[ર૪૮] કઅ્‌દહમાં તશહ્‌હુદના ઈશારા પછી આંગળીઓ વાળેલી રાખવી

Chapter : નમાઝ

(Page : 286-287)

સવાલ :– નમાઝમાં અત્તહિય્યાતમાં કલિમ–એ–શહાદત ઉપર જે જમણી આંગળી ઉંચી કરીને દાયરો (હલકો) બનાવવામાં આવે છે તેવો હલકો સલામ ફેરવતાં સુધી રાખવો કે શહાદતની આંગળી ઉંચી કરી તરત જ હલકો ખતમ કરી હાથ મૂકી દેવો તે જણાવશો. બીજુ કે શરીઅતમાં આવો હલ્કો બનાવવાનું કોઈ કારણ છે ? એ હલ્કાનું શું મહત્વ છે ? તે જણાવશો.

જવાબ :– શહાદતની આંગળી મૂકી દીધા પછી હલ્કો બાકી રહેવા દેવામાં આવે. મજ્‌મૂઅતુલ્‌ ફતાવા (ઉર્દૂ)માં મુલ્લા અલી કારી (રહ.)થી એ જ પ્રમાણે નકલ કરવામાં આવ્યું છે. (પેજ–ર૪૭, ભાગ–૧) હા, ‘‘તહતાવી હાશિયએ મરાકિયુલ ફલાહમાં લખ્યું છે કે ફક્ત તશહ્‌હુદ વખતે આંગળીઓ વાળવામાં આવે, ન એથી પહેલાં વાળવામાં આવે ન એ પછી વાળવામાં આવે અને એના પર ફતવો છે. (તહતાવી અલલ્‌ મરાકી–૧૪૭) પરંતુ કોઈ ખાસ કિતાબનો હવાલો આપી આ વાત નકલ કરી નથી કે ન પોતે કોઈ દલીલ એ સંપૂર્ણ દાવા ઉપર રજૂ ફરમાવી છે.

                જ્યારે કે અલ્લામહ શામી (રહ.)એ આ મસ્અલહ પર એક રિસાલો લખ્યો છે, જેનું નામ છે : ‘‘રફઉત્તરદ્દુદ ફી અકદિલ્‌ અસાબિઈ ઈન્દત્તશહ્‌હુદ જેમાં લખે છે કે હનફી ત્રણ ઈમામો હઝ. ઈમામ અબૂ હનીફા (રહ.) હઝ. ઈમામ અબૂ યૂસુફ (રહ.) હઝ. ઈમામ મુહમ્મદ (રહ.)થી મન્કૂલ છે કે તશહ્‌હુદ વખતે ઈશારો કરે અને આંગળીઓ વાળે અને આ ઈમામોના કલામથી તો એ જ જાહિર થાય છે કે આંગળીઓ વાળા પછી એને ખોલી ન નાંખે, બલ્કે સલામ સુધી એની હાલત પર વાળેલી બાકી રાખે, કારણ કે હનફી મઝહબના આ ઈમામોથી ઈશારો કર્યા બાદ આંગળીઓને ખોલી નાંખવાનું વર્ણન સાબિત નથી અને પોતાના રિસાલાના આખિરમાં મુલ્લા અલી કારી (રહ.) હનફીની ઈબારત નકલ કરી મસ્અલહનો ખુલાસો અને ફેંસલો કરેલ છે, જેનો મતલબ એ છે કે ઈશારો કર્યા બાદ વાળેલી આંગળીઓને પોતાની હાલત પર બાકી રહેવા દે અને દલીલ પણ નકલ કરે છે કે આંગળીઓ ખોલવા વિશે કોઈ હુકમ (એટલે હુઝૂર સલ.ની હદીસથી અથવા હનફી ઈમામો (રહ.)ના મંતવ્યથી) સાબિત નથી માટે વાળ્યા પછી જેમ છે તેમ જ રહેવા દેવી જોઈએ.  (રસાઈલે ઈબ્ને આબિદીન, ભા–૧/૧ર૭–૧૩૪)

والصحیح المختار عند جمھور اصحابنا انّہ یضع کفّیہ علی فخذیہ ثم عند وصولہ الی کلمۃ التوحید (الی ان قال) ثم یستمرّ علی ذلک لانہ ثبت العقد عند الاشارۃ بلا خلاف ولم یُوجد امر بتغییرہ فالاصل  بقاء الشیء علی ما ہو علیہ واستصحابہ إلی آخرامرہ۔ (رسائل ابن عابدین۔جـ  ۱؍صـ :۱۳۴)

                એક તરફ અલ્લામહ તહતાવી (રહ.)ની તે ટૂંકી ચોખવટ છે તો બીજી તરફ આ મસ્અલહ વિષે એક અલગ પુસ્તિકા લખી બધા હનફી આલિમોના કથનોને અલ્લામહ શામી (રહ.)એ જમા કર્યા પછી ફેંસલો કર્યો છે. માટે અલ્લામહ શામી (રહ.)ની ઉસૂલી વાતને જ તરજીહ આપી સ્વીકારવી જોઈએ અને એના ઉપર અમલ કરવો જોઈએ.

                હલ્કો બનાવવાનું મૂળ કારણ તો એ છે કે હુઝૂર (સલ.)થી હલ્કો બનાવી ઈશારો કરવો સાબિત છે. એટલા માટે જ અલ્લામહ શામી (રહ.) અનેક મોઅ્‌તબર કિતાબોની ઈબારતો નકલ કરી લખે છે કે આ બધા હનફી ફકીહોના લખાણોથી એ વાત સ્પષ્ટ થાય છે કે હલ્કો બનાવી અથવા એક ખાસ તરીકાથી આંગળીઓ વાળી ઈશારો કરવો એ જ સુન્નત છે. (શામી : ૩૪ર, ભાગ–૧) વળી, હુઝૂરે અકરમ (સલ.) આ ઈશારા બાબત ફરમાવે છે કે શૈતાન માટે આ ઈશારો ધારીદાર હથિયાર કરતાં પણ વધારે સખત છે (કારણ કે લા ઈલા–હ પર આંગળી ઉઠાવી શિર્કનો ઈન્કાર અને ઈલ્લલ્લાહ પર આંગળી મૂકી તવહીદનો ઈકરાર કરવામાં આવે છે અને જાહેર વાત છે કે આંગળીઓ ફેલાવીને ઈશારો કરવા કરતાં હલ્કો બનાવી અથવા આંગળીઓ વાળી ઈશારો કરવામાં એ વસ્તુનો વધારે ઈઝહાર થાય છે. (તહતાવી : ૧૪૬, કબીરી : ૩ર૮)

Log in or Register to save this content for later.