Chapter : તહારત
(Page : 162 -163-164)
સવાલ :– આપણી ઓરતો દ્વારા અપનાવાતી કપડાં ધોવાની પદ્ધતિ વિશે મારે ખુલાસો જોઈએ છે કે, સામાન્ય રીતે આપણી ઓરતો દીની ઈલ્મથી વધુ વાકેફ હોતી નથી, હવે જયારે એ લોકો કપડાં ધોવે છે તો જનરલી તેને ડીટરજન્ટવાળા પાણીમાં પ્રથમ બોળી દે છે, ત્યારબાદ તેને કાઢી ફરીથી સાબુ–ડીટરજન્ટ વગેરે લગાડી ધોવે છે, જે કપડા બોળવામાં આવે છે તેમાં પાક નાપાક બધા કપડાં ભેગા હોય છે. આ જ સૂરત વોશિંગ મશીનથી કપડાં ધોવામાં થાય છે, તો શું કપડાં ધોવાની આ પદ્ધતિ યોગ્ય છે ? તેનાથી કપડાં સાચી રીતે પાક થાય છે ?
વળી આપણે ત્યાં કામ કરવાવાળી બહેનો સામાન્ય રીતે વસાવા સમાજની હોય છે, તેમને આવી બધી બાબતોનું ભાન સ્વાભાવિક રીતે જ હોતું નથી, નાપાક કપડાં ત્રણ વખત નીચોવીને ધોવાનુ તેઓ જાણતી હોતી નથી, આ બાબતે મેં એક મૌલાના સાહેબને પૂછયું હતું તો તેમણે કહ્યું હતું કે હાલના જમાનામાં સારા ડીટરજન્ટ અને સાબુ વાપરવામાં આવે છે તેનાથી નાપાકીના અંશો દૂર થઈ જાય છે અને ત્રણ વખત નીચોવવાની જરૂર પડતી નથી, તો શું આ વાત સાચી છે ?
જવાબ :– કપડાં ઉપર લાગેલી નાપાકી બે પ્રકારની છે :
એક દેખાય એવી દળદાર નાપાકી, જેમકે પાયખાનું, લોહી અને બીજી અદશ્ય પાતળી નાપાકી, જેમકે પેશાબ, મઝી, શરાબ અને નાપાક કપડાંને ધોવાની અનેક રીતો છે.
૧) કૂવામાંથી ડોલ વડે પાણી કાઢી તગારામાં નાખવામાં આવે, અને પછી સાબુ લગાડી કૂવાના થાળા ઉપર ધોવામાં આવે.
૨) તળાવ અથવા નદીના કિનારે બેસી પત્થર ઉપર કપડાં ધોવામાં આવે.
૩) વોશીંગ પ્લેટફોર્મ ઉપર નળ નીચે બેસી કપડાં ધોવામાં આવે.
૪) ઈલેકટ્રીક વોશીંગ મશીનમાં પાવડર અને પાણી નાંખી ધોવામાં આવે.
જો નાપાક કપડાં ઉપર દેખાય એવી દળદાર નાપાકી લાગેલી હોય અને તેને ઉપર જણાવેલી ગમે તે રીતથી ધોવામાં આવે તો તેને પાક કરવાનો તરીકો આ છે કે એવી રીતે અને એટલીવાર ધોવામાં આવે કે કપડાંની સપાટી પરથી અને વણાટમાંથી નાપાકીના અંશો દૂર થઈ જાય અને નાપાકીની એવી અસર (સ્વાદ; બૂ અને રંગ) પણ દૂર થઈ જાય કે જે ફકત સાદા પાણીથી કપડું ધોવાથી દૂર થઈ શકે છે.
નાપાકીની જે અસર માત્ર સાદા પાણીથી દૂર ન થઈ શકે તેને દૂર કરવા સાબુ, પાવડર, પ્રવાહી કેમીકલ કે ગરમ પાણી વાપરવું જરૂરી નથી, એવી અસર બાકી રહેવા છતાં કપડું પાક થઈ ગયેલું ગણાશે. (‘શામી ૧/ર૧૮)
જો નાપાક કપડાં ઉપર સૂકાયા પછી ન દેખાય એવી પાતળી નાપાકી લાગેલી હોય અને તેને કૂવા ઉપર તગારામાં પાણી કાઢીને ધોવામાં આવે તો તેને પાક કરવાનો તરીકો આ છે કે, તેની ઉપર એક વાર પાણી નાખીને મસળવામાં આવે અને પછી નીચોવવામાં આવે, બીજીવાર પણ એ પ્રમાણે કરવામાં આવે અને ત્રીજીવાર પણ એ પ્રમાણે કરવામાં આવે, પરંતુ ત્રીજીવાર કપડાં ઉપર પાણી નાખ્યા પછી ધોનાર માણસની શકિત મુજબ એ પ્રમાણે નીચોવવામાં આવે કે પાણી ટપકવાનું બંધ થઈ જાય અને એથી વધુ તાકાતથી તે ધોનાર માણસના નીચોવવાથી તે કપડામાંથી પાણીના ટીપાં પડવાની સંભાવના ન રહે. (‘ઉમ્દતુલ ફિકહ ૧/રપ૬)
તળાવ કે નદીના કિનારે અથવા વોશીંગ પ્લેટફોર્મના નળ ઉપર બેસીને નાપાક કપડાં ધોવામાં આવે તો તેને ઉપર મુજબ ત્રણવાર ધોઈને અને નિચોવીને પણ પાક કરી શકાય છે.
જો નાપાક કપડાં ઉપર એટલું પાણી નાંખવામાં અને વહેવવામાં આવશે કે પાણીના વહેણ સાથે કપડાંમાંથી નાપાકી દૂર થઈ જવાનો સંતોષ થઈ જાય તો પણ કપડું પાક થઈ જશે અને આ સૂરતમાં ત્રણવાર પાણી નાખી ધોવાની અને દરેક વાર નિચોવવાની પાબંદી કરવી પણ જરૂરી નથી. (‘શામી ૧/રરર)
વોશીંગ મશીનમાં પાણી અને પાવડર નાંખીને નાપાક કપડાં ધોવામાં આવે તો તેને પાક કરવાનો તરીકો તગારામાં પાણી લઈને પાક કરવાના તરીકા મુજબ રહેશે. એટલે કે :
એકવાર મશીનમાં પાવડર, પાણી અને નાપાક કપડું નાખી મશીન ચલાવ્યા પછી કપડું મશીનમાંથી કાઢીને નિચોવવું પડશે.
અને પહેલીવાર નાંખેલું પાણી મશીનમાંથી ખાલી કરીને બીજીવાર મશીનમાં પાણી અને કપડું નાંખીને મશીન ચલાવ્યા પછી કપડું કાઢીને નિચોવવું પડશે. અને મશીનમાંથી પાણી કાઢીને ત્રીજીવાર નવું પાણી અને કપડું નાંખીને મશીન ચલાવ્યા પછી કપડું કાઢીને જોરથી નિચોવવું પડશે, કારણ કે વોશીંગ મશીનમાં નાખેલું પાણી જયાં સુ્રધી મશીન ચાલે અને પાણી બહાર કાઢવામાં ન આવે અને કપડું નિચોવવામાં ન આવે ત્યાં સુધી તે કપડાં સાથે જ રહે છે, એટલે કપડાંને લાગેલી નાપાકી કપડાંથી દૂર થયેલી નહિ ગણાય.
ડીટરજન્ટ પાવડર કે સારો સાબૂ વાપરવાથી નાપાક કપડાંને અદશ્ય પાતળી નાપાકીથી પાક કરવા માટે ત્રણવાર ધોવું અને નિચોવવું ગેરજરૂરી નહીં ઠરે, કારણ કે મજકૂર કાર્યવાહી તો નાપાક કપડાંથી નાપાકી અલગ કરવા માટે છે અને ડીટરજન્ટ કે સાબૂને પણ કપડાંથી દૂર કરવા માટે કપડાંને વારંવાર ધોવું અને નિચોવવું તો જરૂરી જ બને છે.
પાક અને નાપાક કપડાં વોશીંગ મશીનમાં કે કોઈ મોટા વાસણમાં પાણીમાં પાવડર નાખી સાથે પલાળવાથી અને સાથે ધોવાથી શરૂમાં પાક કપડાં પણ નાપાક થઈ જશે અને પછી દરેક કપડાને નાપાકીથી પાક થાય એ રીતે ધોવું પડશે, માટે બેહતર સૂરત આ છે કે નાપાક કપડામાં નાપાકી લાગેલી જગ્યાને પ્રથમ પાક કરી લેવામાં આવે,
તે પછી બધા કપડાં સાથે ભીંજવવા અને ધોવામાં આવે, અથવા પાક અને નાપાક કપડાં અલગ અલગ ભીંજવવામાં અને ધોવામાં આવે.
પોતાના ઘરની ઓરતોને અને વસાવા સમાજની કપડાં ધોનાર બહેનોને મસ્અલહ મુજબ નાપાક કપડાં ધોવાની રીત સમજાવી દેવામાં આવે અને ગેર મુસ્લિમ ઓરતના પધ્ધિતસર ધોયેલા નાપાક કપડાં પણ પાક થયેલા ગણાશે.
Log in or Register to save this content for later.