Chapter : નમાઝ
(Page : 266)
સવાલ :– નમાઝમાં કોલ બાંધવાનો શું તરીકો છે ? કેટલાક નમાઝીઓ કોલ બાંધે છે ત્યારે નીચેનો ડાબો હાથ લટકતો રાખે છે, કોઈ મુસલ્લી હાથના પંજા સુધી પંજો પકડી કોલ બાંધી નમાઝ પઢે છે કે ઈમામત કરે છે, માટે આવા કોલો બાંધવાથી નમાઝ થઈ શકશે કે કોઈ વાંધો આવશે ?
જવાબ :– મર્દ માટે હાથ બાંધવાનો તરીકો આ છે કે,
- દૂંટીના નીચે ડાબા હાથની હથેળીના બહારના ભાગ ઉપર જમણા હાથની હથેળીનો અંદરનો ભાગ મૂકે અને
- જમણા હાથના અંગૂઠા અને નાની આંગળીથી વર્તુળ બનાવી ડાબા હાથનું પહોંચું પકડે અને
- જમણા હાથની વચલી ત્રણ આંગળીઓ ડાબા હાથની કલાઈ પર મૂકે.
આ પ્રમાણે હાથ બાંધવા એ સુન્નત છે.
(‘દુર્રે મુખ્તાર ૧/૩ર૦, ‘મરાકીયુલ ફલાહ ૧૪૦)
હાથ બાંધવા વિષે હુઝૂરે અકરમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી અનેક હદીસો સાબિત છે.
હઝરત સહલ બિન સઅદ (રદિ.) નકલ કરે છે કે,
“લોકોને એ વાતનો હુકમ આપવામાં આવતો હતો કે મર્દ પોતાનો જમણો હાથ ડાબી કલાઈ ઉપર મૂકે.”(‘બુખારી શરીફ)
હઝરત વાઈલ બિન હુજર (રદિ.) નકલ કરે છે કે,
‘હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ નમાઝની તકબીર કહ્યા પછી પોતાનો જમણો હાથ ડાબા હાથ પર મૂકયો. (‘મુસ્લિમ શરીફ)
હઝરત કબીસહ બિન હુલ્બ નકલ કરે છે કે,
“રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અમારી ઈમામત ફરમાવતા હતા અને પોતાના જમણા હાથથી ડાબા હાથને પકડતા હતા”. (‘તિરમિઝી શરીફ)
ઉપરના તરીકા મુજબ હાથ બાંધવાથી આ ત્રણેય હદીસો પર અમલ થઈ જાય છે.
- હથેળી વડે જમણા હાથને ડાબા હાથ પર મૂકવો,
- વચલી ત્રણ આંગળીઓ વડે ડાબા હાથની કલાઈ પર હાથ મૂકવો અને
- જમણા હાથના અંગૂઠા અને નાની આંગળી વડે ડાબા હાથને પકડવો. (‘કબીરી પેજ ૩૦૦)
માટે હાથ બાંધવાનો સુન્નત અને મુખ્તાર તરીકો ઉપર મુજબ ફુકહાએ કિરામ (રહ.)એ લખ્યો છે. જો ફકત જમણા પૂરા હાથથી ડાબા હાથની કલાઈ પકડવામાં આવે અથવા જમણો હાથ ફકત કલાઈ પર અથવા આંગળીઓ અને હથેળી પર મૂકવામાં આવે તો પણ નમાઝ તો દુરૂસ્ત થઈ જશે, પણ અમુક હદીસો પર અમલ થશે અને અમુક પર અમલ છૂટી જશે. માટે જે તરીકાને ફુકહાએ કિરામ (રહ.)એ મુખ્તાર અને સુન્નત કહી લખ્યો છે તે જ તરીકા મુજબ હાથ બાંધવા જોઈએ. (‘કબીરી, ‘શામી ૧/૩ર૭)
Log in or Register to save this content for later.