Chapter : નમાઝ
(Page : 240-241)
સવાલ :– અઝાન આપનાર અને તકબીર કહેનાર માણસ શરઈ દ્રષ્ટિએ કેવો હોવો જોઈએ ? જો કોઈ માણસ દાઢી મૂંડાવતો હોય અને અઝાન તથા તકબીરના કલિમાત મખરજના મુતાબિક સહીહ ન અદા કરી શકતો હોય અને તે માણસ પોતાના શોખથી અઝાન–તકબીર કહેતો હોય અને રોકવા છતાં ઝબરદસ્તી અઝાન–તકબીર કહેતો હોય અને તેના લઈને ઝઘડો થવાની શકયતા હોય તો શું હુકમ છે ? સહીહ અઝાન આપનાર શરીઅતનો પાબંદ માણસ મવજૂદ હોય અને મસ્જિદના વ્યવસ્થાપકો સારા માણસનો બંદોબસ્ત કરી શકતા હોય તો મજકૂર અઝાન તથા તકબીર કહેનાર વિશે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ :– અઝાન અને ઈકામત (તકબીર) પઢનાર માણસનું સમજદાર, દીનદાર, અઝાનની સુન્નતો અને હુકમોના જાણકાર હોવું અને દરેક ફર્ઝ નમાઝના જાઈઝ અને મુસ્તહબ વખતથી માહિતગાર હોવું અને અઝાન તથા તકબીરના કલિમાતનો તજવીદના મખારિજ પ્રમાણે ઠીક ઠીક ઉચ્ચાર કરનાર હોવું સુન્નત છે.
(‘શામી ૧/ર૬૩, ‘કબીરી ૩૭૪)
જે માણસ દાઢી મૂંડાવતો હોય અથવા એક મૂઠથી નાની દાઢી રાખતો હોય એવો માણસ શરીઅતની નજરમાં ફાસિક છે અને ફાસિકની અઝાન અને ઈકામત મકરૂહ છે અને એ જ પ્રમાણે એવા જાહિલ માણસની અઝાન અને ઈકામત પણ મકરૂહ છે જે મખારિજ સાથે સહીહ અઝાન અને ઈકામત ન પઢી શકતો હોય.
સુનને અબૂ દાવૂદ શરીફની એક હદીસમાં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે,
લિયુઅઝ્ઝિન્ લકુમ્ ખિયારુકુમ્
કે તમારામાં જે લાયક અને સારા માણસો હોય તે તમારા માટે અઝાન આપે.
‘શર્હે મુન્યતુલ મુસલ્લી, ‘કબીરીમાં છે કે,
વયદ્ખુલુ ફિલ્ ખય્રિ અલ્લા યલ્હન ફિલ્ અઝાનિ લિઅન્નહુ લા યહિલ્લુ લા ફિલ્ અઝાનિ વલા ફિલ્ કિરાઅહ
ભાવાર્થ એ છે કે ઉપરોકત હદીસ શરીફના શબ્દો મુજબ મુઅઝ્ઝિનના સારા અને લાયક હોવામાં એ વાતનો સમાવેશ પણ થાય છે કે અઝાન આપનાર અઝાનના કલિમાતને મખારિજ અને તજવીદની રિઆયત વગર ગલત તરીકાથી ન પઢે. કારણકે અઝાન અને કિરાઅત બંનેમાં ગલત ઉચ્ચારથી પઢવું જાઈઝ નથી. (પેજ ૩૭૪)
હઝરત ઈબ્ને ઉમર (રદિ.) પાસે એક માણસે આવીને રજૂઆત કરી કે,
‘મને અલ્લાહ તઆલા વાસ્તે તમારાથી નિઃસ્વાર્થ મહોબ્બત છે.
તો હઝરત ઈબ્ને ઉમર (રદિ.)એ જવાબ આપ્યો કે,‘‘મને અલ્લાહ તઆલા વાસ્તે તમારાથી નારાજગી છે.
આવનાર માણસે પૂછયું કે, ‘‘આપ મારાથી શા કારણે નારાજ છો ?
તો તેઓએ જવાબ આપ્યો કે,‘‘મને એવી ખબર મળી છે કે તમે અઝાનમાં લહન કરો છો અને ગલત અઝાન આપો છો. (‘બદાઈઅ ૧/૧પ૦)
ફુકહાએ કિરામ (રહ.) લખે છે કે,
ફાસિક માણસની અઝાન કામિલ સુન્નત અઝાન નહીં કહેવાય અને જો તેની અઝાન સાંભળનારને બીજી કોઈ રીતે ફર્ઝ નમાઝના શરૂ વખતની જાણ ન હોય તો કોઈ ફર્ઝ નમાઝનો વખત શરૂ થવા બાબત માત્ર ફાસિકની અઝાન વિશ્વાસપાત્ર નહિં ગણાય.
અને કલિમાતે અઝાનનો ગલત ઉચ્ચાર કરનારની અઝાન વિશે લખે છે કે, તેની અઝાન સાંભળવી જાઈઝ નથી અને તેનો જવાબ આપવો પણ મુસ્તહબ નથી અને આવી સૂરતમાં ફરીવાર અઝાન આપવી મુસ્તહબ છે. (‘શામી ૧/ર૬૬)
આ પ્રમાણેના ગેરલાયક અને ગલત અઝાન દેનાર અને ઈકામત કહેનાર માણસો તે સવાબના હકદાર નહિ બને જે મુઅઝ્ઝિન માટે હદીષોમાં બયાન ફરમાવવામાં આવ્યો છે બલ્કે અઝાન અને ઈકામત માટે લાયક માણસો હોવા છતાં અને ગેરલાયક માણસની અઝાન–ઈકામતના મકરૂહ હોવાથી મસ્જિદના નમાઝીઓ અને વ્યવસ્થાપકો તેની અઝાનથી નારાઝ હોવા છતાં જબરદસ્તી અઝાન–ઈકામતને વળગી રહેવાથી તે ગુનાહગાર થશે અને શિઆરે ઈસ્લામ ગણાતી કામિલ સુન્નત અઝાનના છૂટી જવાનો વબાલ તેના શિરે રહેશે.
જેમ કે કોઈ માણસ પોતે ઈમામતના લાયક ન હોવા છતાં નમાઝીઓની મરજી વિરુદ્ધ ઈમામત કરાવે તો હદીસ શરીફમાં તેના વિશે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) ફરમાવે છે કે,
‘‘અલ્લાહ તઆલા એવા માણસની નમાઝ કબૂલ નથી ફરમાવતા જેની ઈમામતથી (યોગ્ય કારણસર) લોકો નારાઝ હોય, છતાં તે લોકોની ઈમામત કરે. (‘શામી ૧)
Log in or Register to save this content for later.