[૧૧] કર્ઝ આપનાર વસૂલાત પહેલાં મૃત્યુ પામે

Chapter : ઝકાત

(Page : 54-55)

સવાલ :– એક બાપના ચાર છોકરાઓ અને ચાર છોકરીઓ છે. બાપની ચાર દુકાનો છે જેમાં ચારેવ છોકરાઓ બાપ સાથે દુકાનોમાં ધંધો કરે છે, અમુક વર્ષો પછી બાપ લગભગ રીટાયર્ડ લાઈફમાં આવી ગયા એટલે બાપે દરેક છોકરાને એક દુકાન રૂા ૧ લાખના હિસાબે વેચી દીધી અને દરેક છોકરીને રૂા ૧ લાખ રોકડા કર્ઝના તોર પર આપ્યા અને વસિય્યત કરી કે મીરાસ તકસીમ કરતી વેળા આ એક લાખ રૂપિયા ગણી લેવામાં આવે, તો શું શરીઅતમાં આ મસ્અલામાં કોઈ કબાહત તો નથી અને આ આઠ લાખ રૂપિયા જે વાલિદે પોતાના છોકરા છોકરીઓને કર્ઝના તોર પર આપ્યા છે તેની ઝકાત કોણ આપશે?

               બીજી વાત એ પૂછવી છે કે બાપે પોતાના છોકરાઓની વરસોની મેહનતને ધ્યાનમાં રાખી દુકાનો સસ્તા ભાવથી વેચી તો શું એમાં ગુનોહ તો નથી.

જવાબ :– છોકરાઓને દુકાનો વેચવામાં અને છોકરીઓને કર્ઝ આપવામાં શરઈ દ્રષ્ટિએ કોઈ કબાહત નથી અને છોકરાઓની વર્ષોની મેહનત અને ધંધામાં બાપની મદદ ખિદમત કરવાના લઈ દુકાનો સસ્તા ભાવથી વેચે એમાં પણ કંઈ વાંધો નથી, પણ નિય્યત છોકરીઓને વારસા વહેંચણીમાં નુકશાન પહોંચાડવાની ન હોવી જોઈએ.

(શામી – ૪/પ૧૩, આલમગીરી –૪/૩૯૧)

               અને મઝકૂર દેવાના આઠ લાખ રૂપિયાની ઝકાત બાપે આપવાની રહેશે, પરંતુ તે વિષે એટલી વિગત યાદ રાખવી ઝરૂરી છે કે તે દેવાની રકમની ઝકાત વસૂલાત અને કબ્ઝો મેળવતાં પહેલાં અદા કરવી બાપના શિરે પણ વાજિબ નથી, જયારે તેની વસૂલાત થઈ જાય ત્યારે પાછલા બધા વર્ષોની ઝકાત આપવી પડશે. જો એક સાથે બધુ દેવું વસૂલ ન થાય થોડું થોડું વસૂલ થાય તો જેમ જેમ વસૂલ થાય તેટલા પ્રમાણની ઝકાત આપવી વાજિબ થશે. એ શર્તે કે વસૂલ થયેલું દેવું સાડા દસ તોલા ચાંદીની કિંમતથી ઓછું ન હોય જો તેથી ઓછું હોય તો ભવિષ્યમાં થતી વસૂલાતથી જયારે એટલા પ્રમાણમાં થઈ જાય ત્યારે વસૂલાતના પ્રમાણની ઝકાત આપે અને જો વસૂલાત અને કબ્ઝા પહેલાં જ બાપ વફાત પામે તો પાછલા વર્ષોની ઝકાત કોઈના ઉપર લાગુ નહિ પડે ન બાપ પર ન દેવાદાર અવલાદ પર, પરંતુ મઝકૂર સૂરતમાં બાપ તરફથી અવલાદ અદા કરી આપે તો બેહતર છે.                                         (શામી–ર/૩પ, ૩૬)

Log in or Register to save this content for later.