[ર૩૯] સજદહમાં પગ જમીન ઉપર મૂકવાનો હુકમ

Chapter : નમાઝ

(Page : 271-272-273)

સવાલ :–(૧) નમાઝના સજદહમાં પગ જમીન ઉપર મૂકવાનો શું હુકમ છે અને તેનો શું તરીકો છે ? ફતાવાની અમુક કિતાબોમાં કોઈ પણ એક પગનો અમુક ભાગ એકવાર સુબ્હાનલ્લાહ પઢવાના પ્રમાણમાં જમીન ઉપર મૂકવાને વાજિબ લખ્યું છે, શું એ પ્રમાણે અમલ કરવાથી સજદહ સહીહ રીતે અને કામિલ રૂપમાં અદા થયેલો ગણાશે ?

જવાબ :–(૧) સજદહની હાલતમાં બંને પગોમાંથી કોઈ એક પગના થોડા ભાગનું ચાહે તે માત્ર કોઈ એક પગની એક આંગળી જ હોય, તેનું જમીન પર મૂકવું સજદહના અસ્તિત્વ માટે ફર્ઝ અને શર્ત છે અને સજદહની હાલતમાં બંને પગો જમીન પર મૂકવા સજદહ અને નમાઝ કામિલ અને પૂર્ણ રૂપથી અદા થવા માટે વાજિબ છે અને બંને પગોની બધી આંગળીઓ એ રીતે આગળ તરફ વાળીને જમીન ઉપર મૂકવી કે તે સજદહની હાલતમાં કિબ્લારૂખ રહે, એ સુન્નત છે. માટે સજદહમાં  પગ મૂકવાનો સહીહ અને મસનૂન તરીકો આ છે કે બંને પગની બધી આંગળીઓ કિબ્લારૂખ કરીને સજદહની શરૂઆતથી છેવટ સુધી જમીન પરથી ઉઠાવ્યા વગર મૂકી રાખવામાં આવે, આ પ્રમાણે આંગળીઓ મૂકવાથી સજદહમાં જમીન પર પગ મૂકવાનો ફર્ઝ, વાજિબ અને સુન્નત બધું જ સારી રીતે અદા થઈ જશે.

                સહીહ બુખારી શરીફ અને સુનને અબૂ દાવૂદ શરીફની હદીસમાં હઝરત અબૂ હુમૈદ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની નમાઝના સજદહનો તરીકો આ પ્રમાણે નકલ કરે છે કે જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સજદહ ફરમાવતા હતા તો પોતાના હાથ (કલાઈ) જમીન પર પાથર્યા વિના અને હાથોને (આંગળીઓને હથેળીના અંદરના ભાગ તરફ) વાળ્યા વિના જમીન પર મૂકતા હતા અને બંને પગની આંગળીઓ કિબ્લારૂખ ફરમાવતા હતા.

(‘દુર્રે મુન્તકા કમ મજ. અન્હુર ૧/૮૭,૯૮, ‘મિન. ખાલિક કમ બહર ૧/૩ર૧, ‘કબીરી ર૮૪, ‘શામી ર/ર૧૦–ઝક.)

                                સુનને ઈબ્ને હબ્બાન અને તબરાની કબીર વગેરે કિતાબોની હદીસ છે કે,  હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે,

“જ્યારે અલ્લાહનો બંદો સજદહ કરે છે તો તેના શરીરનો દરેક અંગ સજદહ કરે છે, માટે તેણે પોતાના અંગોને જેમ બને તેમ કિબ્લારૂખ કરવા જોઈએ”.        (‘બદાઈઅ ૧/૪૯૩)

                અલ્લામા શામી (રહ.)એ સજદહમાં ગમે તે એક પગના થોડા ભાગને જમીન પર મૂકવાના ફર્ઝ હોવાનું મંતવ્ય અનેક વિશ્વાસપાત્ર કિતાબોથી નકલ કર્યું છે અને અમુક કિતાબોથી તે મંતવ્યનું ઝાહિરુર્‌ રિવાયત અને મુફતા બિહિ હોવું પણ નકલ કર્યું છે અને એ જ મંતવ્યને મઝહબે હનફીની વિશ્વાસપાત્ર કિતાબોનું મશહૂર અને વિશ્વાસપાત્ર મંતવ્ય બતાવ્યું છે. જો કે અલ્લમા શામી (રહ.)એ સજદહમાં બંને પગ જમીન પર મૂકવાના વાજિબ હોવાના મંતવ્યને પસંદ ફરમાવ્યું છે અને ફર્ઝ હોવાના મંતવ્યની ઈબારતોનો મતલબ વાજિબ હોવાનો બયાન કર્યો છે અને ફર્ઝ કહેનાર ફુકહાએ કિરામ (રહ.)ની દલીલોનો જવાબ આપ્યો છે; પરંતુ અલ્લામા રાફઈ (રહ.)એ ફર્ઝ હોવાના મંતવ્યને પસંદ કરી તેને જ પ્રાધાન્ય આપ્યું છે અને અલ્લામા શામી (રહ.)એ વાજિબ હોવાના મંતવ્યના સમર્થનમાં લખેલી વાતોનો જવાબ આપ્યો છે.

(‘શામી ર/ર૦૪, ‘કમ તકરીરાત ૬૧,૬ર, ઝક.)

                ઉપર નકલ કરવામાં આવેલી વિગત મુજબ મઝહબે હનફીની વિશ્વાસપાત્ર કિતાબોના મશહૂર અને વિશ્વાસપાત્ર મંતવ્ય મુજબ સજદહની હાલતમાં બંને પગોમાંથી કોઈ એક પગના થોડા ભાગનું જમીન પર મૂકવું સજદહના અસ્તિત્વ માટે ફર્ઝ અને શર્ત છે અને મજકૂર મંતવ્યને ઝાહિરુર્‌ રિવાયત (ફિકહે હનફીનો સૌથી મજબૂત અમલમાન્ય મસ્અલો) અને ફતવાપાત્ર મંતવ્ય બતાવવામાં આવ્યું છે, અને સજદહની હાલતમાં બંને પગો જમીન પર મૂકવા સજદહ અને નમાઝના કામિલ અને પૂર્ણરૂપમાં સહીહ રીતે અદા થવા માટે વાજિબ છે, પરંતુ કોઈ એક પગનો અમુક ભાગ માત્ર એક તસ્બીહના પ્રમાણમાં જમીન પર મૂકવાના વાજિબ હોવાનું મંતવ્ય અને માત્ર એટલી વાર એક પગનો અમુક ભાગ જમીન પર મૂકવાથી (ચાહે કોઈ એક પગનો અમુક ભાગ એક તસ્બીહના પ્રમાણમાં જમીન પર મૂકયા પછી તેને ઉઠાવીને બંને પગ ગમે તેટલીવાર જમીનથી ઉઠાવેલા રાખવામાં આવે તો પણ) સજદહનું સહીહ અને અદા થઈ જવું, એ વાતનું વર્ણન ફિકહની આધારભૂત અરબી કિતાબોમાં અને હઝરાત અકાબિર મુફતિયાને કિરામના ફતાવામાં નથી, માટે આ પ્રમાણે સજદહ કરવાથી સહીહ અને જાઈઝ રીતે સજદહ અદા થયેલો નહિ ગણાય.

Log in or Register to save this content for later.