Chapter : હજ
(Page : 94-95)
સવાલ :– હું જિદ્દહ આવ્યો ત્યારે મને મકકહ શરીફમાં જુમ્અહ પઢવાનો શોખ થયો, મેં વિચાર કર્યો કે જુમ્અહ પઢતો આવું અને બાબુ અહમદને મલતો આવું, કેમ કે હું અહિંઆથી જતો હતો ત્યારે મને અહિંઆ અમુક લોકોએ કહયું કે ઉમરહ કરવા જાય તો પહેલા ઉમરહ હોય તો તેને જરૂર મદીનહ પણ જવુ પડે અને ઉમરહ માટે એહરામ બાંધવો જરૂરી છે. જો કે એ વાત સાચી છે કે મને મદીનહ જવાની છુટ્ટી તો હતી નહિ તો મેં વિચાર કર્યો કે બીજા વખતે છુટ્ટી લઈને ઉમરહ કરવા જઈશું આજે ફકત જુમ્અહ પઢી આવું અને તવાફ કરતો આવું, તો હું ગયો મેં તવાફ કર્યો અને બધે જયાં જયાં નફલ પઢવાની હતી ત્યાં નમાઝ પઢયો, ત્યાર બાદ મગરિબ વખતે પણ તવાફ કર્યો, તવાફ બે વખતે કર્યો, ત્યાર બાદ હું બાબુ અહમદ પાસે ગયો ત્યાં આ વાત નીકળી તો ત્યાં બીજા લોકોએ કહયું કે હવે તમારા ઉપર (દમ) કુરબાની વાજિબ થઈ ગઈ, કેમકે તમે વગર એહરામે હરમ શરીફમાં પહેલા વખતે દાખલ થયા અને તવાફ કર્યો, તો શું ઉમરહ માટે મદીનહ શરીફ જવું જરૂરી અને તે જ દિવસે જવું જોઈએ કે ગમે ત્યારે જઈ આવે તો ચાલે જવાબ આપવા મહેરબાની.
જવાબ :–ઘણા ઉલમાએ કિરામની તહકીક મુજબ જિદ્દહ શહેર આફાકી માટે હજ અને ઉમરહનું મીકાત છે અથવા મીકાતથી અંદર હિલ્લે સગીરમાં દાખલ છે. અને આફાકી માણસ (જેમકે હિંદુસ્તાની) જયારે હિંદુસ્તાનથી જિદ્દહમાં નોકરી અથવા બીજા કોઈ હેતુથી જિદ્દહ જાય અને જિદ્દહ પહોંચ્યા પછી હજ ઉમરહના ઈરાદા વગર બીજા કોઈ હેતુથી હરમ શરીફમાં જાય તો તેના ઉપર હરમ શરીફમાં જવા માટે ઉમરહ કે હજનો એહરામ બાંધવો જરૂરી નથી, માટે તમારા ઉપર પણ એહરામ બાંધી મકકહ મુર્કરમહ જવું વાજિબ ન હતું, એટલે વિના એહરામે મકકહ જવા બદલ તમારા ઉપર કોઈ દમ પણ વાજિબ નથી ચાહે તમો પહેલીવાર મકકહમાં દાખલ થયા હોય.
મદીનહ મુનવ્વરહ જઈ રવઝએ અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ઝિયારત કરવી અને મસ્જિદે નબવીમાં ઈબાદત કરવી વિના શંકાએ મહાન ફઝીલત વાળી ઈબાદત છે. પરંતુ ઉમરહના દુરસ્ત થવા માટે મદીનહ મુનવ્વરહ જવું જરૂરી નથી, જો કોઈ અગવડના લઈ તાત્કાલિક ન જઈ શકાય તો કોઈ ગુનોહ પણ નથી, અલબત્ત ફુરસદ મળે તો તેનાથી વંચિત ના રહેવું જોઈએ. (જ. ફિકહ–૧, ઝુબ.મનાસિક–૧/પ૦)
Log in or Register to save this content for later.