[૧૮૩] નમાઝના ટાઈમ ટેબલો મુજબ અમલમાં એહતિયાત

Chapter : નમાઝ

(Page : 223)

સવાલ :– આપના તરફથી છપાયેલા નમાઝોના ટાઈમટેબલ અતરાફની  મસ્જિદોમાં જોઈ ખુશી થઈ, અમારે ત્યાં મસ્જિદોમાં ડાભેલના મદ્રસાની તકવીમ છે. જેમાં બતાવે છે કે પાંચ મિનિટ ચઢાવી અઝાન આપવી, જયારે કે આપના ટાઈમ ટેબલમાં એવું નથી, ફકત સૂરત જિલ્લા માટે ૪૦ સેકન્ડ વધારવા બતાવ્યું છે. એનાથી સમજમાં આવે છે કે આપના ટાઈમ ટેબલમાં એક મિનિટ ચઢાવી આપવી, ડાભેલની તકવીમમાં પાંચ મિનિટ બતાવે છે, એટલે એ ટાઈમ ટેબલનો અર્થ શું ? આના કારણે અમારા ગામમાં એઅતેરાઝ થયા કરે છે. માટે આપ અમારા ગામની ચાર મસ્જિદો માટે આપના ટાઈમટેબલ લખેલા એડ્રેસ પર બુક પોસ્ટથી અમને મોકલી આપશો. એ ટાઈમટેબલ પર કેટલો એહતિયાત તથા રમઝાન મુબારકમાં પણ તેના પર કઈ રીતે અમલ કરવો તેનો ખુલાસો લખી આપશો. આ કાગળના નીચે પૂરી વિગત આપના સહી સિકકા સાથે લખી મોકલશો, જેથી કોઈને ઈખ્તિલાફ ન રહે અને હંમેશા ખૈરનો મામલો રહે.

જવાબ :– અહિંયા દારૂલ ઉલૂમ કંથારીઆના પ્રકાશન વિભાગ તરફથી જનાબ અલ્હાજ અ.હફીઝ મનીઆર સાહેબ તરફથી નમાઝોનું જે ટાઈમ ટેબલ છપાયું છે, તેમાં બે પ્રકારના ટાઈમ તફાવતની સૂચના આપવામાં આવી છે; એક તફાવત તે છે જે અહિંયા કંથારીઆના અને બીજા જે તે સ્થળના ખરેખર ટાઈમમાં તફાવતની મિનિટો અથવા સેકન્ડો વધારવાનું અથવા બાદ કરવાનું લખવામાં આવ્યુ છે. અને પત્રિકા – ચાર્ટ તરીકે છપાયેલા ટાઈમ ટેબલમાં તો ફકત આ જ તફાવત સૂચવવામાં આવ્યો છે, બીજો તફાવત ઈહતિયાત અને સાવચેતી માટે સૂચવવામાં આવ્યો છે, જેનો મતલબ એ થાય છે કે આ ટાઈમો ગણતરીના આધારે નકકી કરવામાં આવ્યા છે, જેમાં એકાદ મિનિટ વધતી ઓછી હોવાની સંભાવના છે અને ઘડિયાળનો સમય પણ બે – ચાર મિનિટ આગળ – પાછળ થતો રહે છે, માટે આવી સંભાવનાઓ હોવાથી કોઈ જગ્યાએ પાંચ–દસ મિનિટ પછી વખત પૂરો કે શરૂ થવાનું સમજી અમલ કરવા સૂચના આપવામાં આવી છે. અલબત્ત, આ બીજી પ્રકારની સૂચના પત્રિકા રૂપે છપાયેલા ટાઈમ ટેબલમાં જગ્યાના અભાવે છાપવામાં આવી નથી, પરંતુ પુસ્તિકારૂપે છપાયેલ ટાઈમ ટેબલમાં આ બીજી પ્રકારની સૂચના પણ છાપવામાં આવી છે, જેની ઝેરોક્ષ કોપી આ સાથે રવાના કરૂં છું, ખુલાસો એ છે કે ડાભેલ અને કંથારીઆના છપાયેલા ટાઈમ ટેબલોમાં એહતિયાતી સૂચનો બાબત વિરોધાભાસ સમજવો બરાબર નથી, બન્ને ટાઈમ ટેબલો પર એહતિયાતી સૂચના મુજબ જ અમલ કરવો જોઈએ, અને આ બન્ને ટાઈમટેબલો તૈયાર કરનાર એક જ વ્યકિત જનાબ અ.હફીઝ મનીયાર સાહેબ છે અને તેઓએ બન્ને ટાઈમ ટેબલો માટે એહતિયાતી સૂચનો લખ્યા છે. માટે કંથારીઆના પત્રિકારૂપે છપાયેલા ટાઈમ ટેબલમાં એહતિયાતી સૂચનો ન છપાવવાથી તેને ડાભેલના ટાઈમ ટેબલથી વિરૂધ્ધ અને તફાવતવાળુ સમજવું દુરૂસ્ત નથી.

Log in or Register to save this content for later.