Chapter : હજ
(Page : 125-126-127-128-129)
સવાલ :– અમારા મત પ્રમાણે ઈસ્લામ ધર્મમાં કુરબાનીનો રિવાજ ગરીબ મુસલમાન સુધી ગોશ્ત જેવી મોંધી વસ્તુ પહોંચાડવાનો હોવો જોઈએ અને આ એક આદર્શ તહેવાર છે, જેમાં દરેક મુસ્લિમને ગોશ્ત મળી રહે છે. અત્યારે જીવન જરૂરિયાતની દરેક વસ્તુની જેમ ગોશ્ત પણ મોંઘો થયો છે અને કુરબાનીના રૂપમાં આપણે ગરીબો સુધી ગોશ્ત પહોંચાડીએ છીએ, તે આવકારદાયક પગલું છે.
હવે જયારે આપણે હજ કરવા જઈએ છીએ ત્યાં હજના દિવસો દરમ્યાન દમ માટે બકરા–ઘેટાની કુરબાની કરવી પડે છે, તેમજ ઈદુલ અદહા પણ તે સમય દરમ્યાન આવતી હોવાથી હજારો જાનવરોની કુરબાની મક્કહ મુકર્રમહમાં થાય છે અને અરબ દેશો અત્યારે એટલા સરમાયાદાર થયા છે કે ત્યાં ભીખ, ઝકાત, સદકા, ખૈરાત કે કુરબાનીના ગોશ્ત લેવા વાળું કોઈ નથી. પરિણામે આશરે વીસથી પચ્ચીસ હજાર કુરબાન કરેલા જાનવરો સરકાર બુલડોઝરોથી ખસેડી ખાડામાં નાંખી માટીમાં દાટી દે છે, આ એક મોટામાં મોટો બાગડ ગણાય.
ઈસ્લામ ધર્મમાં વુઝૂનું પાણી પણ કરકસરથી વાપરવાનો હુકમ છે અને માણસ તરસ્યો હોય તો પ્રથમ તેને પાણી આપી વધે તો વુઝૂ કરવાનો હુકમ છે અને તેને પાણી પીવડાવતાં ન વધે તો તયમ્મુમ કરવાનો હુકમ છે તો અહિંઆના આટલા ગરીબ મુસલમાનોને છોડીને આપણે અરબ દેશમાં ગોશ્તનો બગાડ કરીએ છીએ તેના કરતાં હાજીના રિશ્તેદારો એ જ દિવસે તેઓના તરફથી પોતાના વતનમાં કુરબાની કરી ગરીબ મુસલમાનોને ગોશ્ત વહેંચે અને આ રીતે કુરબાનીના ગોશ્તનો સદઉપયોગ થાય તો શું વાંધો છે?
જવાબ :– હજની કુરબાની પણ હજના બીજા કામો તવાફ, સઈ, વુકૂફે અરફાત – મુઝદલિફહ અને રમીની જેમ હજનો જ એક અમલ અને ભાગ છે. જેમ કુરબાની સિવાય હજના બીજા અમલોની અદાયગી માટે મક્કહ મુકર્રમહ અને તેના આસપાસની નિશ્ચિત જગ્યાઓ નક્કી અને જરૂરી છે અને પોતાના વતનથી ગમે તેટલો લાંબો સફર કરી જવું પડે તો પણ ત્યાં નિશ્ચિત જગ્યાઓએ જઈને જ અદા કરવાથી તે આ’માલ સહીહ રીતે અદા થાય છે. સફર ખર્ચ અને સફરની તકલીફોનો ખ્યાલ કરી કોઈ માણસ પોતાના વતનમાં તે આ’માલ અદા કરવા ચાહે તો તે આ’માલ અદા થઈ શકતા નથી. એવી જ રીતે હજની કુરબાની માટે હરમ શરીફનો એરિયો નક્કી અને જરૂરી છે. અને કુરબાનીના દિવસોમાં ઈલાકએ હરમમાંથી મિનામાં કુરબાની કરવી અને તે સિવાયના દિવસોમાં મક્કહ મુકર્રમહમાં હજની કુરબાની કરવી સુન્નત છે.
કુરઆન શરીફમાં હજની કુરબાની વિશે ફરમાને ખુદાવંદી છે : ”ફમન્ તમત્તઅ બિલ્ ઉમરતિ ઈલલ્ હજિ્જ” જે માણસે હજ સાથે ઉમરહ કરવાનો લાભ ઉઠાવ્યો તો તેને જે કંઈ હદી પ્રાપ્ત થાય તે તેના ઉપર વાજિબ છે. (સૂરએ બકરહ – ૧૯૬)
અને હદી એવા જાનવરને કહેવામાં આવે છે, જેની કુરબાની ખાસ હરમ શરીફની હદમાં કરવામાં આવે.
(મઆરિફુલ કુર્આન –ભાગઃ૩/ર૪૦)
કુરઆન શરીફની અમુક આયતોમાં સાફ શબ્દોમાં હરમ શરીફને હદીના જાનવરની જગ્યા બતાવવામાં આવી છે. દા.ત. (૧)”હદ્યમ્બાલિગલ્ કઅ્બતિ” જે જાનવર કુરબાનીના રૂપમાં કઅબહ સુધી પહોંચાડવામાં આવે. (ર) વલ્ હદ્ય મઅકૂફન્ અંય્યબ્લુગ મહિલ્લહ” અને હદીને (કુરબાનીના જાનવર) જે (હુદૈબિય્યહમાં) રોકાયેલા હતા તેને તેની જગ્યામાં પહોંચાડવાથી રોકી દીધા (હજના જાનવરોની કુરબાનીનું સ્થળ મિના સુધી છે તે લોકોએ જાનવારોને મિના ન જવા દીધા. (સૂ.ફતહ). (૩) ”વલા તહ્લિકુ રુઊસકુમ્ હત્તા યબ્લુગલ્ હદ્યુ મહિલ્લહ” પોતાના માથાઓ ત્યાં સુધી ન મૂંડાવો જયાં સુધી કે હદી (કુરબાનીનું જાનવર) પોતાના સ્થળ ઉપર ન પહોંચી જાય (અને તે સ્થળ હરમ છે.) (સૂ. બકરહ – ૧૯૬)
ઉપરોકત વિગતથી માલૂમ પડયું કે હજથી સંબંધિત કોઈ પણ પ્રકારની કુરબાનીની અદાયગી માટે તેને હુદૂદે હરમમાં ઝબહ કરવી જરૂરી અને લાઝિમ છે, માટે જો હજથી સંબંધિત કોઈ પણ પ્રકારની કુરબાની હરમને છોડીને પોતાના વતનમાં અથવા બીજી કોઈ જગ્યાએ કરવામાં આવશે તો તે કુરબાની દુરસ્ત અને જાઈઝ નહિ ગણાય.
કુરબાની અલ્લાહ તઆલાના નામ ઉપર જાનવર ઝબહ કરવાની ઈબાદત છે, જે કુરબાનીની નિય્યતથી શરઈ તરીકા મુજબ ફકત જાનવર ઝબહ કરવાથી અદા થઈ જાય છે, તમત્તુઅ – કિરાન હજની વાજિબ કુરબાની અને ઈદની માલદારની વાજિબ અને નફલ કુરબાનીની અદાયગી માટે કુરબાનીના ગોશ્તનો સદકો કરવો વાજિબ અને જરૂરી નથી. જો કે મજકૂર કુરબાનીના ગોશ્તના ત્રણ ભાગો કરી એક ભાગ પોતાના ઉપયોગમાં લેવો અને એક ભાગ રિશ્તેદારોને અને દોસ્તોને હદિયો કરવો અને એક ભાગ ગરીબોને પહોંચાડવો મુસ્તહબ છે. માટે જો મિનામાં ઝબહ કરવામાં આવતી આ પ્રકારની કુરબાનીનો ગોશ્ત સંજોગોનુસાર ગરીબોને કે સગા સંબંધીઓને ન પહોંચાડી શકાય તો પણ મજકૂર પ્રકારની કુરબાની અદા થઈ જશે અને તેના અદા થવામાં કોઈ શંકા નહિ રહે અને ગોશ્તનો કોઈ ઉપયોગ કરનાર ન હોવાથી તેને દફન કરી દેવામાં આવશે તો આ સૂરતમાં ખોટો બગાડ કરવાનો ગુનોહ લાગુ નહિ પડે. (શામી – ર/પ)
કુરબાની કર્યા બાદ તેના ગોશ્તને સુકવીને અથવા ઝડપી ગતિના માલવાહક સાધનો દ્રારા બીજા દેશાના ગરીબ મુસ્લિમોને તે ગોશ્ત પહોંચાડી શકાય છે. (અને માહિતગાર વર્તુળોથી જાણવા મળ્યું છે કે હરમની કુરબાનીઓનો ગોશ્ત હવે વિમાનો દ્રારા બીજા દેશોમાં પહોંચાડવામાં આવે છે.)
બાકી મજકૂર બગાડના કારણે હજની કુરબાની પોતાના વતનમાં કરવી જાઈઝ નથી. અને કુર્આન – હદીષના હુકમ અનુસાર કુરબાનીનું નક્કી થયેલ સ્થળ બદલવાના બદલે ઉપર મુજબ બગાડથી બચવાના શકય ઉપાયો તરફ પૂરતું ધ્યાન આપવું જોઈએ, કારણ કે કુર્આન – હદીષના હુકમમાં આપણી સમજ બુધ્ધિથી કોઈ ફેરફાર કરવો કદાપી જાઈઝ નથી. કુરબાની ઈબાદત જ એ પ્રકારની છે કે જેમાં આપણી અધૂરી બુધ્ધિની દ્રષ્ટિએ કદાચ કોઈને કંઈક અયોગ્ય જેવું દેખાય, પરંતુ આપણે તો અલ્લાહ તઆલાના હુકમના અને હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઈતાઅતના તાબેદાર છીએ.
કુરબાનીથી હાસિલ થતા લાભો પૈકી એક લાભ એ પણ છે કે કુરબાનીના દિવસોમાં મુસ્લિમ ગરીબો સુધી ગોશ્ત પૂરતા પ્રમાણમાં પહોંચવો જોઈએ, પરંતુ કુરબાનીની હકીકત અથવા કુરબાનીનો મુખ્ય હેતુ પોતે ગોશ્ત ખાવો અને સગા – સંબંધીઓ અને ગરીબોને ગોશ્ત ખવડાવવાનો નથી, બલ્કે કુરબાનીની હકીકત અને તેનો મુખ્ય હેતુ માત્ર અલ્લાહ તઆલાની ખૂશી અને નઝદીકી પ્રાપ્ત કરવાની નિય્યતથી ફકત અલ્લાહ તઆલાના નામ ઉપર મખ્સૂસ પ્રકારનું જાનવર ઝબહ કરી તવહીદનો ઈઝહાર કરવાનો છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હજતુલ વિદાઅમાં ૧૦૦ ઊંટોની કુરબાની ફરમાવી હતી, જેમાંથી ૬૩ ઊંટો પોતાના હાથ મુબારકથી ઝબહ ફરમાવ્યા હતા અને બાકીના ૩૭ ઊંટો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ )ના હુકમથી હઝરત અલી (રદિ.) એ ઝબહ ફરમાવ્યા હતા અને કુરબાનીના દરેક ઊંટનો ગોશ્તનો એક એક ટુકડો લઈને ગોશ્ત પકાવી આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ તેનો રસો પીધો હતો. કારણ કે દરેક કુરબાનીનો થોડો ગોશ્ત ખાવો સુન્નત હતો અને ૧૦૦ કુર્બાનીઓનો ટૂકડો ટૂકડો ગોશ્ત ખાવો પણ મુશ્કેલ હતો એટલે આપે બધી કુરબાનીઓના ગોશ્તનો માત્ર રસો પીને આ સુન્નત અદા ફરમાવી હતી. (મઆ.સુનન–૬/રપપ)
Log in or Register to save this content for later.