[૩૬૦] મુસ્લિમ અને ગેર મુસ્લિમ લાશોનો હુકમ

Chapter : નમાઝ

(Page : 466-467-468)

સવાલ :– અમારા ગામ શિહોરથી હીરા ઉદ્યોગ મહિલા મંડળની એક બસ હિન્દુ ધર્મના મંદિરો જોવા પ્રવાસે નીકળી. તેમાં શિહોરની ૩પ છોકરીઓ હતી, જેમાં ૪ છોકરીઓ મુસ્લિમ હતી. તે બસ શિહોરથી તારીખ ૧૪/૧/૯ર ના રોજ રાત્રે ૧ર–પપ કલાકે ઉપડી અને ૧–ર૦ કલાકે શિહોર નજીક આંબલા ગામ પાસે અકસ્માતમાં તે બસ બળીને ખાક થઈ ગઈ. તે છોકરીઓનો કોઈ પણ ભાગ એવો ન બચ્યો હતો કે જેનાથી કહી શકાય કે આ મુસલમાનની છોકરી છે અને એ પણ ખબર ન હતી કે કઈ સીટ પર બેઠી હતી. છોકરીઓ બસમાં એક તરફ ભેગી થઈ ગઈ હતી. જયારે બસ બળીને ખાક થઈ ગઈ હતી, છોકરીઓના બદનના અમુક ભાગો (હાડકાઓ) છૂટા પડી બધા ભેગા થઈ ગયા હતા, તો આ બાબત એક સવાલ ઊભો થયો કે હવે મુસલમાનોની છોકરીઓને દફન કરવામાં આવે, આ વિષે ગામના આગેવાનોમાં ચર્ચા થઈ :

સવાલ :– મય્યિતનું શરીર આખું ન હોય, અડધું હોય અથવા અડધાથી ઓછું હોય યા અડધાથી વધારે હોય તેના મસ્નૂન ગુસલ, કફન અને નમાઝ વિષે શું હુકમ છે ?       (ફતાવા રહીમિય્યહ ભાગ – પ, સવાલ નંબર – ૧રપ૬)

જવાબ :– મય્યિતનું અડધું શરીર માથા સાથે હોય તો આખા શરીરના હુકમમાં છે, મસ્નૂન ગુસલ, મસ્નૂન કફન સાથે નમાઝ પઢવામાં આવશે. અડધું શરીર માથા વગરનું હોય તો તેના માટે મસ્નૂન ગુસલ અને કફન નથી અને જનાઝહની નમાઝ પણ પઢવાની નથી, નવડાવી એક કપડામાં લપેટી દફન કરી દેવામાં આવે. અડધાથી કમ શરીરનો પણ એ જ હુકમ છે. (શામી=૧/૮૦૯)

               તો આ ફતાવા પ્રમાણે દફન વિધિ કરવાનું નકકી કર્યું અને જયારે સ્થળ પર લાશો લેવા ગયા તો કલેકટર તેમજ બીજા અધિકારીઓએ લાશો ન આપવા કહયું અને કહયું કે બધી જ લાશોને અહીંયા અગ્નિ આપી દેવામાં આવશે, પરંતુ શિહોરના હિન્દુ મહાજનો વગેરે કહયુ કે અમો અમારી દીકરીઓને અમારા ગામમાં અગ્નિદાહ આપીશું તો પછી બધી લાશોને શિહોર લાવ્યા, ત્યાં ફિત્નો થાય એમ હતું, મુસ્લિમ છોકરીઓ કોઈ પણ રીતે ઓળખાય એમ ન હતી, અગર એમ કહે કે આ મારી છોકરી છે તો હિન્દુ કહે કે મારી છોકરી છે અને મામલો ઘણો ખરાબ હતો. અંતે મુસ્લિમ આગેવાનોએ રજા આપી અને બધી લાશો સાથે મુસ્લિમ છોકરીઓને પણ અગ્નિદાહ આપી દીધો. તો શું એ છોકરીઓને આપવાથી ગુનાહ લાગુ પડશે? અગર ફરી આવું બને તો શું કરવું? અને આ છોકરીઓ માટે શું કરવું કે તેમને છુટકારો મળે ? અમુક માણસોનું એમ કહેવું છે કે,       (મન તશબ્બહ બિકવમિન્‌ ફ હુવ મિન્હુમ – હદીષ)

એટલે કે જેની સાથે મોત થયું એની સાથે ઉઠાવવામાં આવશે.

તો આ મુસ્લિમ છોકરીઓને છુટકારો મળે અને હંમેશા સવાબ મળે એવી વસ્તુ બતાવશો.

જવાબ :– આવી સૂરતમાં જયારે કે ગૈર મુસ્લિમ અને મુસ્લિમ લાશો ભેગી હોય અને ગૈર મુસ્લિમ લાશો વધુ પ્રમાણમાં હોય અને મુસ્લિમ લાશો કોઈ જાહેરી નિશાની વડે ઓળખી શકાતી ન હોય તો મુસલમાનો માટે હુકમ આ પ્રમાણે છે કે બધી લાશોને ગુસલ અને કફન તો દેવામાં આવે પરંતુ જનાઝહની નમાઝ ન પઢવામાં આવે અને બધી લાશો ગૈર મુસ્લિમોના કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવે અથવા એવી જગ્યાએ દફન કરવામાં આવે જે બન્ને કોમોમાંથી કોઈનું પણ કબ્રસ્તાન ન હોય.   (અશ્બાહ – ૧૮૧, દેવબંદ પ્રકાશિત, મબસૂત – ૧૦/૧૯૮)

               મજકૂર છોકરીઓના ઈસ્લામમાં શંકા કરવાની જરૂરત નથી. જો કે ગૈર કોમ સાથે મળતાપણું અપનાવવાની મનાઈ છે, પરંતુ ગૈર કાફિરાના અને ગૈર મુશ્રિકાના કાર્યમાં તેઓ સાથે ભાગીદાર થવાથી મુસલમાન ઈસ્લામથી નહિં નીકળી જાય, માટે આ મૃત ૪ છોકરીઓ માટે ઈસ્તિગફાર અને ઈસાલે સવાબની દુઆ કરવી જોઈએ.

તા–ક : મુસલમાન અને ગૈર મુસ્લિમ બધી છોકરીઓને પૂછેલી સૂરતમાં અગ્નિ સંસ્કાર ન આપવો જોઈતો હતો અને આ કામ મુસ્લિમોએ સ્વેચ્છાએ અને રાજીખુશીથી કર્યું નથી, એટલે ગુનેહગાર નહિં થાય, તે છતાં જો તેઓ મજકૂર લાશોના અગ્નિ સંસ્કારમાં સહભાગી બન્યા હોય તો તેવા નાજાઈઝ કૃત્ય બદલ તવબહ–ઈસ્તિગફાર કરવો જોઈએ.

Log in or Register to save this content for later.