Chapter : હજ
(Page : 141-142-143)
સવાલ :– હૈઝવાળી ઔરત હજના અરકાન કેવી રીતે અદા કરે? અને હૈઝવાળી ઔરતની હજ દુરસ્ત ગણાશે કે નહિ?
જવાબ :– હજનો ઈરાદો કરનાર ઔરતને ચાહે તો એહરામ કરતાં પહેલાં હૈઝ આવવું શરૂ થઈ જાય અથવા એહરામ કર્યા પછી હૈઝ શરૂ થાય, બન્ન સૂરતોમાં ઔરત હજ કરી શકે છે અને હૈઝથી પાક સાફ ઔરત જે પ્રમાણે હજના અરકાન અદા કરે છે તે જ પ્રમાણે હૈઝ વાળી ઔરતે પણ હજના અરકાન અદા કરવાના રહેશે.
પરંતુ હૈઝવાળી ઔરત હૈઝ બંધ થતાં સુધી અને ગુસલ કરી પાક થતાં સુધી મસ્જિદે હરામમાં દાખલ નહિ થઈ શકે અને કા’બા શરીફનો કોઈ પણ પ્રકારનો તવાફ નહિ કરી શકે. એ જ પ્રમાણે જો તવાફ પહેલાં હૈઝ શરૂ થઈ જાય તો સફા – મરવહની સઈ પણ નહિ કરી શકે. કારણ કે તવાફથી પહેલાં સઈ કરવી દુરસ્ત અને મોઅતબર નથી, હા, જો સઈથી પહેલાં કરવામાં આવતો તવાફ એટલે કે તવાફે કુદૂમ અથવા નફલ તવાફ અથવા તવાફે ઝિયારત પાકીની હાલતમાં કરી લીધો હોય તો સઈ કરવી દુરસ્ત છે, કારણ કે સઈ માટે પાક હોવું જરૂરી નથી. અલબત્ત, એ વાતની તહકીક કરી લેવી જરૂરી છે કે ”મસ્આ” એટલે સઈ કરવાની જગ્યાનો કોઈ ભાગ મસ્જિદે હરામમાં દાખલ ન કરી લેવામાં આવ્યો હોય. કારણ કે હૈઝવાળી ઔરત માટે મસ્જિદમાં દાખલ થવું જાઈઝ નથી.
આફાકી એટલે કે મીકાતની બહારથી હજ પઢવા જનાર હાજી માટે હજમાં ત્રણ તવાફો હોય છે. તવાફે કુદૂમ (સુન્નત), તવાફે ઝિયારત (ફર્ઝ) અને તવાફે સદર (વાજિબ) જેને તવાફે વિદાઅ પણ કહેવામાં આવે છે. હૈઝવાળી ઔરત મજકૂર ત્રણ તવાફો અને સઈ હૈઝ બંધ થયા પછી અને ગુસલ કરી પાક થઈ ગયા પછી અદા કરશે પરંતુ જો હૈઝની હાલતમાં વુકૂફે અરફાતનો સમય શરૂ થઈ ગયો અને વુકૂફે કરી લીધો તો હવે તવાફે કુદૂમ કરવો સુન્નત નહિ રહે, માફ થઈ જશે. અને તેના છૂટી જવાથી કોઈ ગુનોહ કે હજમાં કોઈ નુકશાન લાગુ નહિ પડે.
હૈઝની મજબૂરીના કારણે તવાફે ઝિયારત તેના નિશ્ચિત સમય એટલે કે અય્યામે નહર પછી અદા કરવામાં આવશે તો મજબૂરીથી મોડું કરવા બદલ કોઈ દમ પણ વાજિબ નહિ થાય, પરંતુ જો ”અય્યામે નહર” એટલે કે કુરબાનીના દિવસો પુરા થતાં પહેલાં હૈઝ બંધ થઈ જાય તો પાકીનું ગુસલ કરી અય્યામે નહર પૂરા થતાં પહેલાં જલ્દીથી તવાફે ઝિયારત અદા કરવામાં આવે અને કુરબાનીના આખરી સમય એટલે કે ૧રમી ઝિલહજના ગુરૂબે આફતાબથી મોડું ન કરે, નહિ તો તવાફે ઝિયારતનો સમય મળવા છતાં સમય બાદ તવાફ કરવાથી દમ આપવો વાજિબ થશે. એ જ પ્રમાણે જો કોઈ હજ પઢનાર ઔરત કુરબાનીના દિવસોની શરૂઆતમાં તો હૈઝથી પાક સાફ હોય પરંતુ પોતાની પાકી અને હૈઝની હંમેશાની ગણત્રીના આધારે તેને આશા હોય કે કુરબાનીના દિવસોનો અમુક સમય વીતી ગયા પછી હૈઝ આવવાની શરૂઆત થશે તો આ સૂરતમાં પણ તેને માટે જરૂરી છે કે દસમી ઝુલહજની સુબ્હે સાદિક પછી તવાફે ઝિયારત પહેલાંના કામો એટલે કે જમરએ અકબહની રમી, કુરબાની અને વાળ કપાવવાથી જલ્દી ફારિગ થઈ જેમ બને તેમ જલ્દી તવાફે ઝિયારત કરી લે, તવાફ કરવાની શકયતા હોવા છતાં મોડું કરશે અને હૈઝ શરૂ થઈ જવાથી તવાફે ઝિયારત અય્યામે નહર બાદ કરવામાં આવશે તો આ સૂરતમાં પણ તવાફે ઝિયારતમાં મોડું કરવાથી દમ આપવો વાજિબ થશે.
જો તવાફે ઝિયારત પછી તુરત હૈઝ શરૂ થયું અને વતન તરફ પાછા ફરવાના નક્કી થયેલા સમય સુધી પાકીની હાલતમાં તવાફે સદર કરવાની શકયતા ન હતી તો આવી ઔરત માટે તવાફે સદર માફ થઈ જશે અને આ તવાફ છૂટી જવા બદલ કંઈ કફફારો નહિ આપવો પડે અને કોઈ ગુનોહ પણ નહિ લાગુ પડે. પરંતુ જો વતન પાછા ફરવાના સમય પહેલાં હૈઝથી પાક થઈ જાય તો તવાફે સદર કરવો વાજિબ છે, જો તેને અદા કરવાની શકયતા હોવા છતાં તવાફે સદર અદા કર્યા વિના વતન પાછા ફરશે અથવા મદીનહ મુનવ્વરહ જશે તો તવાફે સદર છોડવા બદલ દમ આપવો જરૂરી છે.
બાકી એહરામ કરવાની રીત, મીના, અરફાત, મુઝદલિફહમાં વુકૂફ કરવાની અને જમરાતની રમીની કાર્યવાહીમાં અને આ દરેક કાર્યવાહીના વખતમાં પાક ઔરત અને હૈઝવાળી ઔરત માટે કોઈ ફરક નથી સિવાય એ કે હૈઝવાળી ઔરત હૈઝ બંધ થતાં સુધી અને ગુસલ કરી પાક થતાં સુધી કોઈ ફર્ઝ – નફલ નમાઝ અને કુરઆન નહિ પઢી શકે. (ઝુ.મનાસિક – ૧/૧૮૪,રર૩)
Log in or Register to save this content for later.