[ર૦ર] ઈકામતમાં હય્ય અલસ્સલાહ વખતે જમણી તરફ મોઢું ફેરવવું

Chapter : નમાઝ

(Page : 245)

સવાલ :– અઝાન અને ઈકામતના તરીકામાં તફાવત બતાવતાં ‘ઈલ્મુલ ફિકહ (ભાગ ર, પેજ ૧૬) ઉપર લખ્યું છે કે, ઈકામતમાં હય્ય અલસ્સલાહ, હય્ય અલલ ફલાહ કહેતી વખતે જમણી–ડાબી તરફ મોઢું ફેરવવામાં નહીં આવે. તો આપ તહકીક કરી જવાબ આશો. અમારા તરફ તો આ પ્રમાણે અમલ થતો નથી.

જવાબ :– ઈકામતમાં હય્ય અલસ્સલાહ, હય્ય અલલ્‌ ફલાહ વખતે ઈકામત કહેનારે પોતાની જમણી–ડાબી તરફ મોઢું ફેરવવા બાબત ઉલમાએ કિરામના ત્રણ મંતવ્યો છે. અમુક આલિમો તેને ફકત અઝાનની સુન્નત બતાવે છે. અમુક આલિમો કહે છે કે મસ્જિદ મોટી હોય તો મજકૂર સમયે મોઢું ફેરવવું જોઈએ અને નાની મસ્જિદ હોય તો ન ફેરવવું જોઈએ અને ત્રીજું મંતવ્ય એ છે કે અઝાનની જેમ ઈકામતમાં પણ મજકૂર કલિમાત કહેતી વખતે જમણી–ડાબી તરફ મોઢું ફેરવવું સુન્નત છે, ચાહે મસ્જિદ મોટી હોય કે નાની હોય.         (‘અલ બહર ૧/રપ૮)

                દુર્રે મુખ્તાર (૧/રપ૯) અને કબીરી (પેજ ૩૭૪)માં આ ત્રીજા મંતવ્યને જ રાજિહ અને પ્રસન્નીય ઠરાવ્યું છે અને હઝરત મૌલાના થાનવી (રહ.)થી ઈમ્દાદુલ ફતાવા ભાગ ૧ માં, હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ (રહ.)થી કિફાયતુલ મુફતી ભાગ ૩ માં અઝાનની જેમ ઈકામતમાં પણ હય્ય અલસ્સલાહ, હય્ય અલલ ફલાહ કહેતી વખતે મોઢું ફેરવવાનું મસનૂન હોવું નકલ કરવામાં આવ્યું છે અને હઝરત મૌલાના મુફતી અઝીઝુર્રહમાન (રહ.) સાહેબે પણ ફતાવા દારુલ ઉલૂમ ભાગ ર માં ઈકામતમાં પણ મોઢું ફેરવવાને જ રાજિહ ફરમાવ્યું છે.

Log in or Register to save this content for later.