Chapter : હજ
(Page : 76-77)
સવાલ :– મેં સિદ્દિક ઈબ્રાહીમ ભાઈ દૂધવાલાએ ચાલુ વર્ષે ૧૯૯૯માં હજ માટે ગુજરાત રાજય હજ કમિટિ મારફત ફોર્મ ભર્યું હતું, મારી સાથે હજમાં આવનાર કુલ ૭ વ્યકિતઓ હતી. (૧)પોતે (ર)પત્ની (૩)પિતા (૪)માતા (પ)બહેન (૬)સગામામા (૭)સગીમામી.
ઉકત સાત વ્યકિતઓમાંથી અનું નંબર–૩,૪,પ પિતા, માતા અને બહેન જેઓએ અગાઉ હજ તેમજ ઉમરહ કરેલ હતા, પરંતુ અલ્લાહે તેની મહેરબાનીથી અને મારા પિતાની કોશિષથી મને સારી નોકરી અપાવી તેથી મેં મારા માતા પિતાને મારા પૈસે ફરીથી હજ પઢાવવાનો પાકો ઈરાદો કર્યો હતો જેને પૂરો કરવા મેં આ વર્ષે ફોર્મ ભર્યું હતું, પરંતુ અચાનક મારા પિતા ૬/૧/૯૯ ના રોજ ૧૭માં રોઝે અલ્લાહની રહમતમાં પહોંચી ગયા જેથી હાલમાં મારી માતા ઈદ્દતમાં છે, પરંતુ મારી ઈચ્છા મારી માતાને સાથે હજ પઢવા લઈ જવાની છે અને મારી માતાની પણ ઈચ્છા છે તો આ સંજોગોમાં મારી માતાને હજ પઢવા શરઈ દ્રષ્ટિએ લઈ જવાય કે નહિ? આવા સંજોગોમાં શું હુકમ છે.
(૧) મારા પિતાના ઈન્તિકાલ પછી પણ મારી માતાના મહરમ તરીકે હું તેમનો દીકરો છું ત્થા માતાનો સગો ભાઈ પણ છે.
(ર) અને મારી બહેનના મહરમ તરીકે હું સગો ભાઈ તેમજ સગા મામા પણ છે.
જવાબ :– જે ઔરતના પતિની વફાત થઈ ગઈ છે, તેના માટે ચાર મહિના દસ દિવસ સુધી ઈદ્દત ગુજારવી લાઝિમ અને ફર્ઝ છે, કુર્આન મજીદથી સ્પષ્ટ હુકમ છે અને ઈદ્દતમાં સફર કરવાની મનાઈ છે, ચાહે તે ફર્ઝ હજનો સફર હોય કે નફલ હજનો સફર હોય, પૂછેલી સૂરતમાં તમારી માતા માટે ઈદ્દત ગુઝારવી અને ઘર પર રહી ઈદ્દત પૂરી કરવી જરૂરી છે અને ઈદ્દતની હાલતમાં નફલ હજ માટે જવું જાઈઝ નથી, ચાહે તેઓના સાથે મહરમ તરીકે તમો અને તમારા મામા મવજૂદ હોય તો પણ ઈદ્દતમાં તમારા વાલિદહ માટે હજનો સફર કરવો જાઈઝ નથી અને હજ મવકૂફ રાખી ઈદ્દતના હુકમનું પાલન કરવું એ જ શરીઅત મુજબ સવાબનું કામ અને બંદગી છે. (શામી–ર)
Log in or Register to save this content for later.