Chapter : નિકાહ
(Page : 40-41)
સવાલઃ– મારી દીકરીના નિકાહ મહુવા ઈજતિમાઅમાં રાખ્યા હતા, તા.પ/૧ર/૯૮ના નિકાહ હતા અને તા.૧/૧ર/૯૮ ના દીકરાવાળા તરફથી એક શાહિદ આવ્યા અને દીકરીને રૂા. ૭પ૧ મહેરના આપ્યા અને એક કાગળના પરચા ઉપર દીકરીની સહી લઈ ગયેલ.
દીકરીની સહી લેતી વખતે શાક્ષી તથા વકીલને હાજર રહેવું જરૂરી છે કે એક શાહિદ મહેરના રૂા. આપી સહી લઈ શકે?
દીકરીની સહી લેતી વખતે દીકરીને સંભળાવ્વામાં આવે છે કે ફલાણા ફલાણા ભાઈના દીકરાની સાથે તમારા નિકાહ કબૂલ, આવું દીકરીને ત્રણ વખત કહી સંભળાવવું જરૂરી છે કે વગર સંભળાવે નિકાહ ખાલી સહીથી થઈ શકે છે?
સવાલ નંબર એક મુજબ નિકાહ થાય કે ના થાય? જો નિકાહ ના થતા હોય તો બીજીવાર શાહિદ, વકીલ શાક્ષીને હાજર રાખીને બીજીવાર નિકાહ પઢી શકાય?
નિકાહ બાદ દીકરીને પાંચ દિવસ સાસરે તેડી ગયા હતા અને હવે બકરા ઈદ બાદ તેડવા આવવાના છે.
જવાબઃ– પૂછેલી સૂરતમાં આવનાર ભાઈએ છોકરીને તેની મહરની રકમ જણાવીને રકમ આપી અને નિકાહના સર્ટિફીકટ ઉપર અથવા નિકાહના વકાલતનામા ઉપર છોકરીએ સગાઈ નકકી થયેલ છોકરા સાથે નિકાહ કરી આપવાની મંજૂરી સમજીને સહી કરી આપી તો મહરની રકમ સ્વીકારવાને અને સહી કરી આપવાને વકીલને ઈજાઝત આપેલી ગણાશે અને આ સૂરતમાં સહી લીધા પછી ઈજતિમાઅમાં વકીલના નિકાહ પઢાવવાથી નિકાહ જાઈઝ અને દુરસ્ત થયેલ ગણાશે.
ઈજાઝત લેવા માટે વકીલે છોકરી પાસે રૂબરૂ હાજર હોવું અને વકાલતના ગવાહોનું હાજર હોવું જરૂરી નથી, સહી કરી લેખિત વકીલ બનાવવાથી પણ વકીલ બની જાય છે, અલબત્ત વકીલે છોકરી પાસે ગવાહો સાથે રૂબરૂ હાજર થવું અને છોકરાનું નામ લઈને મહરનું પ્રમાણ કહીને તેનાથી વકીલ તરીકે નિકાહ પઢાવવાની મૌખિક ઈજાઝત લેવી એ તરીકો બેહતર અને મુસ્તહબ છે, પૂછેલી સૂરતમાં જો શંકા હોય તો બીજીવાર નિકાહ પઢાવી દેવા જોઈએ, તેમાં કોઈ વાંધો નથી બલકે અફઝલ છે. (શામી – ર)
Log in or Register to save this content for later.