[૧૯] પાગલ પતિની ઓરત માટે બીજા નિકાહ કરવાનો હુકમ

Chapter : નિકાહ

(Page : 48-49)

સવાલ :–  મારા પતિ પાછલા ૧૪ વર્ષોથી પાગલ થઈ ગયા છે. હું મહેનત મજૂરી કરીને પોતાનો નિભાવ કરું છું અને તેઓનું ભરણ પોષણ પણ હું પોતે જ કરતી હતી. હવે તેઓ મારી પાસે નથી રહેતા, જયાં મન ચાહે ત્યા ફર્યા કરે છે. માટે હું પોતાના નિકાહ એક સારા નમાઝી માણસ સાથે પઢવા ચાહું છું. તો હું આવી હાલતમાં મારા હાલના પાગલ પતિની લેખિત અથવા મૌખિક તલાક વગર બીજા માણસ સાથે પોતાના નિકાહ કરી શકું કે નહિ? બીજા નિકાહ કર્યા વગર મારું જીવન–ગુજરાન મુશ્કેલ છે.

જવાબ :– મજકૂર પરિસ્થિતિમાં તમારા પાગલ પતિ લેખિત કે મૌખિક તલાક આપે તો પણ હાલ તુરત તમારા માટે બીજા નિકાહ કરવા જાઈઝ નથી, કારણ કે પાગલ પતિ તલાક આપે તો પણ તલાક પડતી નથી. માટે તેના તલાક આપવાથી ઓરત નિકાહમાંથી મુકત થતી નથી અને આ હાલતમાં પાગલ પતિની તલાક વ્યર્થ હોવાથી તલાક વગર પણ બીજા માણસ સાથે નિકાહ કરવા જાઈઝ નથી, કારણ કે તમારા નિકાહ પાગલ પતિ સાથે કાયમ છે, માટે હાલના નિકાહથી મુકત થતાં પહેલાં બીજાથી નિકાહ કરવા હરામ છે.                  (શામી–ર/૪ર૬)

                તમારા જેવી પાગલ પતિની ઓરતે પાગલ પતિના નિકાહમાંથી મુકત થવા માટે અને બીજા કોઈ પુરૂષ સાથે નિકાહ કરવા માટે શરઈ હુકમ આ છે કે જો તે બીજી શાદી કરવા માટે મજબૂર હોય અને બીજી શાદી કર્યા વિના પોતાના ભરણ પોષણની વ્યવસ્થા અને ઈઝ્‌ઝત આબરૂ જળવાય એમ ન હોય તો તે ઓરત પોતાના રહેઠાણથી કોઈ નજદીકની જગ્યાએ જયાં સારા અનુભવી આલિમોની શરઈ પંચાયત મવજૂદ હોય તેઓની સામે પોતાની હાલત રજૂ કરે, જો મસાઈલના અભ્યાસ બાદ તેઓને યોગ્ય લાગશે તો તેઓ તમારા માટે હાલના નિકાહથી મુકિત માટેનો કોઈ ફેસલો કરશે અને તે પછી ઈદ્દત પૂરી કરીને બીજા નિકાહ કરી શકાશે, શરઈ પંચાયતમાં અરજી આપ્યા વગર પાગલ પતિની ઓરત માટે  બીજા માણસથી નિકાહ કરવા જાઈઝ નથી.            (અલ્‌ હીલહ–૧૮૦)

Log in or Register to save this content for later.