[૧૩] એપ્લાય થવા માટે ખુત્બહ વગર થયેલા નિકાહનો હુકમ

Chapter : નિકાહ

(Page : 42-43-44)

સવાલ :–  ઈન્ડિયામાં મારા પ્રોક્ષી મેરેજ થયા છે એટલે કે જે છોકરી સાથે મારા નિકાહ થવાના હતા તે કેનેડામાં રહેતી હતી અને તેણે ત્યાંની મસ્જિદના ઈમામ સાહેબ અને બીજા એક ભાઈની રૂબરૂ પોતાના નિકાહ મારી સાથે કરાવવા ઝૈદને પાવર આપ્યો અને પછી અહિંયા ઈન્ડિયામાં એક દિવસ નિકાહ માટે નકકી કરવામાં આવ્યો, જેમાં ઝૈદને છોકરી તરફથી વકીલ નિયુકત કરવામાં આવ્યો, આ પ્રોક્ષી મેરેજમાં ઝૈદે વકીલ તરીકે સહી કરેલ છે તથા બે ગવાહોએ પણ સહી કરેલ છે. અને જે મવલાનાએ નિકાહ પઢાવેલ તેમણે પણ સહી કરેલ છે, આ નિકાહમાં મવલાના સાહેબ નિકાહનો ખુત્બહ પઢયા નથી, આ બધી વિધિ ફકત એપ્લાય થવા માટે કરેલ છે. તો આ સૂરતમાં મારા નિકાહ થઈ ગયેલા ગણાશે કે નહિ અને હવે મજકૂર છોકરી પોતે કેનેડાથી ઈન્ડિયા આવવાની છે તો હવે શરઈ રીતે નિકાહ કરવા માટે મારે તેની સાથે ફરી નિકાહ પઢવા જરૂરી છે કે નહિ?

જવાબ :–  મજકૂર છોકરીએ ઝૈદને તમારી સાથે પોતાના નિકાહ પઢાવવાની રજા આપી વકીલ બનાવ્યા હોય અને મવલાના સાહેબે કમથી કમ બે ગવાહોની રૂબરૂ છોકરીના વકીલ અને તમારા દરમ્યાન મોઢેથી બોલાવી નિકાહના ઈજાબ અને કબૂલ કરાવ્યા હોય, જેમકે સવાલમાં નિકાહ પઢાવવાનું વર્ણન છે, તો ઝૈદને વકીલ બનાવનાર છોકરીના નિકાહ શરઈ દ્રષ્ટિએ તમારી સાથે થઈ ગયેલા ગણાશે, ચાહે આ નિકાહ ફકત એપ્લાય થવાની વિધિરૂપે કર્યા હોય તો પણ આ સૂરતમાં મજકૂર છોકરી અને તમો ઈસ્લામી શરીઅત મુજબ નિકાહના સંબંધથી જોડાયેલા ગણાશો અને હવે મજકૂર છોકરીના ઈન્ડિયા આવ્યા પછી ફરી નિકાહ પઢવા જરૂરી નથી અને નિકાહ વખતે ખુત્બહ પઢવો મુસ્તહબ છે, ખુત્બહ પઢયા વગર પણ નિકાહ દુરસ્ત થઈ જાય છે,  અલબત્ત છોકરી ઈન્ડિયા આવ્યા પછી ફરીવાર નિકાહ પઢવા હોય તો તે નાજાઇઝ પણ નથી, બલકે અફઝલ છે.(શામી–ર/૧)

Log in or Register to save this content for later.