[૮૮] હજની કુરબાની પોતાના વતનમાં

Chapter : હજ

(Page : 123-124)

સવાલઃ– મકકહ શરીફમાં હાજીઓ હજ કરવા જાય છે ત્યાં કુરબાનીના જાનવરના રૂા. ૮૦૦ ચૂકવવા પડે છે તો પણ ત્યાં તેમને જાનવરની કુરબાની થતી જોવા મળતી નથી તથા તેના માંસનો કટકો પણ ચાખવા મળતો નથી, શરીઅતની રૂએ કુરબાનીના જાનવરનો એક ભાગ માલિકના હકનો અને બે ભાગ ખેરાત કરવાના હોય છે. આવું કંઈજ બની શકતું નથી.  ત્યાં સરકારે એક ઈલેકટ્રીક ભઠ્ઠી બનાવી છે. તેમાં કુરબાનીના જાનવરોને બાળીને ભસ્મ કરી દેવાય છે. માંસ તો શું તેનું રૂવાંટુય ખપમાં આવતું નથી.

                આવા પ્રકારની કુરબાની થયેલી ગણાય નહિ તો પણ હાજીઓ લાચારીથી તેમાં માની લે છે. તો આપ જણાવશો કે ત્યાં કુરબાની ન થાય પણ પોતાના દેશમાં બકરી ઈદના દિવસે તેમના વતીથી કુટુંબીજનો જાનવરની કુરબાની કરે તો શું ખોટું છે? તેથી દેશનું હુંડીયામણ પણ બચશે ફુઝુલખર્ચી થતી અટકશે અને દેશમાં નાના જાનવરની કિંમત રૂા. રપ૦ આશરે બેસે છે, ત્યાં તેનું માંસ એક ભાગ સ્નેહીઓ ખાઈ શકશે અને બે ભાગ ખેરાત કરી શકાશે તથા તેનું ચામડું મદ્રસાને ભેટ આપી શકાશે.

જવાબઃ– જે કુરબાની ખાસ હજ કરનાર ઉપર વાજિબ હોય છે તે ત્યાં મિના કે હરમમાં કોઈ જગ્યાએ કરવામાં આવશે તો જ અદા થશે. જેમકે હજના બીજા અરકાન અને કામોની અદાયગીના દુરસ્ત થવા માટે અને ઈબાદત બનવા માટે જરૂરી છે કે તે ચોકકસ અને નિશ્ચિત જગ્યાએ અદા કરવામાં આવે તો જ હજ ના રુકન અને હજ તરીકે અદા થાય છે. જેમકે તવાફ – વુકૂફ – સઈ – રમી અને દુનિયાની બીજી કોઈ મસ્જિદનો તવાફ કરવામાં આવે તો હજ અદા નહિ થાય અને ન તે કામ ઈબાદત ગણવામાં આવશે. માટે હજની કુરબાની એ પણ હજના કામો પૈકી એક એવું કામ છે જેની જગ્યા નકકી છે અને તે જગ્યામાં કરવાથી જ અદા થશે. ચાહે તેમાં ખર્ચ વધુ થાય.  (દુર્રે મુખ્તાર શામી– ર/રપ૦)

                રહી વાત ગોશ્તનો સદકો ન કરી શકવાથી અને પોતે ઉપયોગ ન કરી શકવાથી કુરબાનીનું અદા ન થવું તો એ વિષે જાણવા જોગ છે કે હજની કુરબાનીની વ્યાખ્યા આ છે કે કોઈ કુરબાની લાયક જાનવરને મિનામાં કે હરમમાં અન્ય કોઈ સ્થળે અલ્લાહ તઆલાનો આદેશ માનીને તેને અનુસરીને માત્ર અલ્લાહની રઝામંદી પ્રાપ્ત કરવાની નિય્યતથી અલ્લાહનું નામ લઈ ઝબહ કરવું, તેના ગોશ્તને પોતે ઉપયોગ કરવો કે સગા સ્નેહીઓ ગરીબોને વહેંચવો એ કુરબાનીની વ્યાખ્યામાં શામેલ નથી. માટે ફકત ઉપર પ્રમાણે જાનવર ઝબહ કરવાથી કુરબાની અદા થઈ જશે ચાહે તેનો ગોશ્ત ન ખાઈ શકાય અને ન વહેંચી શકાય. અલબત્ત, કુરબાની થઈ ગયા બાદ તેના ગોશ્તનો ઉપયોગ એ પ્રમાણે મુસ્તહબ અને અફઝલ જરૂર છે કે ત્રણ ભાગો માંથી એક ભાગ ગરીબોને સદકો કરવામાં આવે એક ભાગ પોતે ખાવા માટે ઉપયોગ કરે અને એક ભાગ સગા સંબંધીઓને ભેટ તરીકે વહેંચવામાં આવે.

                આપનું એ મંતવ્ય ઈચ્છનીય અને પ્રસંશનીય છે કે કુરબાનીના ગોશ્તને વ્યર્થ વેડફી ન નાંખતાં તેને ખપમાં લેવો જોઈએ, કારણકે તેને ભઠ્ઠીમાં બાળી દેવો દેખીતી રીતે ઈસરાફ અને ફુઝૂલખર્ચી જેવું લાગે છે. જો કે નાના જાનવરોનો ગોશ્ત ઉપયોગ પણ કરવામાં આવે છે અને મોટા જાનવરોનો ગોશ્ત પણ બિદ્દુ અરબો થોડા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને બાકીનો ગોશ્ત તથા ચામડાં દુર્ગધ ન ફેલાય અને વાતાવરણ ગંદુ ન થાય એ હેતુથી ખાકસ્તર કરી દેવામાં આવતો હશે.

Log in or Register to save this content for later.