[૧૬પ] ઝવાલના મકરૂહ વખતનું પ્રમાણ

Chapter : નમાઝ

(Page : 209-210)

સવાલ :– ઝવાલના સમયે નમાઝ પઢવી મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. દા.ત., ૧ર–૪પ કલાકે ઝવાલ છે તો ઝવાલના સમયથી કેટલી મિનીટ પહેલાં અને પછી સુધી નમાઝ ન પઢવી જોઈએ ?

જવાબ :– સૂર્ય જ્યારે બરાબર (ખત્તે નિસ્ફુન્નહાર) અર્ધા દિવસની રેખા પર હોય છે તે સમયે નમાઝ પઢવી મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે. અને તેથી પહેલાં અને પછી નમાઝ પઢવી વગર કરાહતે જાઈઝ છે.

                સૂર્ય હંમેશા ફરતો હોય છે એટલે મજકૂર રેખા પર પહોંચી તરત આગળ વધી જાય છે જેને ફિકહની કિતાબોમાં ઝવાલ (સૂર્યનું અર્ધ દિવસની રેખા પરથી હટી જવું) કહેવામાં આવે છે. લોકોમાં સૂર્યનું મજકૂર રેખા પર પહોંચવું ઝવાલના શબ્દથી પ્રચલિત છે. એટલે ઝવાલનો સમય જ મકરૂહ સમજવામાં આવે છે. હાલાંકે મોટા ભાગની તકવીમોમાં ફિકહની કિતાબોની પરિભાષા મુજબ ઝવાલનો સમય લખવામાં આવે છે અને તે વખતે નમાઝ પઢવી જાઈઝ છે.

                આ મકરૂહ સમય ઝવાલ એટલે કે ઝોહરના સમયથી પહેલાં તેની લગોલગ પ્રમાણમાં એટલો થોડો હોય છે કે એમાં પૂરી નમાઝ પઢી શકાતી નથી. એટલે મજકૂર સમયમાં નમાઝના મકરૂહ હોવાનો મતલબ એ છે કે ઝોહરના શરૂ સમયથી એટલા સમય પહેલાં નમાઝ શરૂ કરવી કે નમાઝનો કોઈ ભાગ આ સમયમાં અદા થાય અથવા મકરૂહ સમયે જ નમાઝ શરૂ કરવી. બીજા શબ્દોમાં નમાઝ પઢવાના પૂરા સમયમાં આ મકરૂહ ઘડી એક ભાગ રૂપે આવી જાય તો મકરૂહ છે.

                માટે નમાઝના સમય પત્રકોમાં બતાવેલા ઝવાલના સમયથી એટલાં પહેલાં કોઈ નમાઝ શરૂ કરવી જાઈઝ છે કે આ ઘડી આવતાં પહેલાં પુરી થઈ જાય. એવી જ રીતે આ ઘડી વીત્યા બાદ પણ નમાઝ જાઈઝ છે – ખુલાસો એ કે આ મકરૂહ સમય એટલો ટુંકો હોય છે કે એની શરૂઆત અને અંત અલગ અલગ બતાવવા અશકય નહિ, તો મુશ્કેલ જરૂર છે.(‘શામી ૧/ર૪૮)

નોટ : તકવીમે અહમદી જેનો આપણા વિસ્તારમાં સર્વત્ર ઉપયોગ થાય છે. હિસાબની દ્રષ્ટિએ ચકાસણી કરવાથી માલૂમ પડે છે કે તેમાં ઝવાલના સમયથી ઝોહરનો શરૂ સમય મુરાદ નથી, બલ્કે મકરૂહ વખત બતાવવાનો મકસદ છે. માટે કોઈપણ નમાઝ અથવા ઝોહર–જુમ્‍અહની અઝાન તેમાં બતાવેલા ઝવાલના સમયથી પાંચ મીનીટ પછી જ પઢવી જોઈએ અને એ જ પ્રમાણે મજકૂર સમયથી પાંચ મીનીટ પહેલાં નમાઝ પઢવાનું બંધ કરી દેવું જોઈએ.

Log in or Register to save this content for later.