Chapter : નમાઝ
(Page : 493-494-495-496-497)
સવાલ :– અમારા ગામમાં બે કબ્રસ્તાન આવેલા છે, (૧) નવું (ર) જુનું, એમ બે નામ છે, હવે વિગત આ છે કે અમારા ત્યાં અમારી સમજથી જોતાં આવ્યાં છે અને અમારા ઘરડા માણસોના કહેવા પ્રમાણે જૂનાં કબ્રસ્તાનમાં લગભગ પાંસઠ (૬પ) વરસથી ત્યાં કોઈ મય્યિતને દફન કરતાં જોયાં નથી અને અત્યારે અમારા ત્યાં નવા કબ્રસ્તાનમાં જ મય્યિત દફનાવવામાં આવે છે અને જૂના કબ્રસ્તાનમાં ૬પ વરસ પહેલાં દફનાવવામાં આવેલી મય્યિતોની કબરો પાકી છે અને તેના લઈને અમારે ત્યાં ફિત્નો થવાનો સંભવ છે અને શિર્ક થવાની પણ નોબત આવી શકે છે, માટે એ કબરોને અમે કબ્રસ્તાન કમિટી તેમજ ગામ લોકો મળીને કબ્રસ્તાનમાં જે પાકી કબરો છે તેને તોડી નાંખીને જમીન બરાબર કરીને કબ્રસ્તાનને સરખું કરી શકીએ છીઅ કે નહિ? હાલમાં ત્યાં કોઈ મય્યિતને દફનાવવાની શકયતા પણ નથી. તો તે કબ્રસ્તાનને ટ્રેકટરથી ખેડીને બાટુ ઘાસ વગેરે ઉગાવી શકીએ કે નહિ? જેનાથી કબ્રસ્તાન સરખું થઈ જાય, માટે આવું કરવું જાઈઝ છે કે નહિં?
નોંધ :– લગભગ આજથી આઠ–દસ વરસથી અમુક માણસો મુંબઈથી આવીને ગામના અમુક માણસોના સહકારથી એ જુનાં કબ્રસ્તાનમાં એક પાકી કબર ઉપર ચાદર – ગિલાફ ચઢાવીને ખોટા રિવાજો કરે છે, તે કબર જૂની હોવાના લઈને નીચેનો ભાગ ખવાઈ ગયો હતો, તો તે લોકોએ તેને અડધા ફૂટ જેટલું નીચેથી ઠીકઠાક કરીને પથારો કરીને પછી એ કબરની ઉપર મારબલના કીંમતી પથ્થર લગાવ્યા હતા અને ઘણી જ સજાવી હતી અને કબરને ઠીક કરનાર માણસને પૂછવામાં આવ્યું તો બતલાવે છે કે મને સ્વપ્નમાં આવ્યું કે હું એ કબરને ઠીક કરૂં અને દેખરેખ રાખું જેથી એ માણસે કીંમતી મારબલ લગાવીને દરગાહની જેમ કબર બનાવી હતી અને ભવિષ્યમાં ખોટા રિવાજો, બિદઅત અને શિર્ક થવાની બિક પણ હતી. માટે શું એ પાકી કબરોને તોડીને કબ્રસ્તાન એક સરખું કરી શકાય કે નહિં ?
જવાબ :– તમારા સવાલમાં બે બાબતો પૂછવામાં આવી છે : એક એ કે પાકી ચણેલી કબરો તોડીને તેને સમથળ જમીન બનાવી આપવામાં આવે તો એ બાબત હુકમ આ છે કે કબ્રસ્તાનની પાકી કબરોનું ચણતર તોડીને તેને કાચી માટીની કબર બનાવી આપવી જાઈઝ છે, પરંતુ કબરનું નામો નિશાન ન મિટાવવું જોઈએ.
હઝરત જાબિર (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી નકલ કરે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ કબરને પાકી બનાવવાથી અને તેના ઉપર બાંધકામ કરવાથી અને બેસવાથી મનાઈ ફરમાવી છે. (મિશ્કાત શરીફ, જનાઈઝ – ૧૪૮)
આ હદીષ શરીફથી માલૂમ પડયું કે ચણતર કરી પાકી કબર બનાવવી જાઈઝ નથી અને કબર પર બાંધકામ કરવું પણ નાજાઈઝ છે, માટે હદીષ શરીફના હુકમ મુજબ સામાન્ય રીતે કાચી કબરો જ બનાવવી જોઈએ, એ શરીઅતનો હુકમ છે.
પાકી કબર બનાવવાથી મય્યિતને કોઈ ફાયદો થતો નથી અને ચણતરનો બેકાર ખર્ચ થાય છે. હઝરત ઈબ્ને ઉમર (રદિ.)ની કબર પર તંબુ બનેલો જોયો તો ફરમાવ્યું કે મય્યિત ઉપર તો તેનો અમલ છાયો કરશે. (મિશ્કાત–૪/૬૮, બુખારી શરીફ – ૧/૧૮૧)
જો પાકી કબર બનાવવાનો ખર્ચ મરનારને ઈસાલે સવાબ માટે કોઈ ગરીબને સદકહ કરવામાં આવશે અથવા કોઈ ધાર્મિક સંસ્થા મસ્જિદ–મદ્રસામાં આપવામાં આવશે તો મય્યિતને ફાયદો પહોંચશે અને પાકી કબરથી કોઈ ફાયદો પહોંચવાનો નથી. એવી જ રીતે કબર ઉપર ચાદર ચઢાવવાથી કે ગિલાફ ઓઢાડવાથી મય્યિતને કોઈ ફાયદો થવાનો નથી, બલકે આવું કૃત્ય કરનાર ફુઝૂલ ખર્ચીના કારણે ગુનેહગાર ઠરશે અને જે જગ્યાએ આવા ગલત રિવાજો નથી તેવી જ જગ્યાએ આવા રિવાજો અને બિદઅતો શરૂ કરવાથી તે માણસ હંમેશા માટે ગુનેહગાર અને મલામતપાત્ર થતો રહેશે.
શેખ અબુલ હય્યાજ અસદી (રદિ.) એ ફરમાવ્યું કે મારાથી હઝરત અલી (રદિ.) એ ફરમાવ્યું કે શું હું તમોને તે કામ માટે ન મોકલું જે કામ માટે મને હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ મોકલ્યો હતો, એટલે કે તમે દરેક (નાજાઈઝ) છબીને મિટાવી આપો અને દરેક ઉંચી (ચણેલી) કબરને ઠીક કરી નાંખો.
(મિશ્કાત શરીફ, જનાઈઝ –૧૪૮)
આ હદીષ શરીફથી માલૂમ પડયું કે જુના કબ્રસ્તાનમાં આવી ચણેલી જુની પાકી કબ્રોને તોડીને કાચી બનાવી આપવી જોઈએ અને તેને નીચી કરી દેવી જોઈએ, માટે ગામ લોકોએ ખોટા રિવાજો અને નાજાઈઝ બિદઅતો શરૂ થતી રોકવાના હેતુથી પાકી કબરોને તોડવાની જે કાર્યવાહી કરી છે તે હદીષના મુતાબિક અને ઇચ્છનીય કાર્યવાહી કરી છે.
રહી વાત કબરને ઠીક કરવાના સ્વપ્નની (ખ્વાબની), તો પ્રથમ તો જો મજકૂર ખ્વાબ ખરેખર સાચો હોય તો તેના ઠીક કરવાનો મતલબ ઉપરોકત હદીષ મુજબ એવો સમજવો જોઈતો હતો કે તે પાકી કબરનું ચણતર તોડીને તેને કાચી બનાવી આપવામાં આવે, એથી ઉલટો મતલબ લીધો કે તેનું રિપેરીંગ કરી તેને વધુ મજબૂત બનાવવામાં આવી અને એ મુજબ કાર્યવાહી કરી એ મજકૂર હદીષના તદ્દન વિરુધ્ધ અને નાજાઈઝ કાર્યવાહી થઈ છે. નબી અને પયગમ્બરના ખ્વાબ સિવાય કોઈ ઉમ્મતીનો ખ્વાબ શરીઅતની રૂએ કોઈ અમલ માટે દલીલ પણ નથી અને જે ખ્વાબ શરીઅતના હુકમના વિરુધ્ધ હોય તેને ચાહે તો શયતાની ખ્વાબ ગણવામાં આવશે અથવા ખ્વાબ જોનારની ગલત ફહમી અને ગેરસમજ ગણવામાં આવશે અને એવા ખ્વાબના કારણે શરીઅત અને હદીષના સ્પષ્ટ હુકમનો અનાદર કરવો અને તેથી વિરૂધ્ધ અમલ કરવો સદંતર નાજાઈઝ છે. (ફત્હુલ મુલહિમ : ૧/૧૪૦)
સવાલમાં બીજી બાબત જુના કબ્રસ્તાનને ટ્રેકટરથી ખેડાણ કરી તેને ખેતર બનાવી તેમાં ખેતી કરવાની છે, તો એ બાબત શરઈ હુકમ આ છે કે એવા વકફ જુના કબ્રસ્તાનની કબરોને બરાબર કરીને તેને ખેતી લાયક ખેતર બનાવવું અને તેમાં ખેતી કરવી એ જાઈઝ નથી, બલકે તેને વકફ કબ્રસ્તાનરૂપે બાકી રાખવું અને તેમાંની જુની કબરો બાકી રાખવી જરૂરી છે, અલબત્ત મજકૂર કબ્રસ્તાનમાં સવાલમાં લખવા મુજબ કોઈ ગેર શરઈ કાર્યવાહી અને બિદઅત શરૂ ન થાય તે માટે કબ્રસ્તાન કમિટીએ અને ગામ લોકોએ ફિકર અને દેખરેખ રાખવી ઝરૂરી છે.
કાઝી ઈમામ શમ્સુલ અઈમ્મહ મહમૂદ અવઝજન્દી (રહ.)થી ગામડાઓના એવા જૂના કબ્રસ્તાન વિશે પૂછવામાં આવ્યુ કે જે જૂના કબ્રસ્તાનમાં કબરોનું નિશાન મિટી ગયું હોય અને તેમાં મય્યિતોના હાડપીંજર પણ ખતમ થઈ ગયા હોય તેવા કબ્રસ્તાનમાં ખેતી કરવી જાઈઝ છે કે નહિ? તો તેવણે જાવબ આપ્યો કે આવું કરવું જાઈઝ નથી અને તેના માટે કબ્રસ્તાનનો જ હુકમ બાકી રહેશે. (આલમગીરી – ર/૪૭૦)
Log in or Register to save this content for later.