Chapter : નમાઝ
(Page : 282)
સવાલ :– વિમાનમાં મુસાફરી દરમ્યાન ફર્ઝ નમાઝનો ટાઈમ થાય તો નમાઝ પઢી શકાય કે નહિ ? અને વિમાનમાં પઢેલી ફર્ઝ નમાઝ વિમાનમાંથી ઉતર્યા પછી ફરીથી પઢવી પડશે કે નહિ ? અને ફરી પઢે તો અદાની નિય્યતથી પઢે કે કઝાની નિય્યતથી પઢે ?
જવાબ :– જો ફર્ઝ નમાઝનો વખત શરૂ થયા પછી મકરૂહ વખત શરૂ થતાં પહેલાં વિમાન જમીન પર ઉતરાણ કરી થોભવાનું હોય અને જમીન ઉપર થોભેલા વિમાનમાં અથવા તેમાંથી નીચે ઉતરીને જમીન પર નમાઝ પઢી શકવાની આશા હોય તો વિમાનના થોભવાની રાહ જોવે અને સગવડ મુજબ થોભેલા વિમાનમાં અથવા વિમાનમાંથી ઉતરીને જમીન પર ફર્ઝ નમાઝ પઢે અને જો ફર્ઝ નમાઝનો મકરૂહ વખત શરૂ થતાં પહેલાં વિમાન જમીન પર ઉતરવાની અને થોભવાની આશા ન હોય તો ફર્ઝ નમાઝ પણ રુકૂઅ–સજદહ સાથે કિબ્લહ રૂખ ઊભા રહીને વિમાનમાં જ પઢી લેવી જોઈએ અને નમાઝ કઝા ન થવા દેવી જોઈએ અને જયારે વિમાન જમીન ઉપર ઉતરીને થોભે ત્યારે વિમાનમાં અથવા વિમાનમાંથી ઉતરીને તે નમાઝ ફરી પઢી લેવી જોઈએ, કારણકે આ મસ્અલહમાં બધા જ મોઅતબર અને મહાન મુફતિયાને કિરામ (રહ.)ના મંતવ્ય મુજબ નમાઝ લોટાવવી વાજિબ છે.
જો વિમાનમાંથી ઉતર્યા પછી તે પઢેલી નમાઝનો વખત બાકી હોય તો ફરીવાર પણ અદાની નિય્યતથી જ નમાઝ પઢે અને જો વિમાન જમીન ઉપર ઉતરીને થોભે ત્યારે તે નમાઝનો વખત પૂરો થઈ ગયો હોય તો કઝાની નિય્યતથી પઢે. (‘ઈમ્દાદુલ ફતાવા ૧/પ૮૭, ‘મઆરિફુસ્ સુનન ૩/૩૯૬,”જવાહિરુલ ફિકહ ૪)
Log in or Register to save this content for later.