Chapter : હજ
(Page : 73-74)
સવાલ :– મારા ઉપર હજ ફર્ઝ થઈ ગઈ છે, માટે હું ચાલુ વર્ષે હજમાં જવા ઈરાદો કરું છું, પરંતુ મારા ગળામાં તકલીફ હોવાથી અને બોલવામાં અવાજ ન નીકળવાથી મારા ગળાનું ઓપરેશન કરી અવાજ પેટી કાઢી લેવામાં આવી છે, હવે મારાથી કંઈ જ બોલી શકાતું નથી. મારે કોઈ કામ હોય તો ઈશારાથી અથવા સ્લેટ કે કાગળ ઉપર લખીને સમજાવવું પડે છે. અલબત્ત, મને સાંભળવામાં કોઈ તકલીફ નથી.
હવે હું હજ માટે જાઉં તો મારે હજના કામોમાં તલબિય્યહ, નિય્યત, તવાફ, સઈ, કુર્બાની અને મદીનહ શરીફની હાજરી વગેરે અનેક કામો કરવાના છે, તો મારે આ કામો કેવી રીતે અદા કરવા તે જણાવશો અને આવી હાલતમાં હું મારા વતી કોઈ બીજા માણસને હજ્જે બદલ માટે મોકલી શકું જે મારી ફર્ઝ હજ અદા કરે. ખુલાસાવાર જવાબ આપશો. જવાબ :– હજ અને ઉમરહની ઈબાદતમાં એવા જરૂરી કામો જેનો સંબંધ જબાન સાથે હોય એવા બે કામો માલમ પડે છે, એક તલબિય્યહ (લબ્બયક કહેવું) અને બીજું કુર્બાની ઝબહ કરતી વખતે બિસ્મિલ્લાહિ અલ્લાહુ અકબર પઢવું, આ સિવાય હજ – ઉમરહના બીજા આ’માલમાં દુઆઓ અને નિય્યત છે, પરંતુ તેને અવાજ કાઢી મોઢેથી પઢવું જરૂરી નથી અને નિય્યતનો સંબંધ તો દિલથી છે, જબાનથી નિય્યતના શબ્દો બોલવા જરૂરી નથી અને કુરબાની પોતે ઝબહ ન કરે તો તેમાં પણ વાંધો નથી અને સામાન્ય રીતે પોતાની કુરબાની બીજા પાસે જ ઝબહ કરાવવામાં આવે છે અને જો પોતાની કુરબાની પોતે ઝબહ કરે તો આવી મજબૂરીમાં ફકત દિલમાં બિસ્મિલ્લાહ પઢી ઝબહ કરવું જાઈઝ છે.
રહી વાત લબ્બયક પઢવાની, તો જો મોઢામાં જબાન બાકી હોય, ઓપરેશનથી કાઢી લેવામાં ન આવી હોય તો ભલે અવાજ ન નીકળી શકે તો પણ અવાજથી તલબિય્યહ પઢવાની જેમ જબાનને માત્ર હરકત આપે તો પણ તમારા જેવા મઅઝૂર માણસનો તલબિય્યહ અદા થઈ જશે, મઅઝૂર માટે અવાજ કાઢવો જરૂરી નથી. અને જો ઓપરેશનથી જબાન પણ કાઢી લેવામાં આવી હોય તો ફકત દિલમાં તલબિય્યહ પઢી લે અને તવાફ, સઈ, અરફાત મુઝદલિફહ અને રમી વગેરેની દુઆઓ દિલથી કરવી જોઈએ અને મદીનહ મુનવ્વરહની હાજરીમાં પણ દુરૂદ શરીફ, સલામ અને દુઆઓ મઅઝૂર માટે દિલથી પઢવી જાઈઝ છે.
અને માત્ર મોઢેથી અવાજ ન નીકળવાની મજબૂરીના લઈ પોતાની ફર્ઝ હજ માટે કોઈ માણસને હજ્જે બદલ માટે મોકલવું જાઈઝ નથી, બલ્કે આવી હાલતમાં પણ પોતાની ફર્ઝ હજ ઉપરની વિગત મુજબ પોતે જ પઢવી જરૂરી છે. (ઉમ.ફિકહ – ૪/૧૩૦)
Log in or Register to save this content for later.