Chapter : હજ
(Page : 79-80)
સવાલ :– એક ઔરત લભગભ વીસ – બાવીસ વર્ષોથી પોતાના પતિથી અલગ પોતાના પિયરમાં અલગ પોતાના વાલિદૈન સાથે રહે છે અને તેના પતિએ તેણીને તલાક આપી નથી, પરંતુ પતિએ બીજી શાદી કરી લેવાથી મજકૂર ઔરત સાથે કોઈ સંબંધ રાખતો ન હતો એટલે તેણી પિયરમાં જઈ રહેવા લાગી, હવે તેણીએ પોતાના પતિથી હજમાં જવાની રજા લેવી જરૂરી છે?
જવાબ :– જો મજકૂર ઔરત પતિની રજા અને રાજીખુશીથી પોતાના વાલિદૈનના ઘર ઉપર રહેતી હોય તો અલગ રહેવામાં કોઈ વાંધો નથી અને આ સૂરતમાં પતિથી મુલાકાત કરીને રજા લઈને હજમાં જવું અફઝલ છે, જો રજા વગર જશે તો પણ તેની ફર્ઝ હજ અદા થઈ જશે અને જો પતિની રજા વગર પિયરમાં રહેતી હોય તો આ સૂરતમાં પોતાના પતિથી અલગ પિયરમાં રહેવું જાઈઝ નથી. તેણીએ પોતાના પતિના ઘરે જવું જોઈએ અને પતિની રજા લઈ હજ પઢવા જવું જોઈએ, પતિની નારાજી સાથે હજમાં જવું યોગ્ય નથી. (શામી–ર/૧૪૬ નોઅ.) અને પતિની પણ એ વાતની જવાબદારી છે કે તે આ ઔરતના પત્ની તરીકેના બધા હક્કો સંપૂર્ણ પણે અદા કરે અને હક્કોની અદાયગી બાબત બન્ન પત્નીઓમાં બરાબરી અને ઈન્સાફથી વર્તે. જે પતિ પોતાની અનેક પત્નીઓના હક્કો બાબત બરાબરી અને ન્યાયથી વર્તાવ ન કરે અને કોઈ એક પત્ની તરફ લચી પડે અને બીજી પત્નીના હક્કો તરફ કોઈ ધ્યાન ન આપે તેવા પતિ માટે હદીષ શરીફમાં સખત વઈદ આવેલી છે.
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ )નું ફરમાન નકલ કરે છે કે જે માણસની બે પત્નીઓ હોય અને તે બીજીને છોડીને એક તરફ ઝૂકી જાય તો કિયામતના દિવસે એવી હાલતમાં આવશે કે તેના શરીરનો એક ભાગ ઝુકેલો – નમેલો (કદરૂપો) હશે. (બદાઈઅ ભાગ – ર/૬૪૭)
Log in or Register to save this content for later.