? તો એ વિશે ઉલમઆએ કિરામનો મતભેદ છે. શૈખ ઈબ્ને હુમામ (રહ.) અને તેઓના શાગિર્દ મુલ્લા સિંધી (રહ.) મુતમત્તિઅ માટે બીજા ઉમરહને મકરૂહ અને મના ફરમાવે છે અને મુલ્લા અલી કારી (રહ.) તેના માટે હજથી પહેલાં બીજો ઉમરહ કરવાને વિના કરાહતે જાઈઝ ફરમાવે છે. મજકૂર  મુતમત્તિઅ હાજી માટે આ ઈખ્તિલાફી મસ્અલામાં અમલ કરવાનો તરીકો આ છે કે જો તે પહેલી શવ્વાલ પછી તમત્તુઅનો ઉમરહ અદા કર્યા પછી મીકાતની હદથી બહાર આફાકી એરિયામાં જવાના ન હોય તો ચાહે હજથી પહેલાં બીજીવાર ઉમરહ કરવો તેઓના માટે અમુક આલિમોના મંતવ્ય મુજબ જાઈઝ છે. પરંતુ એહતિયાતની વાત એ છે કે હવે તે હજથી પહેલાં બીજીવાર ઉમરહ ન કરે બલ્કે મસ્જિદે હરામમાં જાય તો શકય તેટલા પ્રમાણમાં કઅબહ શરીફના નફલ તવાફ કરતા રહે.

                અને જો તમત્તુઅ હજ કરનાર મજકૂર હાજી પહેલી શવ્વાલ પછી તમત્તુઅનો ઉમરહ કર્યા પછી મીકાતની હદથી બહાર મદીનહ તય્યિબહ અથવા પોતાના વતન સિવાય બીજી કોઈ જગ્યાએ આફાકી એરિયામાં જવાનો હોય તો અગરચે બેહતર તો એ જ છે કે હવે તે હજની અદાયગીથી પેહલાં મીકાતની બહાર મદીનહ તય્યિબહ અથવા બીજી કોઈ જગ્યાએ સફર ન કરે, પરંતુ જો તેણે મીકાતથી બહાર આફાકી એરિયામાં સફર કર્યો તો તે જગ્યાએથી પાછા ફરતી વખતે જો હજ અદા કરવાની મોસમને હજુ ઘણા દિવસો બાકી હોય તો તે મીકાત ઉપર ફકત ઉમરહનો એહરામ બાંધી બીજો ઉમરહ અદા કરી શકે છે, બાકી ઈમામ સાહેબ (રહ.)ના મસલક મુજબ તેના માટે વાપસીમાં મીકાત ઉપરથી ઉમરહ અને હજ બન્‍નનો એહરામ બાંધી કિરામ હજ કરવી જાઈઝ નથી અને જો હજ અદા કરવાને થોડી જ મુદ્દત બાકી હોય તો ચાહે તેના માટે વાપસીમાં મીકાત ઉપરથી એહરામ બાંધી બીજો ઉમરહ કરવો જાઈઝ છે, પરંતુ બેહતર એ છે કે પાછા ફરતી વખતે તે ફકત હજનો એહરામ બાંધે અને ઉમરહનો એહરામ ન બાંધે. (મુઅલ્લિમુલ હુજજાજ – રર૧, ઝુબ્દહ – ર/૧રથી રપ)

                મજકૂર ઔરત સાથે હજ પઢનાર તેનો શોહર જો પહેલી શવ્વાલ અગાઉથી જિદ્દહ અથવા મીકાતની અંદર અથવા બીજા કોઈ સ્થળે મુકીમ હોય તો તે માહે શવ્વાલ શરૂ થયા પછી ઉમરહ ન અદા કરી શકે અને તે ફકત હજે ઈફરાદ જ અદા કરી શકે છે, હજે તમત્તુઅ કે કિરાન ન અદા કરી શકે, કારણ કે તેવા માણસને મકકહવાસીઓ અને મીકાતની અંદરના રહેવાસીઓનો હુકમ લાગુ પડે છે.

                અલબત્ત, જો મજકૂર માણસ પહેલી શવ્વાલથી પહેલાં મીકાતથી બહાર મદીનહ તય્યિબહ અથવા પોતાના વતન સિવાય બીજા કોઈ સ્થળે ચાલ્યો જાય તો ત્યાંથી પાછા ફરતી વખતે તે માણસ ઈમામ સાહેબ અને સાહિબૈન (રહ.) બન્‍નના મસ્અલહ મુજબ આફાકના મીકાત ઉપરથી ફકત ઉમરહનો એહરામ બાંધી તમત્તુઅ હજ અને હજ ઉમરહ બન્‍નનો એહરામ બાંધી કિરાન હજ કરી શકે છે.

                અને જો તે માણસ માહે શવ્વાલ શરૂ થયા પછી મીકાતથી બહાર મદીનહ તય્યિબહ અથવા પોતાના વતન સિવાય બીજા કોઈ સ્થળે જાય તો ઈમામ અબૂ હનીફહ (રહ.)ના મંતવ્ય મુજબ હવે તે મકકહવાસીના હુકમમાં જ રહેશે અને તેના માટે વાપસીમાં મીકાત ઉપરથી ઉમરહનો એહરામ બાંધી હજે તમત્તુઅ કે કિરાન અદા કરવી દુરસ્ત નથી અને સાહિબૈન (રહ.)ના મંતવ્ય મુજબ શવ્વાલથી પહેલાં મીકાતની બહાર જનારની જેમ મજકૂર માણસ આફાકીની જેમ ગણાશે અને પાછા ફરતી વખતે તેણે તમત્તુઅ હજ માટે મીકાત ઉપરથી ઉમરહનો એહરામ બાંધવો અથવો કિરાન હજનો એહરામ બાંધવો બન્‍ન સૂરતો જાઈઝ છે.                (શામી – ર/ ૧૯૭, ઝુબ્દહ ર/૧૪)

[૧૧૧] મક્કહ મુકર્રમહમાં નોકરી માટે જનાર મીકાત ઉપરથી વગર એહરામે દાખલ થયો અને પછી તેજ વર્ષે હજ પઢી

સવાલ :– અમો મક્કહ મુકર્રમહ નોકરી માટે જવાના ઈરાદાથી અહિંઆ ઈન્ડિયાથી રવાના થયા, રસ્તામાં અમો મીકાત ઉપર પહોંચીને ઉમરહનો એહરામ ન બાંધી શકયા અને વગર એહરામે મકકહમાં દાખલ થઈ ગયા તે પછી અમોએ હજના દિવસોમાં રજાઓ લઈને હજ અદા કરી તો આ સૂરતમાં અમારે દમ દેવો પડશે કે નહિ?

જવાબ :– જયારે તમો મક્કહ મુકર્રમહ જવાના ઈરાદાથી મીકાત ઉપરથી પસાર થયા અને મીકાત ઉપર પહોંચીને ઉમરહ અથવા હજનો એહરામ ન બાંધ્યો, તો તમારા પર એક હજ અથવા ઉમરહ અદા કરવો અને દમ આપવો વાજિબ થઈ ગયો હતો. તે પછી તમોએ જયારે તે જ વર્ષે હજ અદા કરી લીધી તો ચાહે તમો પોતાની ફર્ઝ હજ પઢયા હોય કે નફલ હજ પઢયા હોય, હવે તમારા શિરેથી તે હજ અથવા ઉમરહ સાકિત થઈ ગયો જે મીકાત ઉપરથી વગર એહરામે પસાર થવાથી વાજિબ થયો હતો, અલબત્ત, જો તમોએ હજનો એહરામ કોઈ આફાકી મીકાત ઉપર ન બાંધ્યો, બલ્કે મીકાતની અંદર કોઈ જગ્યાએથી અથવા મક્કહ મુકર્રમહમાં બાંધ્યો હોય તો તે દમ દેવો હજુ પણ વાજિબ બાકી રહેશે, જે મીકાત ઉપરથી વગર એહરામે પસાર થવાના કારણે વાજિબ થયો હતો. અને જો તમોએ હજનો એહરામ કોઈ આફાકી મીકાત તરફ પાછા ફરીને ત્યાંથી બાંધ્યો હોય તો હવે આ પ્રમાણે હજનો એહરામ બાંધવાથી તે દમ પણ સાકિત અને માફ થઈ જશે. એવી જ રીતે જો મીકાતની અંદર કોઈ જગ્યાએથી હજનો એહરામ બાંધ્યા પછી હજના અરકાન શરૂ કરતા પહેલાં કોઈ આફાકી મીકાત ઉપર પાછા ફરીને તલબિય્યહ પઢી લીધો અને પછી મક્કહ મુકર્રમહમાં જઈને હજ અદા કરી તો પણ વગર એહરામે મીકાત ઉપર પસાર થવાના કારણે જે દમ વાજિબ થયો હતો તે સાકિત થઈ જશે. (શામી – ર/રરપ,રર૮, ઝુબ્દતુલ મનાસિક – ર/૧ર૩)

Log in or Register to save this content for later.