[૩૬૧] કબ્ર ઉપર ઝાડની ડાળી મૂકવી

Chapter : નમાઝ

(Page : 469-470)

સવાલ :– હું જયારે કબ્રસ્તાન જાઉં છું, ત્યારે મારા રિશ્તેદારોની કબ્ર ઉપર સૂરતો – દુરૂદ અને ફાતિહા પઢું છું, અને દુઆ કરું છું, પછી કબ્રસ્તાનમાં ઉગેલા ઝાડ પરથી ઝાડની લીલી ડાળી લઈ કબ્ર પર મૂકું છું, તેનો મકસદ એ હોય કે ડાળી જયાં સુધી લીલી રહે છે ત્યાં સુધી ડાળીના પાન તસ્બીહ પઢે છે, જેનાથી મુર્દાઓ ઉપર અગર અઝાબ ચાલુ હોય તો તે હલ્કો કરી દેવામાં દેવામાં આવે છે. તો પૂછવાનું એ કે જયારે કબ્રસ્તાન જાઉં ત્યારે ઝાડની ડાળી દુરૂદ – ફાતિહા – દુઆ પઢી મૂકી શકું છું ? શું એ મૂકવાથી ગુનોહ થશે ?

જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી અઝાબવાળી બે કબ્રો ઉપર ખજૂરની ડાળી ચીરીને બે ભાગો કરી મુકવું સાબિત છે, પણ આ પ્રમાણે ડાળી મૂકવી એ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો હંમેશાનો અમલ ન હતો. આ હદીષના આધારે અમુક આલિમો લખે છે કે ડાળી લીલી રહે ત્યાં સુધી તેના તસ્બીહ પઢવાના કારણે અઝાબમાં તખફીફ થાય છે માટે ડાળી મૂકવી જાઈઝ છે. પરંતુ એ વાત યાદ રાખવી ઘટે કે જો કબ્રની પાસે જ લીલું ઝાડ હોય  તો ડાળી તોડીને મૂકવાની જરૂર નથી, બલકે તે ડાળી ઝાડ સાથે લાગેલી રહીને વધુ મુદ્દત લીલી રહેશે માટે તોડીને મુકવા કરતાં તે વધુ મુદ્દત તસ્બીહ પઢશે અને અમુક આલિમો કહે છે કે ડાળીના મૂકવાથી અઝાબનું હલકા થવું એ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની ખુસૂસિય્યત (ીવશેષતા) હતી માટે બીજા કોઈના મૂકવાથી આ લાભ નહિં થાય માટે બીજા માટે મૂકવાનો કોઈ અર્થ નથી. બહરહાલ, મય્યિતની રાહત–રસાની માટે સર્વ સંમત ઘણા તરીકા છે માટે ડાળી મૂકવાનો હંમેશાનો મઅમૂલ બનાવવા કરતાં તે સર્વસંમત તરીકાઓ અપનાવવા વધુ બેહતર છે.  (ઉમ્દતુલ ફિકહ – ર/પ૩૮)

Log in or Register to save this content for later.