[૧૦૪] હજના પાંચ દિવસોમાં ઉમરહનો એહરામ

Chapter : હજ

(Page : 137-138)

સવાલ :– હમારે રિયાધથી મકકહ રિશ્તેદારોને મળવા માટે જવું છે તો સઉદીની રજા પાંચ દિવસ પડે છે, ઝુલહજની નવથી ઝુલહજની ૧૩ દિવસ સુધી અને હમારી મીકાત તાઈફ છે, તો તેનો ખુલાસો કરશો અને ૯મી ઝુલહજના દિવસે અમે નીકળીએ તો હજના દિવસો થઈ જાય છે તો અમને અહેરામની વિગત જણાવશો.

જવાબ :– તમો રિયાધથી મકકહ મુકર્રમહ જવાની નિય્યતથી પોતાના મીકાત તાઈફ ઉપરથી પસાર થાઓ એટલે મીકાત ઉપર હજ કે ઉમરહનો એહરામ બાંધીને જવું જરૂરી છે. પરંતુ નવમી ઝુલહજથી તેરમી ઝુલહજ એટલે કે અરફહના દિવસથી તકબીરે તશરીકના દિવસો પૂરા થતાં સુધી ઉમરહનો એહરામ બાંધવો અને ઉમરહ અદા કરવો એ મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. હઝરત આઈશહ (રદિ.)થી રિવાયત છે કે અરફહ, ઈદ અને તશરીકના દિવસો સિવાય સાલના પૂરા દિવસો ઉમરહ કરવાનો વખત છે. (બદાઈઅ) માટે નવમી ઝિલહજનો દિવસ શરૂ થયા પછી મીકાતની બહારથી મકકહ જનાર માટે ઉમરહનો એહરામ બાંધવો તો જાઈઝ નથી. એટલે મજકૂર માણસે મીકાત ઉપર હજના એહરામ બાંધી જવું જોઈએ, અને નવમી ઝુલહજનો એહરામ બાંધ્યા પછી જો અરફાતમાં જતાં પહેલાં હજનો તવાફે કુદૂમ થઈ શકતો હોય તો તે અદા કરીને અરફાતમાં જાય, અને જો વખતના અભાવે તવાફે કુદૂમ અદા ન થઈ શકે તો સીધો અરફાતમાં પહોંચી વુકૂફે અરફાત કરી લે, જો આ પ્રમાણે હજનો એહરામ ન બાંધવો હોય તો નવમી ઝુલહજનો દિવસ શરૂ થતાં પહેલાં મીકાત ઉપર અથવા મીકાતથી પહેલાં ઉમરહનો એહરામ બાંધી લે અને પછી મકકહ પહોંચીને મજકૂર પાંચ દિવસથી પહેલાં બાંધેલા ઉમરહના એહરામથી મજકૂર પાંચ દિવસોમાં ઉમરહ અદા કરવો મકરૂહ અને નાજાઈઝ નથી. અલબત્ત, આ એહરામથી પણ તશરીકના દિવસો પછી ઉમરહ અદા કરવો એ બેહતર છે. (શામી –ર / ૧પર, ઉમ.ફિકહ –૪/૩૧ર)

Log in or Register to save this content for later.