Chapter : તહારત
(Page : 188-189)
સવાલ :– મારી ઉંમર ર૩ વર્ષની છે, હજુ સુધી મારી શાદી થઈ નથી, પેશાબ કરીને ઊભા થયા પછી મને મૂત્રના એક બે ટીપાં પડી જાય છે, હું તેને પાક–સાફ કરીને નમાઝ પઢું છું, પાકીની કાળજી રાખવા છતાં પણ અમુક વખતે મૂત્રના એક–બે ટીપાં પડી જાય છે, તો આ હાલતમાં મૂત્રના ટીપાંથી કપડાંને અને શર્મગાહના ભાગને પાક સાફ કર્યા વગર નમાઝ પઢીએ તો જાઈઝ છે કે નહિ ?
આ બીમારી માટે મેં ઘણી દવાઓ કરી પણ કોઈ ફાયદો થતો નથી. વળી મને ઘણી વાર મૂત્રની સાથે વીર્યના એક–બે ટીપાં પણ પડી જાય છે.
મારા એક મિત્રને પણ જે મારી જ ઉંમરનો છે, મારા જેવી જ શિકાયત છે કે તે પેશાબ કરીને ઊભો થયા પછી જયારે નીચે બેસવા લાગે અને શરીરને વળાંક આપે ત્યારે મૂત્રના એક–બે ટીપાં પડી જાય છે, તો આ હાલતમાં નમાઝ જાઈઝ છે ?
જવાબ :– પ્રથમ તો એ મસ્અલો જાણી લેવો જોઈએ કે જે ભાઈને પેશાબથી ફારિગ થઈને ઊભા થયા પછી સવાલમાં લખવા મુજબ પેશાબના ટીપાંઓ પડવાની બીમારી હોય, તેણે વુઝૂ કરતાં પહેલાં જે પ્રમાણે પણ શકય હોય તે રીતથી પેશાબના ટીપાં પડવાથી સંતોષ પ્રાપ્ત કરી લેવો જરૂરી છે. એટલે કે, પેશાબ કર્યા પછી,
થોડું ચાલીને,
ખંખારો ખાયને,
ઉઠક–બેઠક કરીને,
શરીરને વળાંક આપીને અથવા સૂઈ જઈને,
મતલબ કે જે રીતે પેશાબના ટીપાં નીકળતા બંધ થઈ જતાં હોય તે રીતે ટીપાંથી મુકિત મેળવવી વાજિબ છે, ગમે તે રીતે પેશાબના ટીપાંથી સંતોષ મેળવ્યા પછી વુઝૂ કરવામાં આવશે અને વુઝૂ કર્યા પછી કદાચ ફરીથી મૂત્રના ટીપાં પડશે તો પણ વુઝૂ તૂટી જશે અને ફરીથી વુઝૂ કરવું પડશે. ટીપાં પડતાં પહેલાં કરેલું વુઝૂ મોઅતબર અને બાકી નહિ ગણાય. (‘શામી ૧/ર૩૦)
રહી વાત શરીર અને કપડાં ઉપર પેશાબના ટીપાં પડેલા હોવાની હાલતમાં નમાઝ પઢવાની. તો તેનો હુકમ આ પ્રમાણે છે કે :
જો તે ટીપાં હથેળીના અંદરના ઉંડાણવાળા ભાગના બરાબર અથવા તેથી ઓછા પ્રમાણમાં હોય અને તેને ધોવા જતાં નમાઝનો વખત નીકળી જવાનો યા જમાઅત છૂટી જવાનો ભય હોય તો એવી હાલતમાં પેશાબના ટીપાં ધોયા વગર નમાઝ પઢવી વિના કરાહતે જાઈઝ છે.
અને જો નમાઝનો વખત પૂરો થઈ જવાનો અથવા જમાઅત છૂટી જવાનો ભય ન હોય તો આવી હાલતમાં શરીર અને કપડાં ઉપરથી પેશાબના ટીપાંથી પાકી હાસિલ કર્યા વગર નમાઝ પઢવી મકરૂહ છે.
માટે શરીર અને કપડા ઉપરથી પેશાબના ટીપાં ધોઈને જ નમાઝ પઢવી જોઈએ અને જો શરીર અથવા કપડાં ઉપર લાગેલા પેશાબના ટીપાં ફેલાવમાં ઉપરોકત પ્રમાણથી એટલે કે હથેળીના અંદરના ઉંડાણવાળા ભાગથી વધારે હોય, તો તેવી હાલતમાં શરીર અને કપડાને પેશાબના ટીપાંઓથી પાક કર્યા વગર નમાઝ પઢવી જાઈઝ નથી. (‘શામી ૧/ર૧૦)
પેશાબ સાથે જયારે વીર્ય જેવો ચીકણો પદાર્થ નીકળે છે, જો તે દૂધ જેવો સફેદ હોય અને શહવત–લઝઝત સાથે નીકળે તો તેનાથી ગુસલ વાજિબ થશે અને જો શહવત સાથે ન નીકળે તો ચાહે તે મની હોય, વદી હોય અથવા મઝી હોય, તેના નીકળવાથી વુઝૂ વાજિબ થશે અને શરીર અથવા કપડાં ઉપર તેના લાગેલા હોવાની હાલતમાં નમાઝ પઢવાનો અને તેનાથી શરીર અને કપડાંને પાક કરવાનો હુકમ પેશાબના હુકમની જેમ જ રહેશે. (‘શામી ૧/૧૧૧)
Log in or Register to save this content for later.