[૧ર૦] હજની કુરબાનીમાં નિય્યત

Chapter : હજ

(Page : 165-166)

સવાલ :– સને ૧૯૯૧માં હું તથા મારા બહેન અને સાસુ – સસરા હજ માટે ગયા હતા અને તે વર્ષે જુમ્અહના હજ થઈ હતી, અમોએ મિનામાં જઈ શયતાનને કાંકરીઓ મારી હતી અને તે પછી ઊંટની કુરબાની કરી હતી અને અમોએ કુરબાનીમાં નિય્યત આ પ્રમાણે કરી હતી કે એક હિસ્સો મારા તરફથી અને એક હિસ્સો બહેન તરફથી અને બીજા હિસ્સા મરહૂમો તરફથી અને સાસુ – સસરાએ પણ આ પ્રમાણે નિય્યત કરી ઊંટની કુરબાની કરી હતી, ઓમએ ”ઉમ્મીદ” પખવાડિકમાં હજ – કુરબાનીના મસાઈલ વાંચ્યા તો તેમાં બતાવેલ છે કે કુરબાનીની નિય્યત ” દમે શુક્રિયહ” ની કરવી જોઈએ, હવે સવાલ એ છે કે અમોએ ઉપર મુજબ નિય્યત કરી હતી તો અમારી કુરબાની અદા થઈ કે નહિ? અમારી હજને ત્રણ વરસ થઈ ગયા છે અને અમો પરેશાન છે, માટે ખુલાસો લખી આભારી કરશો.

જવાબ :– જો તમોએ તમારી બહેન તથા સાસુ – સસરાએ હજે તમત્તુઅ અથવા હજે કિરાન અદા કરી હોય તો તમારા ઉપર તમત્તુઅ અથવા કિરાનની કુરબાની વાજિબ હતી અને આ કુરબાનીમાં તમત્તુઅ અથવા કિરાન (જે પ્રકારની હજ અદા કરવામાં આવે તે પ્રમાણે)ની નિય્યત કરવી વાજિબ છે, માટે જો તમોએ અને તમારી બહેન તથા સાસુ – સસરાએ પોતાના હિસ્સાની કુરબાનીમાં એવી નિય્યત કરી હોય કે તમત્તુઅ અથવા કિરાન હજ કરનાર હાજીઓએ હજના દિવસોમાં જે કુરબાની કરવાની હોય છે અથવા હાજી લોકો ખાસ મિનામાં જે વાજિબ કુરબાની કરે છે તે કરું છું તો તમારી હજની કુરબાની અદા થયેલી ગણાશે, ચાહે બે ભાગો સિવાય અન્ય ભાગો મરહૂમોના તરફથી હોવાની નિય્યત કરી હોય. અને જો તમોએ એવી નિય્યત કરી હોય કે માલદાર હોવાના કારણે ઈદુલ અઝહાની જે કુરબાની લોકો દર વર્ષે કરે છે અથવા હું વતનમાં જે કુરબાની કરું છું તે કુરબાની તો આ સૂરતમાં તમારી હજ્જે તમત્તુઅ અથવા કિરાનની વાજિબ કુરબાની અદા થયેલી નહિ ગણાય. અને તે વાજિબ કુરબાની છૂટવા બદલ હવે તમારે ત્યાં હરમમાં ત્રણ દમો આપવા પડશે એક હજની કુરબાનીનો, એક કુરબાનીથી પહેલાં એહરામની હાલતમાં હલક કરવાનો અને એક કુરબાનીના દિવસોથી કુરબાની મોડી કરવાનો. અમુક હનફી આલિમો કહે છે કે ફકત પહેલાં બે દમો આપવા પડશે અને ત્રીજો દમ આપવો વાજિબ નથી.

(ગુન્યહ – ૧૧ર , બહર – ર/રપ)

Log in or Register to save this content for later.