[૧૮૮] મુઅઝ્‌ઝિન સિવાય બીજો માણસ તકબીર પઢે

Chapter : નમાઝ

(Page : 228)

સવાલ :– ઝોહરની નમાઝમાં મુઅઝ્‌ઝિનની બાજુમાં ઊભો હતો ત્યારે મુઅઝ્‌ઝિનને એકાએક માથામાંથી લોહી વહેવા લાગ્યું, એટલે તે સફ છોડી બહાર ચાલ્યા ગયા. મેં એકાએક તકબીર પુકારી ઇમામ સાહેબ તુરત મારા ઉપર ગુસ્સે થયા અને મને કહ્યું કે મુઅઝિ્‌ઝનની રજા લીધી ? હું જાણતો હતો કે મુઅઝ્‌ઝિનની રજા લેવી જરૂરી છે, પણ એટલો ટાઈમ ન હતો કે હું રજા લેવા જાઉં. એટલે બાજુના માણસે કહ્યું કે હાફિઝ સાહેબ તકબીર પુકારો. ઈમામ સાહેબ મુસલ્લા પર ગુસ્સે થયા તો અમારી નમાઝ થઈ કે કેમ ?

જવાબ :– આ બાબત મસ્અલહથી અજાણ હોવાને કારણે ખેંચતાણ થઈ, મસ્અલહની વિગત આ છે કે જો તકબીરના સમયે અઝાન દેનાર મસ્જિદમાં મવજૂદ હોય તો અફઝલ એ છે કે તે જ તકબીર કહે, કારણકે જયારે અઝાનનો સવાબ એક માણસ પ્રાપ્ત કરી ચૂકયો તો તકબીરનો સવાબ પ્રાપ્ત કરવા તે વધારે લાયક છે. જો તેના સિવાય બીજો માણસ તકબીર કહેવાનું શરૂ કરી દે અને મુઅઝ્‌ઝિન બીજાના તકબીર કહેવાથી નારાઝ પણ ન હોય તો પણ કંઈ વાંધો નથી, પરંતુ જો અઝાન દેનાર નારાઝ હોય (અને પોતે દેવા ચાહતો હોય) તો તકબીર દુરૂસ્ત તો થઈ જશે, પરંતુ ગેર અફઝલ તરીકા પર થશે.

                અને જો તકબીરના સમયે અઝાન દેનાર મસ્જિદમાં હાજર ન હોય તો બીજો માણસ તકબીર કહે તો કંઈ વાંધો નથી, ચાહે તે રાઝી હોય કે નારાઝ.

                મજકૂર સૂરતમાં મુઅઝ્‌ઝિન લોહી વહેવાથી બહાર ચાલ્યા ગયા તો ઈજાઝત લેવાનો સવાલ જ પેદા થતો ન હતો અને બીજા માણસની તકબીર વગર કરાહતે દુરૂસ્ત હતી માટે ઈમામ સાહેબનું રોકવું ઠીક ન હતું.

                ઈમામ સાહેબ મુસલ્લા પર ઈજાઝતના હુકમને આમ સમજવાના કારણે ગુસ્સે થયા, એનાથી નમાઝમાં કંઈ નુકસાન આવ્યું નથી.

Log in or Register to save this content for later.